ગુજરાત ચૂંટણીઃ આતંકીઓનો આ ત્રણ પર ડોળો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવીને ઉભી છે. રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. પરંતુ ગુજરાત ચૂંટણી પર આતંકીઓ તાક લગાવીને બેઠા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ચૂંટણી દરમિયાન પાકિસ્તાની આતંકીઓ કોઈ હુમલો કરવાની ફિરાકમાં હોય તેવી શક્યતાઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની આતંકીઓ સમુદ્રના માર્ગે આવીને હુમલો કરી શકે છે. આતંકીઓના નિશાના પર વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ છે.

ત્યારે પરીસ્થિતિને જોતાં કોસ્ટ ગાર્ડ દ્વારા કોઈપણ પ્રકારના આતંકી હુમલાને પહોંચી વળવા માટે એક ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. કોસ્ટગાર્ડે 10 યુદ્ધ જહાજો દિવસરાત પેટ્રોલિંગ કરવા માટે પાકિસ્તાન સાથે જોડાયેલી દરિયાઈ સીમામાં ગોઠવી દીધા છે. તો આ સિવાય દરરોજ ચાર હેલીકોપ્ટર્સ પણ આકાશ માર્ગે પેટ્રોલિંગ કરી રહ્યાં છે. તો આ સિવાય કોસ્ટગાર્ડના કમાંડો મરીન પોલીસ સાથે મળીને હાઈ સ્પીડ બોટ દ્વારા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. કોસ્ટ ગાર્ડની બે મોટી શિપ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે આઈએમબીએલ પર ચોવીક કલાક તહેનાત રહે છે.