કેવી રીતે અમેરિકા આજે અજાણ્યા વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે?

આજે જ્યારે આખું વિશ્વ કોરોનાવાઈરસના ભરડામાં જકડાઈ રહ્યું છે ત્યારે અમેરિકા પણ આમાંથી બાકાત નથી. મહાસત્તા તરીકે નામના મેળવનાર અમેરિકા આજે કોરોના નામના વાઇરસના ડેન્ઝર ઝોનમાંથી પસાર થઇ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે, લગભગ ૧૫૫,૦૦૦ અમેરિકાનો કોવિડ-૧૯ ના ઝપેટમાં આવી ચૂક્યા છે અને ૨૮૦૦ થી વધારે મૃત્યુ પામ્યા છે. અમેરિકાનું હાર્ટ ગણાતું ન્યુયોર્ક નાઈન ઇલેવનના હુમલાનો માર ખમી શક્યું હતું, પરંતુ આજે અજ્ઞાત અને મહાવિનાશી વાઈરસી રાક્ષસ સામે લડત આપતા હાંફી ગયું છે એ વાતને નકારી શકાતી નથી. ચોવીસ કલાક દોડતું શહેર સન્નાટામાં ઘેરાઈ ગયું છે. જોકે આ સ્થિતિ આજે દુનિયાભરનાં દેશોની છે આમ છતાં અહીંની નજરે નિહાળેલી પરિસ્થતિ હ્રદયદ્રાવક લાગે છે.

વિશ્વના ૧૯૬ દેશો આની ઝપટમાં આવી ગયા છે. બીજા દેશોની માફક અમેરિકા પણ આ વાઇરસના હુમલા માટે તૈયાર નહોતું. ચીન અને ઇટાલીના સમયે અમેરિકા સાવચેત થઇ ગયું હોત તો કદાચ આજની સ્થિતિ આટલી ભયજનક ના હોત. ઓછામાં ઓછું જરૂરી પ્રાથમિક વસ્તુઓ ભેગી કરી શક્યું હોય. દરેકને માસ્ક, હેન્ડગ્લવ્સ અન સેનેટાઇઝર્સ મળી ગયા હોત તો આ વાઈરસ કદાચ આટલી હદે કદાચ ના વકર્યો હોત. પાણી આવ્યા પહેલા પાળ બંધાઈ હોત તો કદાચ આજ હાલત થોડી સારી હોત એવું માની શકાય છે.

દેશની આ પરિસ્થિતિ જોતા પ્રેસિડેન્ટ ટ્રમ્પે રવિવારની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સામાજિક અંતર રાખવા માટેનો કાયદો પહેલા ૨૨ માર્ચ હતો તે આગળ વધારી ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો છે. જેમાં નાના મોટા બધા જ મેળાવડા બંધ રાખવામાં આવ્યા છે. લોકલ બિઝનેસ, જે પ્રાથમિક જરૂરિયાતોમાં આવતા નથી, એની સાથે રેસ્ટોરાં વગેરે પણ બંધ કરાયા છે.

હાલ મળેલા સમાચાર પ્રમાણે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની આવનજાવન બંધ કરાઈ છે. આ રીતે વાઈરસનો ફેલાવો ઓછો થઇ શકે તેવું માનવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટના એલર્જી અને ચેપી રોગોના નિષ્ણાત ડો. એન્થોની એસ. ફૌસીએ વ્હાઇટ હાઉસમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે આટલી તીવ્રતાથી જો આ રોગ ફેલાતો રહેશે તો ૧૦૦,૦૦૦ થી ૨૦૦,૦૦૦ અમેરિકનોનાં મૃત્યુ પામવાનો ડર રહેલો છે. તેમણે પ્રેસીડેન્ટ ટ્રમ્પને સલાહ આપતા જણાવ્યું હતું કે સ્ટે એટ હોમના ઓર્ડરને વધુ સખત બનાવવો જોઈએ. મૃત્યુનો દર જો આટલી મોટી સંખ્યાનો થાય તેના ઇતિહાસમાં આ પહેલો આવો દુઃખદ પ્રસંગ ગણાશે. આખા અમેરિકાને આ અસહ્ય દુઃખનો સામનો કરવો પડશે.

અંદાજ લગાવવામાં આવે છે કે દેશને સંપૂર્ણપણે વાઈરસ મુક્ત થતા એક વર્ષ નીકળી જશે. ત્યાં સુધીમા યુનાઇટેડ સ્ટેટ્સને 3.5 અબજ માસ્કની જરૂર પડશે.

