અંબાણી પરિવારે લગ્નપ્રસંગની ઉજવણી વીરજવાનો સાથે કરી…

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણીએ એમનાં પુત્ર આકાશનાં શ્લોકા મહેતા સાથે થયેલા લગ્નની ઉજવણીના ભાગરૂપે મુંબઈમાં દેશના સુરક્ષા જવાનો માટે પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 12 માર્ચ, મંગળવારે મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્ક્વેર ખાતે યોજેલા કાર્યક્રમમાં તેઓ ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને અર્ધલશ્કરી દળો, મુંબઈ પોલીસ તથા રેલવે પ્રોટેક્શન ફોર્સનાં હજારો જવાનો તથા એમના પરિવારજનોને મળ્યાં હતાં. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે આપણા આ શહેર તથા સમગ્ર દેશનાં રક્ષકો અમારી ઉજવણીમાં અમારી સાથે જોડાયા છે એ અમારા માટે બેહદ આનંદની વાત છે. પ્રત્યેક દિવસે આપણને જેમના માટે ગર્વની લાગણી થાય તે આ જવાનો આકાશ અને શ્લોકાને એમનાં આશીર્વાદ આપે. નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં સ્પેશિયલ મ્યુઝિકલ ફાઉન્ટેન શોનું પણ આયોજન કર્યું હતું. એને તેમણે અનંત પ્રેમ નામ આપ્યું હતું. એ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણનું રાસલીલા નૃત્યની પણ રજૂઆત કરી હતી.