Friday, June 27, 2025
Google search engine
HomeSpecial Storiesહેરિટેજ વીકઃ આ છે ગુજરાતના હેરિટેજ સ્થળ...

હેરિટેજ વીકઃ આ છે ગુજરાતના હેરિટેજ સ્થળ…

દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીક ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સંસ્કૃતિ અને વારસાના જતન માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) દ્વારા માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઇટ્સની ઉજવણી કરે છે, જ્યારે ભારતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સપ્તાહમાં વારસાને બચાવવાના પ્રયાસો, હેરિટેજ સ્થળોની મુલાકાતો અને જનજાગૃતિ અભિયાન શામેલ થાય છે, જે અતીતના ગૌરવને ઉજવવા સાથે ભવિષ્ય માટેના વારસાના સંરક્ષણની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે.

હાલ આ ઉજવણી ચાલી રહી છે ત્યારે આવો એક નજર કરીએ ગુજરાતના હેરિટેજ સ્થાનો પર…

અમદાવાદ શહેર

વર્ષ 2017માં અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે અમદાવાદ શહેરની સ્થાપના વર્ષ 1411માં અહેમદશાહે કરી હતી.

એવો પણ ઈતિહાસ છે કે, સાબરમતી નદીના પૂર્વ કિનારે આશાપલ્લી કે આશાવલ નામે નગરી હતી, જે પછીથી અમદાવાદના નામે ઓળખાયું. આશાવલ નગરી પર 11મી સદીના અંતમા પાટણના ચાલુક્ય રાજાઓએ વિજય મેળવી એનું નામ કર્ણાવતી કર્યું હોવાનો પણ ઈતિહાસ છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વિવિધ સ્થાપત્યો બંધાયા.વર્ષ 1424માં સુલતાન અહમદશાહ બાદશાહે જામા મસ્જિનું નિર્માણ કર્યુ,

અમદાવાદની પ્રખ્યાત સીદી સૈયદની જાળી એક જ પથ્થરથી બનેલું બેનમુન સ્થાપત્ય છે. ગુજરાતના સુલતાન શામ-ઉદદદિન – મુઝફ્ફર ખાનના ત્રીજા સરકાર બિલાલ ખાને 1572માં સીદી સૈયદની જાળીનું નિર્માણ કરાવ્યું હતુ. અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ – બીજાએ 15મી સદીમાં નિર્માણ કરાવ્યું હતુ. વર્ષ 1451માં પૂર્ણ થયેલું કાંકરિયા એ સમયે હૌજ-એ-કુતુબના નામે ઓળખાતું હતું. આજે કાંકરિયા એ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે. અમદાવાદનો સરખેજનો રોજો પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

અમદાવાદના 12 દરવાજા અને વચ્ચે ભદ્રકાળી એ નગરમાતા છે. અમદાવાદમાં હિંદુ, મુસ્લિમ, જૈન અને ખ્રિસ્તી ધર્મના અનેક સ્થાનકો અને સ્થાપત્યો છે, જેને અમદાવાદને ગ્લોબલ સિટી સાથે હિરેટેજ સિટીનો દરજ્જો અપાયો છે. કોટ વિસ્તારમાં પોળ-ઓળ-ખડકી જેવાં રહેણાંક વિસ્તારો તો માણેકચોક, ત્રણ દરવાજા, લાલ દરવાજા, સલાપસ રોડ, ભદ્ર કિલ્લાની આસપાસનો વેપારી વિસ્તાર છે. અંગ્રેજકાળમાં અંગ્રેજી માધ્યમની શાળા, ચર્ચ, બ્રિજ, રેલવે આવી. 1915માં મહાત્મા ગાંધીએ પાલડીના કોચરબ ખાતે પ્રથમ આશ્રમ સ્થાપ્યો. આઝાદી પછી અમદાવાદમાં IIMનું બિલ્ડીંગ, આત્મા બિલ્ડીંગ, અમદાવાદ મ્યુઝિયમ, હુસૈન-દોશી ગુફા જેવા અનેક બિલ્ડિંગોને આધુનિક સ્થાપત્યમાં સ્થાન અપાયું છે.

ચાંપાનેર-પાવાગઢ

પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર એ ગુજરાતનું પ્રથમ અને દેશનું 26મું હેરિટેજ સ્થળ છે. વર્ષ 2004માં ચાંપાનેર-પાવાગઢનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ થયો હતો. કહેવાય છે કે, ઈ.સ. 1484માં મહંમદ બેગડાએ ચૌહાણ રાજા જયસિંહને હરાવીને ચાંપાનેર જીતી લીધું અને એને પોતાની રાજધાની બનાવી. 8મીથી 14મી સદીના કિલ્લાઓ, મસ્જિદો, સ્મારકો, કબરો, કમાનો, મંદિરો, પગથિયાં-કુવાઓ અને કિલ્લાઓ સાથે સમૃદ્ધ હેરિટેજ સાઇટ બનાવે છે.

