Sunday, June 8, 2025
Google search engine
HomeSpecial StoriesO-Womaniyaલગ્નમાં અવિશ્વાસની દરખાસ્ત ‘પ્રિનઅપ એગ્રીમેન્ટ’

લગ્નમાં અવિશ્વાસની દરખાસ્ત ‘પ્રિનઅપ એગ્રીમેન્ટ’

દર્શિતા, તું પાગલ થઈ ગઈ છે કે શું? તને ખબર છે ને તારા લગ્નને હવે એક મહિનો જ બાકી છે? તો પણ આવા નખરા કરે છે. જીજ્ઞાબહેન દીકરી પર ગુસ્સો કરતા બોલ્યા, પણ મમ્મી તું સમજ, દીદીએ જો મારા જેમ સમજદારીનું કામ કર્યું હોત તો જીજુ એને હેરાન ન કરતા અને આજે એ પોતાના ઘરે હોત. અરે ગાંડી છોકરી તારુ મગજ બંધ થઈ ગયું છે. તારા પપ્પાને ખબર પડશે તો તને મારી નાખશે… એટલું બોલતાં જીજ્ઞાબહેનનો અવાજ ભારે થઈ ગયો.

પણ દર્શિતા પોતાનો જ આલાપ ગાઈ રહી હતી. મમ્મી આજનો જમાનો અલગ છે, હવે તો પ્રિનઅપ એગ્રીમેન્ટ કરીને લગ્ન કરવાનું એક ચલણ છે. એનાથી લગ્નજીવન વધારે સારું બને. તમે ન સમજી શકો. પ્લીઝ આ મારી જીંદગી છે. તમે બધા એને ખરાબ ન કરો.

હવે જીજ્ઞાબહેનના મગજનો પારો ગયો. સોફા પરથી ઉભા થઇને દીકરીનો હાથ પકડતાં બોલ્યા કે, નિયમ અમારી પસંદ છે? તું એને પ્રેમ કરતી હતી, અમને છોકરો, પરિવાર બધું સારું લાગ્યું તો અમે તારા પ્રેમલગ્ન માટે તૈયાર થઈ ગયા. હવે જ્યારે બધું બરાબર છે, તો એમાં તારા આ એગ્રીમેન્ટને વચ્ચે નાખે છે, શરમ છે કે નહીં તારામાં? લગ્ન છે કોઈ સોદો નથી કે શર્તો પર સહી કરવાની હોય. તે વિચાર્યુ છે કે તારા આ એગ્રીમેન્ટની વાતની જાણ નિયમ અને એના પરિવારને થશે ત્યારે એ લોકોને કેટલું દુઃખ થશે. જેને પ્રેમ કર્યો એના પર જ જો તને વિશ્વાસ નથી તો પછી લગ્ન જ ન કરીશ, મમ્મીના શબ્દો સાંભળી દર્શિતા એકદમ સ્તબ્ધ થઈ ગઈ.

દર્શિતાને પોતાની ભૂલ સમજાઈ અને એને એગ્રીમેન્ટના કાગળ ફાડી નાંખ્યા. પણ સવાલ એ થાય કે શું ખરેખર લગ્ન જેવા સાંસ્કૃતિક સંસ્કાર પણ શરતોને આધિન બની ગયા છે. લગ્ન સંબંધ હવે પ્રિનપશલ કરાર એટલે પ્રિનઅપ એગ્રીમેન્ટ આધારિત બની ગયા છે.

શું છે પ્રિનઅપ એગ્રીમેન્ટ ?

‘કોઈ શરત હોતી નહીં પ્યાર મેં મગર પ્યાર શરતો સે તુમને કિયા.’ આ વાતને જો થોડી જુદી રીતે લખીએ તો, લગ્ન કોઈ શરત આધારિત એગ્રીમેન્ટ નથી. પણ હવે લગ્નમાં પણ શરતોનો  દાવ લાગે છે. લગ્ન પહેલાં લાખોના ખર્ચે ડેસ્ટિનેશન પ્રિ-વેડિંગ કરતા કપલને જોઇ કોઈને જરાય ખ્યાલ ન આવે કે આ કપલ જે થોડા દિવસોમાં એકબીજાના લાઈફ પાર્ટનર બનવાના છે. એમને એક-બીજા પર વિશ્વાસ જ નથી. જેના કારણે એમણે લગ્ન પહેલા જ પ્રિનઅપ એગ્રીમેન્ટ કર્યો છે.

પ્રિનઅપ કરાર વિશે ડીટેલમાં વાત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે આખરે આ કરાર છે શું ?

જયારે કોઈ યુગલ કે જે લગ્ન કરવા જઈ રહ્યા છે એ  લગ્નની જવાબદારી અંગે કોઈ કરાર કરે છે ત્યારે એને ચોક્કસ કરાર, પ્રિન્યુપ્શિયલ એગ્રીમેન્ટ અથવા પ્રિનઅપ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે

કાયદો શું કહે છે?

ભારતીય કાનૂની પ્રણાલી અનુસાર, આ કરાર ન તો સંપૂર્ણપણે માન્ય છે કે ન તો કાયદામાં રદબાતલ છે. ભારતીય સંસ્કૃતિની વિભાવના મુજબ, પ્રિનઅપ એગ્રીમેન્ટનો ખ્યાલ યુગલો માટે ખૂબ જ નવો છે. ભારતમાં  લગ્ન કરતા પહેલા બે વ્યક્તિઓ માટે લગ્ન પૂર્વેનો કરાર કરવો ખૂબ જ દુર્લભ છે, પરંતુ પશ્ચિમી દેશોમાં પ્રિનઅપ એગ્રીમેન્ટનો આ વિચાર સાવ સામાન્ય છે અને ત્યાં લગભગ દરેક જણ આ કરાર કરે છે.

ભારતમાં લગ્ન એ કોઈ એક પ્રકારનો કરાર નથી,  જેથી હિન્દુ મેરેજ એક્ટ 1955 પ્રમાણે પ્રિનઅપ એગ્રીમેન્ટ માન્ય હોઈ શકે, પરંતુ એ ભારતીય કરાર અધિનિયમ 1872ના દાયરામાં આવે છે કારણ કે પ્રિનઅપ એ બે પક્ષો વચ્ચે એક પ્રકારનો કરાર છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ ફેમિલી કોર્ટના વકીલ પૂજા પ્રજાપતિ કહે છે, “સામાન્ય વાતોના કરાર તો ઠીક, પરંતુ હવે યુવાનો લગ્ન પહેલાં કન્ડિશન કરાર કરતા હોય છે. જેમ કે વીકમાં એક વખત હું ડ્રિન્ક કરીશ કે પાર્ટી કરીને આવીશ તો તું દખલગીરી નહીં કરે, યુવતીઓ પોતાની કિટી પાર્ટી, મિત્ર વર્તુળને મળવા પર રોકટોક નહીં લાગે એવો કરાર કરાવે છે. એકબીજાના ફોન ચેક નહીં કરવાનો કે ઉપાડવાના નહીં, લગ્નજીવન સારું ન ચાલે તો સમજૂતીથી છૂટાછેડા લઈશું, આ સમય દરમિયાન બાળક આવે તો ખર્ચ અડધો અડધો ભોગવીશું, જેઠાણી કામ નહીં બતાવે, ટૂંકમાં એવી દરેક બાબતોનો કરાર કરે છે, જેમાં બંધાવવાનું પણ નહીં અને જવાબદારી પણ ન આવે. લગ્ન પછી પોતાની જવાબદારી માંથી છૂટા થવા માટેનો યુવાનો આ વે અપનાવી રહ્યા છે.”

આ કારણે પણ થાય છે એગ્રીમેન્ટ

ઘણીવાર સારા પ્રોફેશન સાથે જોડાયેલા અને સમાજમાં સમજદાર ઘણાતા લોકો પણ લગ્ન પહેલા પ્રિનઅપ એગ્રીમેન્ટ કરે છે. આવા જ એક કિસ્સાની ચર્ચા કરતા એડવોકેટ પૂજાબહેન કહે છે, “અમારી સાથે જ એક વકીલ ભાઈ છે એમણે લગ્ન પહેલા પ્રિનઅપ એગ્રીમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. એમને એવો ડર છે કે લગ્ન પછી પત્ની મને અલગ રહેવાનું કહેશે તો, અથવા મારી સાથે ખોટી માથાકૂટ કરી છુટાછેડાનો કેસ ફાઇલ કરી ખોટી રીતે ખાધાખોરાકી માગશે તો..આવા ખોટા ડરના કારણે એ વકીલભાઈએ નક્કી કર્યુ છે કે લગ્ન કરવા તો પ્રિનઅપ એગ્રીમેન્ટ સાથે જ.”

વીરમગામના એક પરિવારની તો વાત જ જુદી છે. આ કિસ્સામાં જે રીતે પ્રિનઅપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે એ રીતે તો ભાગ્યે જ કોઈ જગ્યાએ થયો હશે. વાત જાણે એમ હતી કે રમીલાબહેન ઠાકોર અને એમના પતિ નિલેશભાઈ ઠાકોર(નામ બદલ્યા છે) લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેતા. રોજબરોજ નાની મોટી માથાકૂટ થયા કરતી. પરંતુ આ બંનેના લગ્નની ગાડી પાટા પર ચાલી જતી. એમાં એક દિવસ ખબર પડી કે ગીતાબહેન પ્રેગનેન્ટ છે. ઘરમાં તો ખુશીની લહેર આવી ગઈ. જોતજોતામાં નવ મહિના પુરા થયા અને બાળક આવ્યું. થોડો સમય બધું ઠીક રહ્યું પણ ફરી પાછા ઘર કંકાસ શરૂ થયા. મહિલા સાસરીયા વિરુદ્ધ 498ની કલમ અને 125 ભરણપોષણની કલમ લગાવી. કેસ કોર્ટમાં ચાલવા લાગ્યો, મુદત પડી, એ દરમિયાન પતિ-પત્નીને  એકબીજા સાથે ફરી પ્રેમ થયો અને નક્કી કર્યુ કે હવે આપણે સાથે જ રહીશું. આ કિસ્સામાં વકીલની સલાહ લઈને બંને પ્રિનઅપ એગ્રીમેન્ટ કર્યો.

આ બાબતોનો કરવામાં આવે છે ઉલ્લેખ..

પ્રિન્યુપશિયલ એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમાં બંને પક્ષની મંજૂરી હોય. જેમ કે સંપત્તિ અને જવાબદારીની સરખી વહેંચણી, જવાબદારી પ્રમાણે સરખો વ્યવહાર કરવો, જ્યારે બાળક આવે તો એની દેખરેખ બંને જણાની પ્રાથમિક્તા, લગ્ન પહેલા કોઈ લોન લીધી હોય તો એની ચોખવટ,  સંયુક્ત મિલકત ખરીદી કરવામાં આવે તો એની સ્પષ્ટતા, વ્યક્તિગત મિલકતમાં હક દાવો નહીં, જો બંને નોકરી કરતા હોય તો ઘરનો કુલ ખર્ચ બે ભાગમાં વહેંચાશે, આ ઉપરાંત લગ્ન પહેલા બંને પક્ષની નાણાકીય સ્થિતિ દર્શાવતી બાબતો પણ લખવામાં આવે છે.

સામાન્ય રીતે પ્રિનઅપ એગ્રીમેન્ટ 300 રૂપિયાના સ્ટેમ્પ પર કરવામાં આવે છે. જેમાં બંને પક્ષની સહી કરવામાં આવે છે. જો કે એક વાત એ પણ છે. કે પ્રિનઅપ એગ્રીમેન્ટ કાયદાકીય રીતે માન્ય નથી ગણાતો. પરંતુ હા લગ્ન પછી જો કોઈ કારણોસર વાત ડિવોર્સ સુધી પહોંચે  તો આ એગ્રીમેન્ટને એક પુરાવા તરીકે જોઈ શકાય છે. ટૂંકમાં પ્રિનઅપ એગ્રીમેન્ટનું મૂલ્ય સમજૂતીના મેમોરેન્ડમ જેટલું જ છે.

