Saturday, May 17, 2025
Google search engine
HomeSocietyYouth & Women'સીડ બોલ' બનાવી પર્યાવરણ રક્ષક બન્યાં વિદ્યાર્થીઓ: સાણંદની સ્વૈચ્છિક સંસ્થાની ઝુંબેશ

‘સીડ બોલ’ બનાવી પર્યાવરણ રક્ષક બન્યાં વિદ્યાર્થીઓ: સાણંદની સ્વૈચ્છિક સંસ્થાની ઝુંબેશ

વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માનવી ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં જન માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદસ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સાણંદની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનાં સહયોગથી ૧,૦૦,૦૦૦ જેટલા સીડ બોલ બનાવી સાણંદ આસપાસ આવેલી પડતર જમીનમાં-ઝાંખરામાં મૂકવાનું આયોજન હાથ ધરાયું છે.

ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં સાણંદ નજીકની વાદી વસાહતના બાળકો પણ ઉત્સાહભેર જોડાઈને પ્રકૃતિ જતનના આ અભિયાનમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે.

હાલના સમયમાં પર્યાવરણ ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે, અને પરિણામસ્વરૂપ માનવ સમાજ ઉપર તેની ઘાતક અસરો વર્તાઈ રહી છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનારી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરશે.

માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઈ બારોટ કહે છે કે, ‘આજે નદી, નાળા અને તળાવો સુકાઈ રહ્યા છે, માનવીઓને પીવાના પાણી માટે રઝળપાટ કરવી પડે છે. ખેતી માટે પાણી ઉપલબ્ધ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ખતરાની આ ઘંટડીને ઓળખી માનવી સફાળો જાગશે નહીં તો ભવિષ્યમાં વિપરિત પરિણામો ભોગવવા પડશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માનવ સેવા ટ્રસ્ટે સાણંદની વિવિધ પ્રાથમિક શાળાઓના સહયોગથી ‘પર્યાવરણ બચાવો’ ઝુંબેશ ઉપાડી લીધી છે.’

મનુભાઈ વધુમાં કહે છે, ‘શાળાનાં બાળકો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી ૧,૦૦,૦૦૦ સીડ બોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની પહેલ કરી છે એ જ બતાવે છે કે, આગામી પેઢી પણ પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપવા તત્પર છે.’

‘ગત વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં તથા રીંગ રોડ નજીક મોટા પ્રમાણમાં સીડ બોલ નાંખવામાં આવ્યા હતા. તેના પગલે સંખ્યાબંધ લીમડાના વૃક્ષો ઉગી નીકળ્યા છે…’ એમ મનુભાઈએ વધુમાં કહ્યું છે.

આગામી સમયમાં સાણંદના અન્ય વિસ્તારોમાં પણ સીડ બોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું મનુભાઈ કહે છે.

‘સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાવળના જંગલમાં ૧ લાખ સીડ બોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, સુબાવળ વગેરેના બી વાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે. કુદરતનો એવો ક્રમ છે કે જો બીજને માટી, ગરમી અને ભેજ મળી રહે તો તે આપોઆપ ભીંતમાં ઉગી નીકળતા પીપળાની જેમ ઉગી જાય છે. આમ જો માત્ર થોડાક જ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવી દેશે,’ એમ તેઓ વધુમાં કહે છે.

વાદી વસાહતના અગ્રણી ગોરખનાથ કહે છે કે, ‘અમારા બાળકો આમ તો સાપ અને વીંછી સાથે રમવા ટેવાયેલા છે. અમારી જીવનશૈલી પણ એ જ રીતે ગોઠવાઈ છે. પણ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમારી વસાહતમાં વાદી પાઠશાળા બનાવવામાં આવી છે. એમાં અમારા બાળકો શિક્ષણ તો મેળવે જ છે, સાથે યોગ પણ કરે છે. ટ્રસ્ટ દ્વારા સીડ બોલ બનાવીને બાવળ અથવા અન્ય વૃક્ષો નજીક મૂકવાની જે નવતર પહેલ હાથ ધરાઈ છે એમાં અમારા બાળકો પણ હોંશે હોંશે જોડાયા છે. આગામી સમયમાં આ વૃક્ષો મોટા થશે તો અમને અને આપણને સૌને ઉપયોગી થશે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular