સરદાર પટેલને પીએમ મોદીની શબ્દાંજલિ

દેશને એકતાંતણે બાંધનાર આધુનિક ભારતનાં શિલ્પી સરદારને
વિશેષ શ્રદ્ધાંજલિ

ભારત દેશ આજે તેના પ્રથમ નાયબ વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. સરદાર પટેલ ખાસ કરીને બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવ્યા બાદ ભારતની એકતા અને અખંડતાને મજબૂત કરવા માટે જાણીતા છે. વલ્લ્ભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે એમની જન્મતિથિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમને આ શબ્દાંજલિ
અર્પણ કરી છે.

વર્ષ 1947 અગાઉનાં છ મહિના ભારતનાં ઇતિહાસમાં અતિ મહત્વપૂર્ણ રહ્યાં હતાં. સામ્રાજ્યવાદી શાસનની સાથે-સાથે ભારતનું વિભાજન પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું. જોકે દેશનું એકથી વધારે વાર વિભાજન થશે કે નહીં એ સંપૂર્ણપણે સ્પષ્ટ નહોતું. મોંઘવારી આસમાને આંબી ગઈ હતી, ખાદ્ય ચીજવસ્તુઓની અછત સામાન્ય હતી, છતાં આ તમામ પરિબળો કરતાં વધારે ચિંતા ભારતની એકતા અને અખંડિતતાને લઈને હતી, જે એ સમયે જોખમમાં હતી.

આ પૃષ્ઠભૂમિમાં ‘ગૃહ વિભાગ’ની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી અને વર્ષ 1947નાં જૂન મહિનામાં એની રચના કરવામાં આવી. આ વિભાગનું મુખ્ય લક્ષ્ય 550થી વધારે રજવાડાઓને ભારતની સાથે એમનાં જોડાણ વિશે વાત કરવાનું હતું, જેમના આકાર, વિસ્તાર અથવા આર્થિક સ્થિતિઓમાં ઘણી વિવિધતા હતી. એ સમયે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, “રજવાડાઓની સમસ્યા એટલી વિકટ છે કે એનું સમાધાન ફક્ત ‘તમે’ જ કરી શકો છો.” અહીં ‘તમે’નો આશય અન્ય કોઈ નહીં, પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છે, જેમની જયંતિ આજે આપણે ઉજવી રહ્યાં છીએ અને આપણે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છીએ.

પોતાની વિશિષ્ટ સરદાર પટેલ શૈલીમાં એમણે સટીક રીતે દ્રઢતા અને વહીવટી ક્ષમતાની સાથે આ પડકારને પાર પાડ્યો. સમય ઓછો હતો અને જવાબદારી બહુ મોટી હતી. પણ એને સુપેરે પાર પાડનાર કોઈ સાધારણ વ્યક્તિ નહોતા, પણ સરદાર પટેલ પોતે જ હતા. એમણે કોઈ પણ સ્થિતિસંજોગોમા પોતાનાં રાષ્ટ્રને ઝુકવા નહીં દે એવો દ્રઢ સંકલ્પ કર્યો હતો. એમણે અને એમની ટીમે એક-એક કરીને તમામ રજવાડાઓનાં શાસકો સાથે વાત કરી અને આ તમામ રજવાડાઓ ‘આઝાદ ભારત’નું અભિન્ન અંગ બને એ સુનિશ્ચિત કર્યું.
સરદાર પટેલે ખંત અને લગન સાથે રાતદિવસ એક કરીને આ કાર્યને પૂર્ણ કર્યું. એમની એ કાર્યશૈલીને પગલે જ આધુનિક ભારતનો વર્તમાન એકીકૃત નકશો આપણે જોઈ રહ્યાં છીએ.