કરાર આધારિત લગ્નોમાં એક પ્રકારનો ડર છુપાયેલો છે

યુવાનો પ્રિનઅપ એગ્રીમેન્ટને લઈને હવે ગંભીર બની રહ્યાં છે, જેની પાછળનું એક કારણ છુટાછેટા પણ છે. છેલ્લા પાંચ વર્ષમાં ડિવોર્સના કેસમાં લગભગ 40 ટકા વધારો થયો છે. છૂટાછેડાના દરમાં ભારે વધારાના કારણે પ્રિનઅપ કરાર લગ્ન માટે આદરપૂર્ણ કલ્પના માનવામાં આવે છે. વિદેશની વાત કરીએ તો માત્ર ઑસ્ટ્રેલિયામાં, 60% લગ્ન પહેલા પ્રિનઅપ કરાર કરે છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં છૂટાછેડાના 63% વકીલો માને છે કે બે વર્ષમાં લગ્ન પહેલાના કરારમાં વધારો થયો છે.

સામાજીક કાર્યકર અને એડવોકેટ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “પ્રિનઅપ એગ્રીમેન્ટ આમ તો આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને લગ્નના પવિત્ર બંધનને બદનામ કરતો એગ્રીમેન્ટ છે. છતાં આજે અનેક લોકો આવા કરાર કરવામાં શાન સમજે છે. યુવાનો આ એગ્રીમેન્ટમાં અનેક શરતો રાખે છે, જેમ બંને જણા બહારગામ નોકરી કરતા હોય તો એક વીકએન્ડ સાસરીમાં અને એક વીકએન્ડ પીયરમાં રહેવાનું, પત્નીના માતા-પિતા સાથે કમસેકમ મહિનામાં બે વખત ટેલીફોનિક વાતચીત કરવાની જ. બંને જણાને એકબીજાના પારિવારીક પ્રસંગોમાં સાથે જવાનું, એક બીજાનું સમ્માન જાળવવું એક બીજાના પૈસા પર હક નહીં કરવાનો, જેવા અનેક નિયમો કાગળ પર ઉતારે છે. જો કે મારું અંગત માનવું છે કે આવા કરાર આધારિત લગ્નોમાં એક પ્રકારનો ડર છુપાયેલો હોય છે. ક્યારેક કરારના કારણે જ છુટા પડવાનો પણ વારો આવે છે.”

સંતાનોની ખુશી માટે પરિવાર માને છે

જ્યારે ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ તો વધ્યું છે છતાં એને સામાજિક કલંક માનવામાં આવે છે. તદુપરાંત, આવા કરારો વ્યવસાયિક સોદા જેવા લાગે છે અને પરિવારો આવા કરારોમાં પ્રવેશવામાં અસ્વસ્થતા અનુભવે છે.બીજી બાજુ મોટા ભાગના લોકો માને છે કે આવી પ્રણાલીઓ ફક્ત શ્રીમંત લોકો માટે જ છે.

સુરતના વિવાહ મેરેજ બ્યુરોના ઓનર ચાંદની દલાલ ચિત્રલેખા.કોમને કહે છે, “આજકાલની યુવા પેઢીને લગ્ન જેવા પવિત્ર બંધન પર જાણે કે વિશ્વાસ જ નથી રહ્યો. અમારા ત્યાં ઉચ્ચ જ્ઞાતિ અને સારા પરિવારના બાયોડેટા આવે છે. સામાન્ય રજૂઆતો હોવી એક વાત છે અને તમારી વાતોને પેપર પર લખી શરતો મુકવી બીજી વાત. પરંતુ મારે કહેવું પડશે કે હા અમારે ત્યાં આવતા ઘણા લોકો પ્રિનઅપ એગ્રીમેન્ટ, લગ્ન પહેલા મેડિકલ ચેકઅપ જેવી અનેક શરતો રાખે છે. પરિવાર આવી વાતોમાં રાજી નથી હોતા. પરંતુ સંતાનોની ખુશી માટે આવા કરાર પર મહોર મારે છે.

વિદેશના એક યુવકના બાયોડેટા મારી પાસે આવ્યા હતા, એને આવા કરાર વિશે વાત કરી હતી, એને ડર હતો કે લગ્ન પછી કદાચ ખોટી રીતે પત્ની હેરાન કરી મિલકત પર હક કરે તો. અને આવા કિસ્સા સમાજમાં જોવા પણ મળે છે. હકીકતમાં મહિલાઓના રક્ષણ માટે બનાવેલા કાયદાનો ઘણી મહિલાઓ ખોટો ઉપયોગ કરે છે. માટે ઘણા યુવકો લગ્ન પહેલા આવા કરાર કરવાનું વિચારે છે.”

હેતલ રાવ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular