જંતર મંતર ખાતે ભાજપના મૂક દેખાવો…

ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ અને સમર્થકોએ કોલકાતામાં ભાજપ પ્રમુખ અમિત શાહે યોજેલા રોડ શો દરમિયાન થયેલી હિંસાને વખોડી કાઢવા માટે 15 મે, બુધવારે નવી દિલ્હીના જંતર મંતર ખાતે મૂક દેખાવો યોજ્યા હતા. એમાં નિર્મલા સીતારામન, ડો. હર્ષવર્ધન, વિજય ગોયલ જેવા કેન્દ્રીય પ્રધાનોએ ભાગ લીધો હતો. 14 મે, મંગળવારના રોડ શો વખતે અમિત શાહ જેમાં સવાર થયા હતા એ ખુલ્લી ટ્રક પર લાઠીઓ ફેંકવામાં આવી હતી. ભાજપનો આરોપ છે કે એ લાઠીઓ પશ્ચિમ બંગાળની શાસક તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ ફેંકી હતી. રોડ શો વખતે વિદ્યાસાગર કોલેજમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. શાહનો આરોપ છે કે એ કૃત્ય પણ તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ કર્યું હતું. બીજી બાજુ, બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે ભાજપે બહારથી લાવેલા ગુંડાઓએ હિંસા કરી હતી.