ઇઝરાયલના રાજદૂત સાથે સીએમની ઉડતી મુલાકાત…

નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસમાં છ દિવસ ઇઝરાયેલ પ્રવાસે જવા અમદાવાદથી નીકળી ગયાં છે.  નવી દિલ્હી પહોંચેલાં સીએમ રુપાણીએ ભારતમાં ઇઝરાયલના રાજદૂત ડેનિયલ કેર્મોન સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવોએ વડાપ્રધાન મોદી અને ઇઝરાયલ પીએમ નેતન્યાહૂની મુલાકાતને વાગોળી હતી. તેમ જ ઇઝરાયલ રાજદૂત દ્વારા બંને પક્ષ વચ્ચેના દ્વિપક્ષીય કરારો અંગે વધુ વાતચીત કરતાં સીએમને તેમના પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી.રૂપાણીએ ઇઝરાઇલ રાજદૂતને જણાવ્યું કે ગુજરાત જળ વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રમાં ઈઝરાઇલની ટેકનોલોજીના ઇનોવેશનના લાભ ગુજરાતના ખેડૂતો અને ખેતીવાડી ક્ષેત્રને મળે તે દિશામાં હકારાત્મક રીતે આગળ વધવા ઇચ્છુક છે. ગુજરાત પ્રતિનિધિમંડળ ઇઝરાયેલના પ્રધાનો, પદાધિકારીઓ તથા કૃષિ, જળ વ્યવસ્થાપન, ઇનોવેશન અને ઇન્ટરનલ સિક્યુરીટી તજજ્ઞો સાથે બેઠકો મૂલાકાતો કરશે તે ઇઝરાયેલ-ગુજરાત બન્ને માટે ફળદાયી રહેશે તેમ ડેનિયલ કાર્મોને જણાવ્યું હતું.

ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની ઈઝરાઇલ મુલાકાતનો હેતુ એગ્રીકલ્ચર સેકટરમાં કોલોબ્રેશનની તકો, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની ટેકનોલોજી ટ્રાન્સફર સમજણ અને દરિયાના પાણીના મહત્તમ ઉપયોગ વપરાશના પાણી માટે કરવાની ડીસેલીનેશનની આધુનિક ટેકનોલોજીમાં વિસ્તૃત જાણકારી મેળવવાનો છે.

ઇઝરાઇલ ભૌગોલિક અને કુદરતી રીતે ખેતી થઇ શકે તેવું વાતાવરણ ન ધરાવતું હોવા છતાં એગ્રીકલ્ચરલ ટેકનોલોજીમાં વર્લ્ડ લીડર બન્યું છે અને તાજા ઉત્પાદનોનું મોટુ નિકાસકાર છે તે સંદર્ભમાં ગુજરાતમાં પણ આનો લાભ મેળવી શકાય તે હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ બનશે.