ન્યુયોર્કનાં વધતા જતા વાઈરસ ગ્રસ્તોની સંખ્યા સામે બચાવના સાઘનો ખૂબ ઓછા પડે છે. આ જ રીતે રહેશે તો માત્ર એક અઠવાડિયું જ ચાલી શકે એટલો પુરવઠો બાકી રહ્યાની ચિંતા ત્યાના ગવર્નરે વ્યક્ત કરી હતી. છતાં બહારથી મંગાવી રહેલા આવવાની તૈયારીમાં છે એવી હૈયા ધારણા તેમને મળતી રહી છે. એ સાધનોમાં મોટાભાગનો પુરવઠો ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટને પૂરો પડાશે, બાકીનો પુરવઠો વિસ્તાર અને દેશભરના અન્ય ઉચ્ચ જોખમવાળા વિસ્તારોના નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં જશે.

અપૂરતા સાધનો હોવાના લીધે સાચા માસ્ક કે સ્નોર્ક્લીન્ગ માટેના માસ્કનો ઉપયોગ કરી વાઈરસ યુદ્ધ સામે લડત આપી રહેલા ડોકટરો અને મેડીકલ આસીસ્ટન્ટ તથા સ્વયંસેવકોને સલામ. જીવનાં જોખમે અત્યારે મેડીકલ ક્ષેત્રમાં રહેલા ડોક્ટર્સથી લઈને હોસ્પીટલમાં રહેલા સામાન્ય કાર્યકરો સતત દર્દીઓ વચ્ચે રહીને તેમની દેખરેખ કરતા રહે છે. આ દરમિયાન વાઈરસ ગ્રસ્ત થવાનો ડર તેમને સહુ પહેલા રહેલો છે. છતાં પણ એ દરેક મેડીકલ કાર્યકર અત્યારે ઘરે રહેવાને બદલે જવાબદારીથી નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે તેમનું અમેરિકા જરૂર ઋણી રહેશે.

ઘડીયાળના કાંટા સાથે પોતાની જાન જોખમમાં મૂકીને આ બધા જ કામ કરી રહ્યા છે. આ લોકોની અંગત સમસ્યાઓ અત્યારે બાજુ ઉપર મુકીએ તો, રક્ષણાત્મક ઉપકરણો સાથે હોસ્પિટલના કપડા લાંબો સમય પહેરવાથી બાથરૂમ જવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિમાં સતત કામ કરવાથી શારીરિક રૂપે થાકી જાય છે. અપૂરતી ઊંધ અને થાક બેવડાઈ ગયો છે.  છતાં અત્યારે તેમની જરૂરીયાત છે સમજીને દરેક દેશના મેડીકલ કર્મચારીઓ ખડા પગે સેવા આપી રહ્યા છે. તેમને સો સલામી પણ ઓછી પડે.

ન્યુયોર્કની એક મોટી હોસ્પિટલમાં આ વાઈરસથી ૨૦૦ મેડીકલ કાર્યકરોને પણ ચેપ લાગ્યો હતો. બીજાઓની સેવા કરતા તેમને જીવતદાન આપતી વેળાએ આ લોકોને પોતાના ઉપર જોખમ દેખાય છે છતાં કટોકટીના સમયમાં તેઓ પોતાની ફરજ ચૂકતા નથી. આ જ તેમની મહાનતા છે.

કંટકીની નોર્થવેલ હેલ્થની હોસ્પિટલમાં ૪૦ ડોકટરો કામ કરી રહ્યા હતા તેમાંથી ૧૯ ડોકટરોને ઇન્ફેકશન લાગુ પડ્યું છે. ઠેરઠેર આવા સમાચારો મળતા રહે છે. જેમ જેમ હોસ્પિટલો ભરાય છે તેમ વધુને વધુ લોકોને તેનો ચેપ લાગવાનો ડર રહે છે. રોજ અહીં ખડેપગે કામ કરતા તબીબી કર્મચારીઓને ઘણાં લાંબા સમય સુધી માનસિક શારીરિક ત્રાસ સહન કરવો પડે છે. તેઓને ચેપ લાગવાનો ડર રહે છે. નર્સો અને ડોકટરોની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળે છે.

ખાસ જરૂર ના હોય તેવી ઓફિસ કે દુકાનો બંધ કરી દેવી જોઈએ કેમ કે ત્યાં હાજર કર્મચારીઓને જોખમ રહેલું હોય છે. એકાંતવાસ-આઈસોલેટેડ રહેવાની જ્યારે સરકાર અપીલ કરી રહી હોય ત્યારે આપણા દરેકની ફરજ બને છે કે તેમાં સાથ આપીએ. પરસ્પર હળવા મળવાનું બિલકુલ બંધ રાખવું જરૂરી છે. જરૂર ના હોય તો બહાર જવાનું ટાળવું એ આપણી દરેકની નૈતિક ફરજ સમજવી જોઈએ.

આવી કટોકટીની સ્થિતિમાં સહુ પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ડેલ્ટા એરલાઈન્સ, યુએસએમાં કેટલાક શહેરોમાં ડોક્ટર્સ અને મેડીકલ ક્ષેત્રે જોડાએલા સ્વયંસેવકોને વિના મૂલ્યે રાઉન્ડ ટ્રીપની સેવા આપવાનું જાહેર કર્યું છે. વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં સરળતાથી આવનજાવન થઇ શકે એ માટે આ સેવા નક્કી કરાઈ છે.

હજારો લોકો પણ દેશની આ સંકટની ઘડીમાં સાથ આપવા જોડાઈ ગયા છે. એકલા ન્યુ યોર્કમાં ૭૬,૦૦૦૦ સ્વયંસેવકો આ અજ્ઞાત વાઈરસ સામેની લડતમાં મદદ માટે આગળ આવ્યા છે. મારા માટે આ બધા આર્મીના જવાનો કરતા ઓછા ઉતરતા નથી.

સહુથી વધારે તકલીફ અત્યારે નર્સિંગહોમમાં છે, જ્યાં વૃદ્ધો અને બીમાર લોકો રહે છે. ઠેરઠેર આવેલા નર્સિંગહોમમાંથી મૃત્યુ પામતા વૃદ્ધોના સમાચાર ચોંકાવે છે. જોડાજોડ રહતા આ લોકોને એકબીજાનો ચેપ ઝડપથી લાગે છે. તેમના સાજા થવાના ચાન્સ ઘણા ઓછા છે.

કોરોના વાયરસ દર્દીઓને ઝડપી સેવા મળી રહે એ માટે નેવીના મર્સી નામક શિપને 1૦૦૦ બેડની તરતી હોસ્પિટલમાં ફેરવાયું છે. જે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ ક્રુઝ છે. આ શિપમાં દર્દીઓને વાલતા-લઇ જતા હેલિકોપ્ટર માટે હેલીપેડ છે. વહાણ એટલું વિશાળ છે કે  યુનાઇટેડ સ્ટેટ્સની ચોથી સૌથી મોટી હોસ્પિટલ સમાન છે. એ શિપ પહેલાં તો લોસ એન્જલસમાં પહોંચ્યું છે જેથી ત્યાનાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે જરૂરી બધી જ સુવિધાઓ મળી શકે…

પણ, ન્યુયોર્ક અત્યારે કટોકટીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જરૂરીયાતવાળા માટે સુવિધાઓયુક્ત જગ્યા તો ઠીક, પૂરતા માસ્ક અને વેન્ટીલેટર પણ નથી! આ પરિસ્થિતિમાં ન્યૂયોર્કને આ શિપની વધારે જરૂર હોવાથી પછીથી નેવી હોસ્પિટલ જહાજને ન્યુયોર્ક મોકલવામાં આવ્યું છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અત્યારે આ પરિસ્થિતિમાં ખૂબ હિંમતભેર કામ કરી રહ્યા છે.

અત્યારે આવી જ દયાજનક સ્થિતિ અમેરિકાની જેલમાં જોવા મળી રહી છે. દેશભરની જેલમાં રહેલા કેદીઓ અને કર્મચારીઓમાં કોરોના વાઈરસગ્રસ્ત પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. જેલમાં કેદીઓની નજીક નજીક રહેતા હોવાને કારણે રોગચાળો બહુ ઝડપથી વધારે સંખ્યામાં ફેલાઈ જાય છે. એક એજન્સી અનુસાર દેશમાં ૧૭૫,૦૦૦ થી વધુ  કેદીઓ જેલની સજા ભોગવી રહ્યા છે. કર્મચારીઓની તંગી હોવાથી અહી ફેલાતા રોગને કાબુમાં લાવવો અઘરો થઇ પડે છે. વધારામાં, કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, જેમ કે માસ્ક અને ગ્લોવ્સની પણ અછત છે. આ જ કારણે ઘણી જેલમાં કેદીઓને છૂટા કરવામાં આવ્યા છે. ચેપનો ફેલાવો ઓછો કરવા આંતરિક કેદીઓનું  સ્થાનાંતરણ સ્થગિત કરી દીધું છે.

દરેક માટે આ વિષમ પરિસ્થિતિ છે. માતૃભૂમિ સાથે જીવનનો મોટાભાગનો સમય જે દેશમાં વીતાવ્યો એ કર્મભૂમિ ઉપર આવેલી આપત્તિની વેળાએ ઘરમાં બેસી રહેવાનું યોગ્ય નથી. છતાં, આ જ સમયની માંગ છે. આ પરિસ્થિતિમાં આપણે સહુએ ઘરે રહીને એક રીતે ફૂલ નહિ તો ફૂલની પાંખડી માની ” એકાંતવાસમાં-સહુની સાથમાં” સમજી સાથ આપવો રહ્યો.

(રેખા પટેલ-ડેલાવર, અમેરિકા)