ચાતુર્માસનો વિશેષ મહિમા અને વિશેષ કાર્યો

જના વિશેષ આર્ટિકલમાં વાત કરીએ ચાતુર્માસના મહાત્મ્ય વિશેની. સોમવારથી પવિત્ર ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે. શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.

અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતો ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે.

જો પ્રકૃતિ સાથે ચાતુર્માસને સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષાઋતુ આવતી હોવાથી નિસર્ગના ખોળે ધરતી રજસ્વલા થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત ચિત્ત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધાના કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે. કોઈ માંગલિક કાર્યો ન કરવાના હોવાથી કોઈપણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈને ઈશ્વરમાં એકચિત્ત થઈ શકે છે.  

આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા પણ નબળી પડી જતી હોવાથી આ સમયમાં ઉપાવસનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમયમાં આવતી તમામ અગિયારસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ કદાચ જો અગિયારસે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો કમસે કમ ત્રણ અગિયારસ દેવપોઢી અગિયારસ, જળજીલણી અગિયારસ અને દેવઉઠી અગિયારસના દિવસે નિર્જળા ઉપવાસ કરવા જ જોઈએ તેમ સંતો કહે છે. આ અગિયારસના દિવસે ઉપવાસ કરવાનું એ મહત્વ છે કે આ પ્રકારના ઉપવાસ કરવાથી જીવનમાં ભરપુર ખુશીઓ આવે છે.

ચાતુર્માસમાં કયા કાર્યો કરવા જોઈએ

ચાતુર્માસમાં લગ્ન સહિતના કોઈપણ કાર્ય થઈ શકતા નથી એટલે કે એવું કહી શકાય કે આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન કોઈ માંગલીક કાર્યો ન કરવા જોઈએ.

શાસ્ત્રો અનુસાર ચાતુર્માસના આ સમયગાળામાં દેવકાર્ય સૌથી વધારે થાય છે. આ સમયમાં માંગલીક કાર્યો જેવાકે લગ્ન કે સગાઈ વગેરે કાર્યો થઈ શકતા નથી પરંતુ આ સમયગાળા દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવત કથા, શ્રી રામાયણ અને શ્રીમદ્ ભગવદગીતાના પાઠ, હવન અને યજ્ઞ જેવા શુભ કાર્યો થઈ શકે છે. તો સાથે જ ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન ગાયત્રી મંત્રના પુરશ્ચરણ અને વ્રત જેવા કાર્યો શ્રાવણ માસમાં પૂરા કરાય છે.

પદ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ આ ચાર મહીના દરમીયાન મંદીરમાં ઝાડુ લગાવે છે અને મંદીરને ધોઈને સાફ કરે છે તો આ સીવાય કોઈ કાચા સ્થાનને ગાયના ગોબરથી લીંપે છે તે વ્યક્તિને સાત જન્મ સુધી બ્રાહ્મણ યોનીમાં જન્મ પ્રાપ્ત થાય છે. તો આ સીવાય જે વ્યક્તિ ભગવાનને દૂધ, દહીં, ઘી અને સાંકરથી સ્નાન કરાવે છે તે વ્યક્તિ સંસારમાં વૈભવશાળી થાય છે અને સાથે જ સ્વર્ગમાં જઈને તે વ્યક્તિ સ્વયં ઈન્દ્ર જેવા સુખ ભોગવે છે.

ધૂપ, દીપ, નૈવેદ્ય અને પુષ્પ વગેરેથી પૂજન કરતો પ્રાણી અક્ષય સુખ ભોગવે છે. આ સમયમાં ગૂગળનો ધૂપ અને દીપ અર્પણ કરતો માણસ જન્મ જમાંતર સુધી ધનાઢ્ય રહે છે. આ ચાર મહીનાના સમય દરમિયાન માતા લક્ષ્મી અને પાર્વતીને પ્રસન્ન કરવા માટે ચાંદીના પાત્રમાં હળદર ભરીને દાન કરવી જોઈએ. 

આ ચાર માસ દરમિયાન જે લોકો નિયમથી એક નિશ્ચિત સમયે ભોજન કરે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે , પોતે નિયમપૂર્વક થઈને ચોખા અને જવના ભોજન કરાવે છે, ભૂમિ પર શયન કરે છે તેને અક્ષય કીર્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસોમાં આમળાથી યુક્ત જળથી સ્નાન કરવું અને મૌન રહીને ભજન કરવું શ્રેષ્ઠ શ્રેષ્ઠ મનાય છે. 

ચાતુર્માસમાં કયા કાર્યો ન કરવા

શ્રાવણ મહિનામાં શાક અને લીલી શાકભાજી, ભ્રાદપદમાં દહીં, અશ્વિનમાં દૂધ અને કાર્તિકમાં દાળ ખાવું વર્જિત છે. કોઈની નિંદા કે ચુગલી ન કરવી અને ન તો કોઈની સાથે દગો કરવો. ચાતુર્માસમાં શરીર પર તેલ નહી લગાવું જોઈએ અને કાંસાના વાસણમાં ક્યારે ભોજન ન કરવું જોઈએ. જે વ્યક્તિ પોતાની ઈન્દ્રિયોનું દમન કરે છે એ અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. 

ચાતુર્માસ વ્રતની ફળશ્રુતિ
ચાતુર્માસનું મહત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે વરસોવરસ આ વ્રત કરવું જોઈએ. જે વ્યક્તિ આ વ્રતને સમજ્યા વિના પણ યોગ્ય વિધિથી કરશે તેના પર હરિ પ્રસન્ન થશે. જે આ વ્રતને સમજીને કરશે તેનાં તો કુળ તરી જશે. આ વ્રત કરનારાના જૂના કર્મોનાં બંધનોનો નાશ થાય છે. આ વ્રત આખા પરિવારના બધાં સદસ્યો સાથે મળીને કરે તો અપાર લાભ મળે છે અને પિતૃપીડા ઘટે છે.

આ વ્રત કરવાથી નારાયણ શીઘ્ર પ્રસન્ન થાય છે અને શીઘ્ર ફળ આપે છે. આ વ્રતના અંતે સંતોષરૂપી અમૃતફળ પણ મળે છે. આ વ્રત કરવા મનુષ્ય માત્ર સ્વતંત્ર છે. આ વ્રતને જે કોઈ કરશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે. જે આ વ્રત કરાવશે તેને પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ થશે. જે આ વ્રતનું કીર્તનગાન કરશે તે કળિકાળને અંત કરવામાં હરિનું સાધન બનશે.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)