કહેવાય છે કે, વી પી મેનને સ્વતંત્રતા મળતાં સરકારી સેવામાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સમયે સરદારે એમને કહ્યું હતું કે, અત્યારે સમય આરામ કરવાનો કે નિવૃત્ત થવાનો નથી. સરદાર પટેલ એવો દ્રઢ સંકલ્પ ધરાવતાં હતાં. વી પી મેનનને વિદેશ વિભાગનાં સચિવ બનાવવામાં આવ્યાં. એમણે પોતાનાં પુસ્તક ‘ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ’માં લખ્યું છે કે, સરદાર પટેલે આ અભિયાનમાં કેવી રીતે નેતૃત્વ કર્યું અને સંપૂર્ણ ટીમને પરિશ્રમ સાથે કામ કરવા માટે કેવી રીતે પ્રેરણા આપી. તેમણે લખ્યું છે કે, સરદાર પટેલ માટે ભારતની જનતાનું હિત સર્વોપરી હતું, જેની સાથે કોઈ સમજૂતી ન થઈ શકે.

આપણે 15 ઓગસ્ટ, 1947નાં રોજ નવા ભારત, સ્વતંત્ર ભારતનાં ઉદયનો ઉત્સવ ઉજવ્યો. પણ રાષ્ટ્રનિર્માણનું કાર્ય અધૂરું હતું. સ્વતંત્ર ભારતનાં પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે વહીવટી માળખું રચવાનાં કાર્યની શરૂઆત કરી, જે અત્યારે પણ ચાલુ છે – પછી એ રોજિંદા વહીવટી સંચાલનનો મામલો હોય કે પછી ગરીબ અને વંચિત લોકોનાં હિતોનું રક્ષણ કરવાનો મામલો હોય.

સરદાર પટેલ અનુભવી વહીવટકર્તા હતાં. વહીવટમાં એમનો અનુભવ, ખાસ કરીને 1920નાં દાયકામાં અમદાવાદ નગરપાલિકામાં એમની સેવાનો અનુભવ, સ્વતંત્ર ભારતનાં વહીવટી માળખાને મજબૂત બનાવવામાં ઉપકારક પુરવાર થયો. એમણે અમદાવાદમાં સ્વચ્છતાના કાર્યને આગળ વધારવા પ્રશંસનીય કાર્ય કર્યું હતું. એમણે સંપૂર્ણ શહેરમાં સ્વચ્છતા અને પાણીનાં નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. એમણે માર્ગ, વીજળી અને શિક્ષણ જેવી શહેરી માળખાગત સુવિધાઓનાં અન્ય પાસાંઓ પર પણ ભાર મૂક્યો હતો.

જો આજે ભારતમાં સહકારી ક્ષેત્ર એની જીવંતતા માટે જાણીતું છે, તો એનો શ્રેય સરદાર પટેલને જાય છે. ગ્રામીણ સમુદાયો, ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવાનું એમનું વિઝન અમૂલ યોજનામાં જોવા મળે છે. સરદાર પટેલે જ સહકારી હાઉસિંગ સોસાયટીઓનાં વિચારને લોકપ્રિય બનાવ્યો હતો અને આ રીતે અનેક લોકો માટે સન્માન અને આશ્રય સુનિશ્ચિત કર્યો.

સરદાર પટેલ નિષ્ઠા અને પ્રામાણિકતાનો પર્યાય હતાં. ભારતનાં ખેડૂતોને સરદારમાં વિશ્વાસ હતો. તેઓ ખેડૂતપુત્ર હતાં અને તેમણે આગલી હરોળમાં રહીને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. શ્રમિક વર્ગને સરદારમાં આશાનું કિરણ દેખાતું હતું. તેઓ સરદારને એવા નેતા તરીકે જોતા હતા જે તેમના માટે બોલે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ એમની સાથે કામ કરવાનું પસંદ કર્યું હતું, કારણ કે સરદાર પટેલ ભારતનાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું વિઝન ધરાવતાં દિગ્ગજ નેતા છે એમ તેઓ સમજતાં હતાં.

એમનાં રાજકીય મિત્રો પણ એમનાં પર ભરોસો કરતાં હતાં. આચાર્ય કૃપલાની કહેતાં હતાં કે, જ્યારે તેઓ કોઈ દુવિધામાં હોય અને બાપૂનું માર્ગદર્શન ન મળે, તો તેઓ સરદાર પટેલને શરણે જતાં હતાં. જ્યારે વર્ષ 1947માં રાજકીય સમજૂતીઓ ચરમસીમા પર હતી, ત્યારે સરોજિની નાયડૂએ એમને “સંકલ્પશક્તિ ધરાવતા ગતિશીલ વ્યક્તિ”ની ઉપમા આપી હતી.

એમનાં શબ્દો અને એમની કાર્યશૈલી પર બધાને વિશ્વાસ હતો. જાતિ, ધર્મ, ઉંમર એવા તમામ પ્રકારનાં ભેદભાવોથી પર થઇને બધા સરદાર પટેલનું સન્માન કરતાં હતાં.

આ વર્ષે સરદારની જયંતિ વિશિષ્ટ છે. આજે 130 કરોડ ભારતીયોનાં આશીર્વાદથી ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું લોકાર્પણ થઈ રહ્યું છે. નર્મદાનાં તીરે સ્થિત ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક છે. ધરતીપુત્ર સરદાર પટેલ આપણું શીશ ગર્વ સાથે ઊંચું કરવાની સાથે આપણને દ્રઢતા પ્રદાન કરશે, આપણું માર્ગદર્શન કરશે અને આપણને પ્રેરિત કરશે.

સરદાર પટેલની આ ભવ્ય પ્રતિમાને વાસ્તવિક સ્વરૂપ આપવામાં રાતદિવસ કામ કરનાર તમામને હું અભિનંદન આપું છું. મને 31 ઓક્ટોબર, 2013નો એ દિવસ યાદ આવે છે, જ્યારે આપણે આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો પાયો નાંખ્યો હતો. આટલી મોટી યોજના વિક્રમ સમયગાળામાં પૂરી થઈ એના પર દરેક ભારતીયને ગૌરવ હોવું જોઈએ. હું તમને બધાને આગામી સમયમાં ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ને જોવા-જાણવા અને માણવા માટે આવવા આગ્રહ કરું છું.

‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ દિલોની એકતા અને આપણી માતૃભૂમિના ભૌગોલિક ઐક્યનું પ્રતીક છે. એ યાદ અપાવે છે કે, અંદરોઅંદર વિભાજીત થઇ જવાથી આપણે કોઈ પણ પડકારનો મુકાબલો નહીં કરી શકીએ. આપણે એક થઈને જ દુનિયાનો સામનો કરી શકીશું અને વિકાસ તથા ગૌરવની નવી ઊંચાઈઓ સર કરી શકીશું.

સરદાર પટેલે સંસ્થાનવાદનાં ઇતિહાસને ખતમ કરવા માટે અભૂતપૂર્વ ઝડપ સાથે કામ કર્યું અને રાષ્ટ્રવાદની ભાવના સાથે ભારતને એકતાંતણે બાંધી દીધું. તેમણે ભારતને નાનાં નાનાં રજવાડાં કે રાજ્યોમાં વિભાજીત થતાં બચાવ્યું અને રાષ્ટ્રીય માળખામાં સૌથી નબળાં ભાગોને જોડી દીધા. અત્યારે આપણે 130 કરોડ ભારતીયો નવા ભારતનું નિર્માણ કરવા માટે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છીએ, જે મજબૂત, સમૃદ્ધ અને સમગ્ર હશે. દરેક નિર્ણય એ સુનિશ્ચિતતા સાથે લેવામાં આવે છે કે, વિકાસનો લાભ ભ્રષ્ટાચાર અથવા પક્ષપાત વિના સમાજનાં સૌથી નબળાં વર્ગ સુધી પહોંચે, જે સરદાર પટેલનું સ્વપ્ન હતું.

નરેન્દ્ર મોદી
ભારતનાં પ્રધાનમંત્રી