પાવાગઢના માતા મહાકાળી મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે એ લોકો ચાંપાનેરની મુલાકાત અવશ્ય લે છે. અહીંના ઐતિહાસિક સ્થાપત્યો હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનાં મિશ્રણનાં ઉત્તમ ઉદાહરણો છે. ચાંપાનેરની બે માળની જામી મસ્જિદ એના 200 સ્તંભ માટે જાણીતી છે. વળી, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, સીહર કી મસ્જિદ ઉત્કૃષ્ટ કોતરણી કામના નમુનાઓ છે. ઐતિહાસિક ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક એક તીર્થસ્થાન સમાન છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાંપાનેર પ્રિ-વેડિંગ ફોટોશુટ માટે યુવાનોમાં હોટ ફેવરીટ જગ્યા છે.

રાણકી વાવ- પાટણ

જૈન સાધુ, મેરુતુંગાની 1304ની રચનામાં ઉલ્લેખ છે કે નરવરા’ ખેંગારના પુત્રી અને ચૌલુક્ય વંશની રાણી ઉદયમતીએ પાટણમાં 1063માં એમના પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બાંધાવી હતી.  આ જ રચનામાં એવો પણ ઉલ્લેખ છે કે વાવ 1063માં બનાવવાની શરૂ કરવામાં આવી હતી. જે 20 વર્ષ પછી પૂર્ણ થઈ. પુરાતત્ત્વવિદો હેનરી કાઉસન્સ અને જેમ્સ બર્ગેસે 1890માં એની મુલાકાત લીધી હતી જ્યારે એ સંપૂર્ણપણે કાટમાળની નીચે દટાઈ ગઈ હતી, અને માત્ર થોડા થાંભલા જ દેખાતા હતા. 1904ના દાયકામાં વાવની પુનઃશોધ કરવામાં આવી. ભારતીય પુરાત્તવ સર્વેક્ષણે 1980ના દાયકામાં એને પુનઃસ્થાપિક કરી. રાણકી વાવને 2014માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું.

સરસ્વતી નદીના કિનારે આવેલી, આ ગુજરાતની સૌથી જૂની અને શ્રેષ્ઠ વાવમાંની એક છે. 800થી વધુ શિલ્પો સાથે વિષ્ણુ અવતારની થીમ પર બનેલી આ વાવ ઊંધા મંદિરના રૂપમાં બનાવવામાં આવી હોય એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સાત માળની આ વાવમાં પાણીનો સંગ્રહ અને ઉપયોગ કઈ રીતે કરવો એ વાતને એ સમયના સ્થાપત્યકારોએ બખૂબી રીતે દર્શાવી છે. હવે તો એકસો રૂપિયાની ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ પણ અંકિત કરવામાં આવી છે.

ધોળાવીરા- કચ્છ

2021ના વર્ષમાં યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતના કચ્છમાં આવેલા સિંધુ ખીણની સંસ્કૃતિના પાંચ મોટા અને મહત્વના શહેરમાંનું એક એટલે ધોળાવીરા. કચ્છ જિલ્લાના ભુજથી લગભગ 200 કિમીના અંતરે હડપ્પન કાળનું આ શહેર આવ્યું છે. આ જગ્યા પર 5 હજાર વર્ષ પહેલાના નગરના અવશેષો મળી આવ્યા હતા. જેના કારણે એ દુનિયાભરમાં જાણીતું બન્યું. સંશોધન મુજબ, આજથી 3000 વર્ષ પહેલા સુધી આ નગર ધમધમતું હતું. ધોળાવીરા નગરમાંથી ઉત્તમ જળ સંગ્રહની વ્યવસ્થાના પણ અવષેશો મળ્યા છે. માત્ર ભારતનું જ નહીં પરંતુ આખા વિશ્વનું પ્રથમ ઓપન થિયેટર ધોળાવીરામાં હતું. આ સ્થળ 1967 માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું, પરંતુ 1990 થી જ વ્યવસ્થિત રીતે ખોદવામાં આવ્યું છે.

અહીં ખોદકામ દરમિયાન મળેલી કલાકૃતિઓમાં ટેરાકોટા માટીકામ, માળા, સોના અને તાંબાના ઘરેણાં, સીલ, માછલીના હૂક, પ્રાણીઓની મૂર્તિઓ, ઓજારો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી જહાજો જે દૂરની જમીનો સાથેના વેપાર સંબંધો સૂચવે છે. સિંધુ ખીણની લિપિમાં કોતરવામાં આવેલા 10 મોટા પથ્થરના શિલાલેખો પણ મળી આવ્યા હતા, જે કદાચ વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી મહત્વપૂર્ણ શોધોમાંની એક છે. આ માટે જ ધોળાવીરાને ભારતના સૌથી રહસ્યમય શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોળાવીરાની મુલાકાત દરમિયાન રણના ખારા મેદાનોમાં ચિંકારા ગઝેલ, નીલગાય, ફ્લેમિંગો અને અન્ય પક્ષીઓ જેવા વન્યજીવનને જોઈ શકાય છે.

હેતલ રાવ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular