જાણો હનુમાન જન્મ કથા અને ચાલીસાની શક્તિઓનું વિશેષ મહાત્મ્ય

पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना ।
कवन सो काज कठिन जग माहि, जो नहीं होत तात तुम पाहि ।

આજે હનુમાન જયંતી છે. હનુમાનજી મહારાજ એ દેવોના પણ દેવ એવા ભગવાન શિવના 11માં રૂદ્ર છે. અર્થાત હનુમાનજી મહારાજ એ ભગવાન શિવનો જ અવતાર છે. ત્યારે આજના હનુમાન જયંતીએ હનુમાન જન્મકથા, ચાલીસા વિશે અને સાથે જ જાણીશું કે કઈ રાશિના જાતકોએ આજના દિવસે કયા મંત્રથી હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું.

હનુમાન જયંતીને લઈને એક કથા પ્રચલીત છે. એકવાર મહાન ઋષી અંગિરા સ્વર્ગના માલિક ઈન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુંજીક્ષ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું. જો કે અંગિરા ઋષીને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો અને તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે તેમના પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું. નૃત્યના અંતમાં ઈન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું. સંતે જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી. ઋષી અંગિરાનો આ જવાબ ઈન્દ્ર અને અપ્સરા બંન્ને માટે શરમજનક બાબત હતી. અપ્સરાના આ નૃત્યએ સંતને નીરાશ કર્યા અને ત્યારે ઋષિ અંગિરાએ શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા બંદર સ્વરૂપે જન્મ લેશો.

અપ્સરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિ પાસે ક્ષમા યાચના માંગી. ત્યારે ઋષિને દયા આવી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે અને તે સદાય પરમાત્માની સેવા કરશે. ત્યાર બાદ તે અપ્સરા “કુંજાર” કે જેઓ પૃથ્વી પરના તમામ વાનરોના રાજા છે તેમની દિકરી સ્વરૂપે જન્મી, અને આ દિકરી મોટી થતા જ તેમના વિવાહ “સુમેરૂ પર્વતના” રાજા “કેસરી” સાથે થયા. અને તેમણે પાંચ દિવ્ય તત્વો જેવાકે “ઋષી અંગીરાનો શ્રાપ અને આશીર્વાદ”, “પૂજા”, “ભગવાન શિવના આશિર્વાદ”, “વાયુદેવના આશીર્વાદ”, અને “પુત્રશ્રેષ્ઠી યજ્ઞથી” “હનુમાન”ને જન્મ આપ્યો. ભગવાન “શિવે” પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પોતાના “11માં રૂદ્ર”ના અવતારમાં “હનુમાનજી” મહારાજ બનીને જન્મ લીધો કારણ કે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન “શ્રીરામ”ની સેવા નહોતા કરી શકતા.

હનુમાનજી મહારાજનો જન્મ થતા જ તમામ વાનર સમુદાય સહિત મનુષ્યોમાં આનંદનો માહોલ ફેલાઈ ગયો અને નૃત્ય- કિર્તન અને ગાન સાથે હનુમાનજી મહારાજના જન્મને વધાવવામાં આવ્યો અને તેમનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. અને આજના સમયમાં પણ ભક્તો દ્વારા અતુલીત બળ પ્રાપ્ત કરવા અને બુદ્ધીમતા પ્રાપ્ત કરવા અને સાથેજ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતી મનાવવામાં આવે છે.

હનુમાન ચાલીસાની વિશેષ ફળદાયી ચોપાઈઓ

कवन सो काज कठिन जग माहि, जो नहीं होत तात तुम पाहि । અર્થાત વિશ્વમાં કોઈ એવું કઠીન કાર્ય નથી કે જે હનુમાનજી મહારાજ ન કરી શકે.

હનુમાનજીની પૂજા અર્ચના અને ભક્તિ કરવાથી अतुलीत बल धामम અર્થાત અતુલીત બળની પ્રાપ્તિ થાય છે.

તો આ સીવાય હનુમાન ચાલીસામાં તો ત્યાં સુધી કીધું કે भूत पीशाच निकट नही आवे, महाबीर जब नाम सुनावे અર્થાત હનુમાજીની ભક્તિ કરનાર ભક્તને ક્યારેય ડાકીની, શાકીની કે ભૂત-પીશાચનો ડર રહેતો નથી.

नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा અર્થાત જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને રોગ નડતા નથી અને જો કોઈ રોગ થયા હોય અને તે સમયે આ ચોપાઈની નિત્ય એક માળા કરવામાં આવે તો તે રોગમાંથી મુક્તિ મળે છે.

ओर मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे અર્થાત જે વ્યક્તિ પર હનુમાનજી મહારાજની કૃપા હોય તે કોઈપણ અભિલાષા કરે તો તેને એવું ફળ પ્રાપ્ત થાય છે કે જેની જીવનમાં કોઈ સીમા નથી હોતી.

अष्ट सिद्धि नव निधि के दाता, अस बर दीन जानकी माता અર્થાત હનુમાનજી મહારાજને માતા સીતા પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે કે તેઓ કોઈપણ ભક્તને આંઠ પ્રકારની સીદ્ધીઓ અને નવ પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે.

तुम्हरे भजन रामको पावे, जनम जनम के दुख बिसरावे અર્થાત હે હનુમાનજી મહારાજ આપનું ભજન કિર્તન કરવાથી ભગવાન શ્રીરામજી પ્રાપ્ત થાય છે અને ભક્તના જન્મ જન્માંતરના દુઃખો દૂર થઈ જાય છે.

કઈ રાશીના જાતકે કયા મંત્રનું સ્મરણ કરવું

મેષઃ    મેષ રાશીના જાતકોએ ॐ सर्वदुख हराय नम: મંત્રનું સ્મરણ કરવું.

વૃષભઃ  વૃષભ રાશીના જાતકોએ कपिसेनानायक नम: મંત્રનું સ્મરણ કરવું.

મીથુનઃ મીથુન રાશીના જાતકોએ ॐ मनोजवाय नम: મંત્રનું સ્મરણ કરવું.

કર્કઃ    કર્ક રાશીના જાતકોએ ॐ लक्ष्मणप्राणदात्रे नम: મંત્રનું સ્મરણ કરવું.

સિંહઃ    સિંહ રાશીના જાતકોએ ॐ परशौर्य विनाशन नम: મંત્રનું સ્મરણ કરવું

કન્યાઃ કન્યા રાશીના જાતકોએ ॐ पंचवक्त्र नम: મંત્રનું સ્મરણ કરવું

તુલાઃ   તુલા રાશીના જાતકોએ ॐ सर्वग्रह विनाशी नम: મંત્રનું સ્મરણ કરવું

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશીના જાતકોએ ॐ सर्वबंधनविमोक्त्रे नम: મંત્રનું સ્મરણ કરવું

ધનઃ    ધન રાશીના જાતકોએ ॐ चिरंजीविते नम: મંત્રનું સ્મરણ કરવું

મકરઃ   મકર રાશીના જાતકોએ ॐ सुरार्चिते नम: મંત્રનું સ્મરણ કરવું

કુંભઃ    કુંભ રાશીના જાતકોએ ॐ वज्रकाय नम: મંત્રનું સ્મરણ કરવું

મીનઃ   મીન રાશીના જાતકોએ ॐ कामरूपिणे नम: મંત્રનું સ્મરણ કરવું

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)