એમેઝોનને ટક્કર આપવા અંબાણીનો પ્લાન…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પશ્ચિમ ભારતમાં 12 લાખ રીટેલર્સ તથા સ્ટોર-માલિકોને પોતાનો ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર છે. એ માટે કંપનીએ એક મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી છે જે પાછળનો ઉદ્દેશ્ય ઘરઆંગણે એમેઝોન તથા વોલમાર્ટની ફ્લિપકાર્ટ સામે ટક્કર લેવાનો છે.

એશિયાના સૌથી શ્રીમંત એવા મુકેશ અંબાણીનો ઈરાદો પોતાની જિયો ટેલીકોમ સર્વિસ, મોબાઈલ ડિવાઈસીસ તથા વ્યાપક રીટેલ નેટવર્કને એકબીજા સાથે સાંકળીને વિશ્વની સૌથી મોટી રીટેલર કંપનીઓને ટક્કર આપવાનો છે.

ઝડપથી વૃદ્ધિ પામી રહેલી જિઓ કંપનીના હાલ 28 કરોડ ધારકો છે જ્યારે અંબાણીના રિલાયન્સ ગ્રુપની રીટેલ કંપની ભારતના 6,500 જેટલા શહેરો અને નગરોમાં 10 હજાર જેટલી આઉટલેટ્સ ચલાવે છે.

રિલાયન્સ રીટેલના ટોચના એક્ઝિક્યૂટિવ વી. સુબ્રમણ્યમે જણાવ્યું છે કે અમારી કંપની જિઓની એપ્સ તથા ડિવાઈસીસ મારફત દુનિયાભરના વેપારીઓને નિકટ લાવશે.

ભારત સરકારે ગયા જ મહિને નિયમોને કડક બનાવ્યા છે જેને લીધે વિદેશ સ્થિત એવી ઓનલાઈન રીટેલર કંપનીઓ પર પ્રતિબંધ આવશે જેઓ એવી કંપનીઓ મારફત ભારતમાં પ્રોડક્ટ્સ વેચી નહીં શકે જેમાં એમનો પોતાનો ઈક્વિટી હિસ્સો હશે અને માત્ર એમના પોતાના જ પ્લેટફોર્મ્સ મારફત પ્રોડક્ટ્સ વેચવાની વેપારીઓને ફરજ પાડશે.

નવા નિયમોથી એમેઝોન અને વોલમાર્ટને માઠી અસર પડશે. વોલમાર્ટે ભારતની ફ્લિપકાર્ટ ઓનલાઈન સર્વિસીસ કંપનીને 16 અબજ ડોલરના સોદામાં ખરીદી લીધી છે.

સરકારના નવા નિયમોથી રિલાયન્સ જેવી સ્થાનિક કંપનીઓને ફાયદો થશે.

અંબાણી ઈ-કોમર્સ ક્ષેત્રમાં એમના ગ્રુપની યોજનાઓની ધીમે ધીમે જાણકારી આપી રહ્યા છે. ગયા જુલાઈમાં એમણે કહ્યું હતું કે એમનું પ્લેટફોર્મ રિયાલિટી, હોલોગ્રાફ્સ અને વર્ચુઅલ રિયાલિટીનો ઉપયોગ કરશે અને લોકોને શોપિંગનો અનેરો અનુભવ કરાવશે.