ચોમાસામાં જીવજંતુ કરડે તો શું કરવું?

ચોમાસાની ઋતુ કોને ન ગમે? પરંતુ આ ઋતુમાં બીજી એક સમસ્યા એ પણ છે કે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે તેઓ કરડી જાય તો દુ:ખાવો, બળતરા અને સોજાની સમસ્યા ઊભી થઈ જાય છે. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવીએ છીએ જેના કારણે તમને ઘણી રાહત મળી શકે છે.કીડી, મધમાખી કે કોઈ અન્ય જીવજંતુ કરડી જાય તો ત્વચા લાલ થઈ જાય છે,સોજો આવી જાય છે તો જે જગ્યાએ જીવજંતુ કરડ્યું છે તે જગ્યાએ તરત જ બરફ ઘસી નાખો. બરફ ઘસવાથી બળતરા ઓછી થશે અને સોજો પણ દૂર થશે. ટુવાલમાં બરફનો ટુકડો લઈ અને જીવજંતુના કરડવાના સ્થાન પર ૨૦ મિનિટ સુધી રાખો. તેની ઠંડકથી રક્તવાહિનીઓ સંકોચાઈ જશે અને દુઃખાવો તેમજ ખંજવાળની અનુભૂતિ નહીં થાય.

જો કીડી, મધમાખી કે બીજા કોઈ જીવજંતુ કરડ્યું હોય તો ઘરમાં હાજર ટૂથપેસ્ટ તમારા કામમાં આવી શકે છે. જી હા, તમે સાચું જ વાંચ્યું. ટૂથપેસ્ટ આ કામમાં ઉપયોગી છે. તેને તરત જ કરડવાના સ્થાન પર લગાવો. ટૂથપેસ્ટમાં ઍન્ટીબૅક્ટેરિયલ અને ઍન્ટી સેપ્ટિક ગુણો હોય છે. તેથી તે દુઃખાવો અને સોજો ઘટાડે છે. તેમાં હાજર મિન્ટ (ફૂદીના)થી બળતરા શમે છે.બેકિંગ સોડા પણ જીવજંતુ કરડે તો એક પ્રભાવી પ્રાકૃતિક ઉપચાર છે. તેની ક્ષારીય પ્રકૃત્તિ કીડાના ડંખને નિર્મૂલ કરવામાં મદદ કરે છે. તેમાં ઍન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જેના લીધે સોજો, દુઃખાવો અને લાલાશ ઓછી થાય છે. સમસ્યા થાય તો એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવી લો. પછી એ પેસ્ટને પ્રભાવિત હિસ્સા પર પાંચથી દસ મિનિટ સુધી લગાવો.

જીવજંતુ કરડે ત્યારે ખંજવાળ આવે છે, બળતરા અને સોજો થાય છે. આ માટે તુલસીનાં પાંદડા ઉપયોગી છે. આપણાં શાસ્ત્રોમાં એટલે જ તુલસીને ભગવાન વિષ્ણુનાં પત્નીનો દરજ્જો આપી પૂજનીય મનાયું છે અને દરેક ઘરમાં તુલસીનો ક્યારો ફરજિયાત હોવો જોઈએ તેમ કહેવાયું છે. તુલસીનાં પાંદડાંને મસળીને તેને ત્વચા પર દસ મિનિટ સુધી ઘસો. તેનાથી બળતરા ઓછી થશે અને ચેપ પણ નહીં ફેલાય.જીવજંતુ કરડે તો તાત્કાલિક રાહત મેળવવા માટે એક ઉપાય મધનો પણ છે. તેમાં હાજર ઉત્સેચક ઝેરને નિર્મૂલ કરવામાં મદદ કરે છે અને તેના ઍન્ટીબૅક્ટેરિયા ગુણ સંક્રમણને વધવા નથી દેતા. સાથે જ તે દુઃખાવા અને ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે. જીવજંતુના ડંખવાળા હિસ્સામાં મધ લગાવીને તેને છોડી દો. તેની ઠંડકથી ડંખનાં લક્ષણો ઓછાં થાય છે.