Monday, June 30, 2025
Google search engine
HomeSpecial StoriesO-Womaniyaસ્ત્રીના પરિધાન પર થતી ટિપ્પણી કેટલી યોગ્ય?

સ્ત્રીના પરિધાન પર થતી ટિપ્પણી કેટલી યોગ્ય?

રિદ્ધિ ઘરનું કામ પરવારી ઓફિસ જવા માટે સ્કુટરની ચાવી શોધી રહી હતી. એટલામાં એના સાસુ લલિતાબહેન અને પાડોશી જયાબહેન ઘરમાં પ્રવેશ્યા. રિદ્ધિ ચાવી લઈને ઉતાવળે સાસુને બાય કહીને નીકળી ગઈ. આ જોઈ જયાબહેન તરત બોલ્યા, અલી લલિતા, તારી વહુ પર તો તારો જરાય કંટ્રોલ નથી. હજુ પૈણીને આવે છ મહિના પણ નથી થયા, અને આ કેવા ફાટેલા કપડા પહેરીને ઓફિસ હાલી નીકળે છે? તું એને કશુ કહેતી નથી? લલિતાબહેન જરા હસીને બોલ્યા, તારી પંચાત કરવાની આદત ક્યારે જશે? કાલે પણ તું તારી બાજુમાં રહેતા સરલાબહેનની દીકરી નિધિના વસ્ત્રોની ટીકા કરતી હતી અને આજે મારી વહુ હાથમાં આવી, સુધરી જા..મર્યાદા કપડામાં નહીં આંખોમાં હોવી જોઈએ સમજી? જયાબહેન મોં મચકોડી ઘરે જવા નીકળ્યા.

પણ અહીં સવાલ તો એ જ છે કે શું સાડી પહેરતી કે પછી ડ્રેસ પહેરતી કે હંમેશા ટ્રેડિશનલ વસ્ત્રો પહેરતી સ્ત્રી જ સંસ્કારી કહેવાય? કેમ વારંવાર મહિલાને એના પરિધાનથી જજ કરવામાં આવે છે? ઘર હોય કે ઓફિસ, સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક, તહેવાર હોય કે પ્રવાસ દરેક જગ્યાએ મહિલાના વસ્ત્રોને લઈને એની ઇમેજનો દાયરો નક્કી કરી દેવામાં આવે છે. શું આ યોગ્ય છે?

અમદાવાદના પોશ ગણાતા વિસ્તારમાં રહેતા 70 વર્ષિય અનિકેતભાઈ (નામ બદલ્યું છે)શાહ પોતાની એસી કેબિનમાં બેઠા બેઠા એમને મળવા આવેલા મિત્રો સમક્ષ પોતાની આસપાસ પીજી(પેઈન્ગ ગેસ્ટ) તરીકે રહેતી કોલેજીયન યુવતીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમ કહી શકાય કે પોતાની વિકૃત માનસિક્તાને મિત્રો સમક્ષ ખુલ્લી મુકી રહ્યા હતા. હસતા હસતા અનિકેતભાઈએ કહ્યું કે અમારી આસપાસ તો સવાર પડે ત્યારથી અડધા વસ્ત્રો પહેરેલી યુવતીઓ આંટા મારતી જોવા મળે, કેપ્રીના નામે તો સાવ શોર્ટી પહેરે છે. મા-બાપને થતું હશે કે શહેરમાં અમારી દીકરી કમાતી કે અભ્યાસ કરતી હશે. પરંતુ અહીં તો આવા ટૂંકા કપડા પહેરીને યુવાનોને આમંત્રણ આપે છે. અનિકેતભાઈની આ વાતથી અમુક લોકો સહમત થશે અને અન્યનેને ગુસ્સો પણ આવશે. કારણ કે માત્ર વસ્ત્રોના આધારે મહિલાનું ચારિત્ર કોઈ કેવી રીતે નક્કી કરી શકે?

વસ્ત્રોની પસંદગી એ મહિલાની સ્વતંત્રતા 

વસ્ત્રોના મામલે આપણે ત્યાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મુંબઇની સરકારી કચેરીઓથી લઇને મંદિરમાં પણ મહિલાને કેવા પરિધાન પહેરવા એના માટે બોર્ડ લટકાવવામાં આવ્યા છે. જો કે વસ્ત્રો કેવા પહેરવા એ મહિલાની સ્વતંત્રતા છે, પણ એને ક્યાં પહેરવા એ પણ મહિલાની  વિવેકબુદ્ધિ પર નક્કી થાય છે. આ વાત પુરૂષોને પણ લાગુ પડે છે. વસ્ત્રો પર્સનાલિટી નક્કી કરે છે. સામેની વ્યક્તિ કપડા દ્વારા મહિલાને જજ કરે છે. આ વિશે અમદાવાદની સારી કંપનીમા ઉચ્ચ હોદ્દા પર કામ કરતી સુસ્મિતા પાંસલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “કેટલાક લોકોનું માનવું છે કે મહિલાઓની સુરક્ષા માટે જ એમને પરિધાનની પસંદગી કરતા સમયે સો વખત વિચારની સલાહો આપવામાં આવે છે.  દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ મહિલાઓને પોતાની પસંદના કપડા પહેરાવાની આઝાદી નથી, સોરી આઝાદી છે પરંતુ સાથે અનેક પ્રકારની નક્કામી ટીકા સાંભળવાની પણ તૈયારી રાખવી પડે છે. કપડાંથી કેવી રીતે નક્કી થાય કે કોણ ખરાબ છે કે સારા.  મહિલાઓએ કપડાથી જજ કરવાની સમાજમાં એક નકારાત્મક માનસિકતા છે.”

મહિલાના અધિકારો પર સીધો પ્રહાર

મહિલાઓના વસ્ત્રો પર ટિપ્પણીઓ કરવી એ સમાજમાં એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે. આ પ્રકારની ટિપ્પણીઓ વ્યક્તિગત સ્વાતંત્ર્ય, શારીરિક સ્વાધીનતા અને મહિલા અધિકારો પર સીધો પ્રહાર છે. આ સમસ્યા ઘણી વાર શારીરિક દેખાવ, કપડાંની શૈલી અથવા એમની પસંદગીઓ સાથે સંબંધિત હોય છે.  ‘એક પ્રયાસ માનવતા કી ઓર’ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અને ડિરેક્ટર વિન્તી જૈન ચિત્રલેખા.કોમને કહે છે કે, માત્ર પરિધાનથી કોઈ મહિલાને જજ ન કરી શકાય. અલબત્ત, તમારું ડ્રેસિંગ યોગ્ય હોવું જોઈએ, પરંતુ એની સાથે, તમે શું પહેરો છો? તમે તમારી જાતને કેવી રીતે વહન કરશો? તમારી જાતને રજૂ કરવાની તમારી રીત,શારીરિક ભાષા પણ ખૂબ મહત્વ ધરાવે છે. આજકાલ તો સાડીને પણ એટલી ખરાબ રીતે પહેરવામાં આવે છે કે જોનારાને સારુ ન જ લાગે. આમ તો સાડી આપણી ભારતીય સંસ્કૃતિની છબી કહી શકાય. છતાં એને પહેરવાની રીત બદલાઈ ગઈ છે. ક્રોપ ટોપની જેમ બ્લાઉઝનો ઉપયોગ કરીને જ સાડી પહેરવી હોય તો મારી દ્ધષ્ટિએ એના કરતા જીન્સ –ટોપ અને ડ્રેસ વધારે સારા. તો બીજી એક વાત એ પણ છે કે કમળો હોય એને બધુ પીળું જ દેખાય એમ જેની નજર જ ખરાબ હોય એ લોકોને મહિલાના પરિધાનથી કોઈ ફર્ક નથી પડતો.

મહિલાના કપડાંને એની નૈતિકતા સાથે જોડવામાં આવે છે

સમાજમાં મહિલાઓ માટે “યોગ્ય” કપડાં અને વર્તનની નિર્ધારિત રૂપરેખા છે. જો કોઈ મહિલા આ ધારણોને ઓળંગે છે, તો એમને વ્યંગ, ટીકા-ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. તો વળી ઘણી વાર મહિલાના કપડાંને એમની નૈતિકતા સાથે જોડવામાં આવે છે. જુદા જુદા પ્રાંતોમાં સંસ્કૃતિઓ અને પરંપરાગત આદર્શોના નામ પર મહિલાઓના કપડાં અંગે એમના પરિવાર અથવા સમાજ તરફથી દબાણ આવે છે. તો વળી કેટલાક કિસ્સાઓમાં મહિલાઓના વસ્ત્રો પર ટિપ્પણીઓ માત્ર વ્યંગ્ય પૂરતી જ રહેતી નથી, પરંતુ એ આક્રામક આચરણ કે ધમકીઓમાં પણ પરિવર્તિત થાય છે. આ વિશે નડિયાદના મૈત્રી યશ ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે કે, “મારા લગ્નને હજુ થોડો સમય જ થયો છે પરંતુ મારી સાસરીમાં મારે શુ પહેરવું કે શું ન પહેરવું એ વાત મારા નિર્ભર છે. મને કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં નથી આવતું. પરંતુ સમાજમાં છોકરી સાથે થયેલા બળાત્કાર પર લોકો એટલી ચર્ચા નહીં કરે પણ જો કોઈ છોકરીનાં આંતરવસ્ત્ર દેખાવાં લાગે તો એને લઈને કાનાફૂસી શરૂ કરી દેશે. સમાજની કરુણતા છે કે લોકો અસલી મુદ્દાઓ વિશે ચર્ચા કરવા નથી માગતા એટલે જ મહિલાના વસ્ત્રોને વિષય બનાવે છે. મહિલાના પોશાક પરથી એનું ચારિત્ર્ય નક્કી થાય છે એ ભ્રાંતિ સતત જીવતી રાખવામાં આવે છે. પરંતુ કપડાં કે પોશાક કોઈના ચારિત્ર્યનું સૂચક ન હોઈ શકે. મહિલાનું કંઈ પણ અંગત હોય એવું નથી માનવામાં આવતું. મહિલાઓ વિશેની બધી બાબતને ‘પબ્લિક’ એટલે કે એના પર સમાજમાં કોઈ પણ ટિપ્પણી કરી જાય છે.”

મહિલાઓના કપડાં અંગેની ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર વધુ ખુલ્લી રીતે જોવા મળે છે, જ્યાં ટ્રોલિંગ અને ઓનલાઈન શેમિંગથી એમને હેરાન કરવામાં આવે છે. કોઈ સ્ત્રીના કપડાને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી ટિપ્પણીઓ સામે કાનૂની પગલાં લેવામાં આડંબર થાય છે અથવા જાગૃતિની ઉણપ હોય છે. આ સમસ્યા માટે સભાનતા સમાજમાં લોકોના અભિગમમાં પરિવર્તન લાવવા માટે શૈક્ષણિક અને નીતિગત અભિગમ પણ જરૂરી છે.

હેતલ રાવ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular