કંગનાએ ફરી લીધી તલવારબાજીની તાલીમ…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત આગામી નવી હિન્દી ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે. એ માટે તલવારબાજીની તાલીમ લેવા એ ૧૦ ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં આર્ટ્સ ઈન મોશન સ્ટુડિયો ખાતે હાજર થઈ હતી. ત્યાંથી પાછાં ફરતી વખતે એણે પ્રેસ ફોટોગ્રાફરોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કંગના અગાઉ, ગયા જુલાઈમાં હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં આ જ ફિલ્મ માટે તલવારબાજીનું એક દ્રશ્ય ભજવી રહી હતી ત્યારે ઘાયલ થઈ હતી. એ સહ-અભિનેતા નિહાર પંડ્યા સાથે તલવારબાજી કરતી હતી. અચાનક પંડ્યાના હાથની તલવાર કંગનાનાં કપાળ પર વાગી હતી અને એનાં કપાળ પરથી લોહી નીકળવા માંડ્યું હતું. કંગનાને તરત જ એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં એનાં ઘા પર ૧૫ ટાંકા લેવા પડ્યા હતા. એને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. કંગનાને એ ઘાનું નિશાન દૂર કરવા પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે એવું ત્યારે કહેવાયું હતું. ‘મણિકર્ણિકા’ ફિલ્મ આવતા વર્ષના એપ્રિલમાં રિલીઝ થવાની ધારણા છે.

કંગનાને જ્યારે કપાળ પર ઈજા થઈ હતી એ વેળાની તસવીર

ફિલ્મના પાત્ર માટે ઘોડેસવારી શીખતી કંગના