પૂજા માટેના જવારા; ગૌરી વ્રતની તૈયારી…

આ વર્ષે પરંપરાગત ગૌરી વ્રતનો આરંભ 23 જુલાઈ, અષાઢ સુદ અગિયારસ (અષાઢી એકાદશી)થી થશે અને એની પૂર્ણાહુતિ 27 જુલાઈએ થશે. આ વ્રત કુંવારી છોકરીઓ, યુવતીઓ કરતી હોય છે. આ વ્રત માતા પાર્વતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ વ્રત પોતાને સારો વર અને સારું ઘર મળે એના માટે કુંવારિકાઓ કરતી હોય છે. આ વ્રતમાં મોટે ભાગે મોળું જ ખાવાનું હોવાથી એને મોળાકત વ્રત પણ કહેવામાં આવે છે. છોકરીઓ આ વ્રતમાં સાત ધાનનાં જવારા વાવે છે અને એનું પૂજન કરે છે. આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રતના અંતમાં કુમારિકાઓ આખી રાતનું જાગરણ કરીને વ્રતનું સમાપન કરે છે. પરિણીત સ્ત્રીઓ અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસ સુધી જયાપાર્વતી વ્રત રાખે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ એમનાં લગ્નનાં પ્રથમ વર્ષે આ વ્રત કર્યા પછી તેની ઉજવણી કરીને વ્રતનો સંકલ્પ પૂર્ણ કરે છે. અમદાવાદની બજારમાં વ્રતની પૂજા માટે મહત્ત્વના જવારા વેચાતા આ તસવીરોમાં જોઈ શકાય છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)