સુરેન્દ્રનગરમાં ‘ચિત્રલેખા’ યોજિત મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ…

સુરેન્દ્રનગરમાં હોટલ પ્રેસિડન્ટ ખાતે 6 જાન્યુઆરી, શનિવારે આદિત્ય બિરલા કેપિટલ અને ‘ચિત્રલેખા’ યોજિત મ્યુચ્યુઅલ ફંડ વિશેના માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાચકોના આગ્રહને માન આપીને સુરેન્દ્રનગરમાં આ પહેલી જ વાર આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ફાઈનાન્સિયલ પ્લાનિંગ શા માટે ને કઈ રીતે? વિષય પર એમના નિષ્ણાત વિચારો રજૂ કર્યા હતા, તો આદિત્ય બિરલા કેપિટલના વેસ્ટર્ન ઝોન હેડ મનીષ ઠક્કરે મ્યુચ્યુઅલ ફંડના માર્ગે સંપત્તિ સર્જન કઈ રીતે? વિષય પર શ્રોતાઓ/ઈન્વેસ્ટરોનું માર્ગદર્શન કર્યું હતું. પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં મશરૂવાળા તથા ઠક્કરે શ્રોતાઓ/ઈન્વેસ્ટરોએ પૂછેલા સવાલોના માર્ગદર્શન સાથે જવાબ આપ્યા હતા. પરિસંવાદનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ પરિસંવાદમાં હાજર શ્રોતાઓ, ઈન્વેસ્ટરો અને વક્તાઓને આવકાર આપ્યો હતો તેમજ ‘ચિત્રલેખા’ દ્વારા આયોજિત આ પ્રકારના પરિસંવાદોની પશ્ચાદભૂમિકાની જાણકારી આપી હતી. પરિસંવાદને સુરેન્દ્રનગરના શ્રોતાઓ-ઈન્વેસ્ટરો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને હોટલ પ્રેસિડન્ટનો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો.