ખેડૂતોની ચિંતામાં મૂળ કારણ કયું? ભાવ કે અભાવ?

તાજેતરમાં ખેડૂતની આવક બમણી કરવાના અને ખેડૂતને થતાં અન્યાય વિશે રોજ જાણવા મળે છે. ખેડૂતોને મુદ્દે રાજકીય રોટલા શેકવાના પ્રયત્નો વચ્ચે ખેડૂતોની સમસ્યા મુદ્દે ગંભીરતાથી કાર્ય કરવાની જરુરત વરતાઈ રહી છે. ત્યાર આજે અમે જામનગરના ખેડૂત મિત્રો વચ્ચે જઈને આ વાત જાણવા પ્રયત્ન કર્યો કે, ખરેખર ખેડૂતની સમસ્યા શું છે? જેના વિશે કોઈ ખુલીને વાત કરતુ નથી. માનનીય વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ “કિશાન ની આવક ડબલ”નો નીતિ આયોગે રોડમેપ તૈયાર કર્યો છે અને જે પ્રમાણે 2022 સુધીમાં કિશાન ની આવક ડબલ કરાશે.પ્લાંનિંગ કમિશન દ્વારા તૈયાર કરાયેલ પહેલી પંચવર્ષીય યોજના જે અમલ માં ૧૯૫૧-૫૬ના વર્ષો માં મુકાયેલી અને તેમાં ૧૭ ટકા જેવી ફાળવણી ખેતી અને સામાજિક વિકાસ માટે કરાયેલી અને તેના પછીની વખતો વખતની પંચવર્ષીય યોજનો માં ખેતી અને ખેડૂત માટે જોગવાઈઓ કરાઈ છે, પણ ખેડૂતની હાલત માં દેખીતો સુધારો નથી થયો. રાજકારણ પણ તેમાં જરૂર મુજબનો જ રસ લે છે. ખેડૂતોના દેવા માફીની વાત કરતા કહેવાતા ખેડૂતહિતેચ્છુ કયારેય ‘દેવું કેમ થયું?’ તેના પર ચર્ચા નથી કરતા.

ખેડૂતોના દેવા માફીની  યોજનાઓની અમલીકરણમાં અમલદારો એટલીબધી શરતો મકી દેતા હોય છે કે ૨૫ ટકા ખેડૂતો જ તેના માપદંડોમાં આવી શકે છે. આ કોઈના તરફેણ કે વિરોધની વાત નથી પણ ખેડૂતના કર્જા માફ કરવાથી, સબસીડી આપવાથી કે ન્યુનતમ ટેકાના ભાવ નક્કી કરવાથી કિશાનનોની આવક ડબલ થઇ શકે ??? મોટા ભાગના લોકોનો જવાબ “ના” હશે અને એનું કારણ છે કે કિશાન કલ્યાણની આ યોજનાઓના મોટાભાગના લાભાર્થીઓને ખરેખર જરૂરત નથી.

જામનગરના ખેડૂતભાઈઓ સાથે વાત કરતા જણાયું કે, ખેડૂતોના બધાજ પ્રશ્નોના મૂળમાં જઈએ તો નીચે મુજબના બે મહત્વના મુદ્દા છે, જેનું નિરાકરણ લાવી શકીએ તો તેમના પ્રશ્નોનું કાયમી નિરાકરણ કદાચ આવી શકે…

ખેતપેદાશોના નક્કી ભાવ:

  1. દુનિયાની બધી જ વસ્તુઓ કે સેવાઓનો ભાવ ક્યાં તો ઉત્પાદક નક્કી કરે છે ક્યાં તો ઉપભોક્તા પણ ખેતપેદાશ એવી વસ્તુ છે કે જેના ભાવ આ બંનેમાંથી કોઈ નક્કી નથી કરતા એમના ભાવ તો વચેટિયાઓ નક્કી કરતા હોય છે.  કુદરતનો નિયમ છે કે જે સૌથી વધારે જોખમ લે તેને સૌથી વધારે નફાનો હિસ્સો મળે છે પણ ખેત પેદાશની વૅલ્યુચેનમાં કિશાન સૌથી વધારે જોખમ લેશે જ્યારે કિશાન થી વધારે નફો વચેટિયાઓ લે છે. જ્યાં સુઘી આ ભાવ ડિમાન્ડ-સપ્લાય પ્રમાણે નક્કી નહિ થાય ત્યાં સુધી ખેડૂતની હાલત સુધારવાની નથી.

નાના ખેડૂતોને પાયાની જાણકારી અને શિક્ષણની જરૂરિયાત:

  1. ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા અને સાધનોની ઉપલબ્ધતા અને તેના વ્યાજબી ભાવ એ પણ એટલોજ સળગતો પ્રશ્ન છે. ખેડૂતમાં શિક્ષણનો અભાવ એ આ મુદ્દાને વધારે ગંભીર બનાવી દે છે. ઉધાર ખરીદવાની મજબૂરીને લીધે કિશાન ક્યારેય એગ્રી ઇનપુટ્સની ગુણવત્તા કે ભાવ વિષે દુકાનદારને પૂછી શકતો નથી. જ્યાં સુધી આ વિષય પર જનજાગૃતિ નહિ આવે ત્યાં સુધી ખેડૂતની હાલત સુધારવા ની નથી.

રાજકારણીઓ જયારે ખેડૂતને મતબેંક નહીં પણ સમાજનો મહત્વનો હિસ્સો ગણવાનો ચાલુ કરશે? ત્યારે જ તેમના પ્રશ્નોનું ખરું નિરાકરણ આવી શકે.

પાલા વરુ (જામનગર)