ભારતને ‘અભિનંદન’ : ભારતની મોટી કૂટનીતિક સફળતા…

ઈસ્લામાબાદ- પાકિસ્તાન સંસદના સંયુક્ત સત્રમાં વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી છે કે, શાંતીની પહેલના ભાગરૂપે પાયલોટ અભિનંદન વર્તમાનને આવતીકાલે ભારતને પરત સોંપવામાં આવશે. ભારત માટે આ એક મોટી જીત ગણાશે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરેથી દબાણ વધતા પાકિસ્તાને અંતે અભિનંદન વર્તમાનને ભારતને સોંપવાની જાહેરાત કરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે બુધવારે થયેલા હવાઈ હુમલામાં ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનવ વર્તમાનને પાકિસ્તાન આર્મીએ તેમના કબ્જામાં લીધા હતાં. ત્યાર બાદ ભારતે અભિનંદનની સુરક્ષિત ઘર વાપસી માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતાં.

વડાપ્રધાન ઈમરાન ખાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની જાહેરાત સાથે કહ્યું કે છે, આને પાકિસ્તાનની નબળાઈ ન સમજવી જોઈએ.

અભિનંદનની મુક્તિને ભારતની મોટી કૂટનીતિક સફળતા માનવામાં આવી રહી છે. ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અભિનંદનને કોઈ નુકસાન ન થવું જોઈએ. આ ઘટનાક્રમ બાદ પૂર્વ સેન્યકર્મી જનરલ જીડી બક્સીએ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતથી ડરી ગયું છે અને ઈમરાન ખાને ભારતની આગળ ઝુકાવી દીધુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, આજે સાંજ સુધીમાં ભારત-પાકિસ્તાન માટે એક સારા સમાચાર મળશે.

વિંગ કમાન્ડર અભિનંદનની ઘર વાપસીને માટે સમગ્ર દેશ દુઆ કરી રહ્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર સુબોધ કુમારનું કહેવુ છે કે, જિનેવા સંધિ હેઠળ દુશ્મન દેશ અભિનંદન સાથે કોઈ પણ પ્રકારનું ટોર્ચર કે, ડરાવવા ધમકાવવાનું કામ નહીં કરી શકે, ન તો તેને અપમાનિત કરી શકે.

રેડક્રોસ મારફતે અભિનંદનની થશે ઘર વાપસી

યુદ્ધ કેદીઓને રેડક્રોસ મારફતે જે તે દેશને પરત સોંપવામાં આવે છે. પાકિસ્તાન પણ રેડક્રોસના પ્રતિનિધિ મારફતે એરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને ભારતને સોંપશે. એટલે કે આ મામલે થર્ડ પાર્ટી શામેલ થશે.

શું છે રેડક્રોસ

રેડક્રોસ એક સ્વતંત્ર સંસ્થા છે, જે કોઈ પણ દેશની સરકારના દબાણમાં કામ નથી કરતી. આ સંસ્થાનો મુખ્ય સિદ્ધાંત માનવતાની સેવા કરવાનો કરવાનો છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યુ હોય, ત્યાં રેડક્રોસ ઘાયલ સેનિકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આ સંસ્થાની સ્થાપના હેનરી ડયૂનેન્ટે 9 ફેબ્રુઆરી 1863ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જિનેવા શહેરમાં કરવામાં આવી હતી. આ સમયે પાંચ લોકોની કમિટી હતી. એ જ વર્ષે જિનેવામાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન થયું હતું જેમાં 18 દેશોએ ભાગ લીધો હતો. ત્યાં જ રેડક્રોસ સોસાયટીને કાયદાનું રૂપ મળ્યું પ્રાપ્ત થયુ. હેનરી ડ્યૂનેન્ટને 1901માં શાંતિ માટે પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યું.

કારગીલ યુદ્ધ વખતે પણ ભારતીય વાયુસેનાના ફાયટર પાયલોટ નચિકેતા પાકિસ્તાનના કબ્જામાં જતાં રહ્યાં હતાં. તેમની ઘર વાપસી માટે ભારત સરકારે પ્રયત્નો કર્યા અને અંતે પાકિસ્તાને રેડક્રોસ મારફતે નચિકેતાને ભારતને પરત સોંપ્યા હતાં.

જો યુદ્ધ દરમિયાન જો કોઈ પણ સેનિક અન્ય દેશમાં પકડાય જાય તો, તેમના પર જિનેવા સંધિ લાગૂ થઈ જાય છે. અભિનંદન મામલે જો પાકિસ્તાન જિનેવા સંધિનું પાલન ન કરત તો તેમને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ જવાબ આપવો પડત.