Tuesday, June 17, 2025
Google search engine
HomeReligion & SpiritualityBAPSપ્રગતિને પૂર્ણવિરામ ન હોય...

પ્રગતિને પૂર્ણવિરામ ન હોય…

અનેક વેળા કૉર્પોરેટજગતના વિવિધ માંધાતાની પ્રગતિ જોઈને અમુક વાંકદેખા કહેતા હોય છેઃ કોણ જાણે આને હજી કેટલું કમાવું છે. આને સંતોષ જ નથી? આ વાંકદેખાઓ માંધાતા દ્વારા દેશના આર્થિક સામાજિક વિકાસ, નોકરીની તકો, વગેરેને ભૂલી જાય છે, પણ આપણો વિષય એ નથી.

જરા આ જાણીતી, પણ પ્રેરણાદાયી દષ્ટાંતકથા મમળાવોઃ એક નાનકડા ગામમાં કુશળ શિલ્પકાર રહેતો. ઘાટ વિનાના પથ્થરોમાંથી સુંદર મૂર્તિ ઘડવામાં એનો જોટો ન જડે. શિલ્પકારની કળાને નિહાળતાં સૌ મૂર્તિમંત થઈ જતા. વખત જતાં શિલ્પકારનો પુત્ર પણ શિલ્પકળામાં પ્રવીણ બન્યો, પરંતુ તે કોઈ પણ મૂર્તિ બનાવે તો પિતા એમાં કોઈ ને કોઈ ભૂલ દેખાડતા. આથી પુત્રને કાયમ અસંતોષ રહ્યા કરતો. અંતે તેણે એક યુક્તિ કરી. પોતે જ બનાવેલી એક મૂર્તિ લઈ તે પિતા પાસે ગયો અને કહ્યું: “પિતાજી, આજે સવારે માટી ખોદતાં જમીનમાંથી મને આ મૂર્તિ મળી. સુંદર છે નહીં?’ પિતાએ મૂર્તિનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું: ‘બેટા, તારે આવી મૂર્તિ બનાવતાં શીખવાનું છે.’ દીકરાએ ફોડ પાડ્યો કે આ મારી જ બનાવેલી મૂર્તિ છે. ઊંડા નિસાસા સાથે પિતાએ કહ્યું: ‘બેટા, તારી પ્રગતિ અટકી ગઈ, કારણ કે તું તારા કાર્યથી સંતુષ્ટ થઈ ગયો.’

ખરેખર પ્રગતિના પંથે સંતોષ સૌથી મોટું વિઘ્ન છે. આથી જ વિશ્વવિખ્યાત ક્રિકેટર સચીન તેંડુલકર કહે છે: ‘જે દિવસે હું એમ માનીશ કે વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હું છું તે દિવસે મારી કારકિર્દીનો અંત આવી જશે.’

આ વાક્ય એ કેવળ બોલ્યા નથી, પણ તેમના જીવનમાં પણ દેખાય છે. સચીનની કારકિર્દીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે એક પત્રકારે તેમને સફ્ળતાનું રહસ્ય પૂછ્યું. ઉત્તરમાં એ કહે કે, ‘હું રોજ સવારે છ વાગ્યે મેદાન પર પ્રૅક્ટિસ કરવા માટે પહોંચી જાઉં છું.’

ઉત્તર સાંભળી પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યોઃ ધારો કે આગલા દિવસે તમે સૅન્ચુરી ફ્ટકારી હોય તો?’

સચીન કહેઃ ‘તો શું થયું? સવારે છથી નવ પાંચસો બૉલ રમવાના એટલે રમવાના.’

વ્યક્તિગત અનુભવોની સાથે જ્યારે માનવજાતના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આ જ હકીકત નજરે ચડે છે. એક સમયે જંગલમાં લાકડાં સળગાવીને રસોઈ તો બનતી જ હતી. ઘાસના ઝૂંપડામાં ઊંઘ તો આવતી જ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડાંમાં પણ જઈ શકાતું હતું, પરંતુ મનુષ્ય ત્યાં અટક્યો નહીં. આથી જ આજે બહુમાળી ઈમારતો, જાતજાતની વાનગીઓ અને ટ્રેનથી લઈને પ્લેન સુધીની વ્યવસ્થા છે, ચૅટ જીપીટી છે. અને વિજ્ઞાન ભવિષ્યમાં હજુ ઊંચી ઉડાન ભરવાનું છે એ નિર્વિવાદ હકીકત છે.

અમેરિકામાં રૉલ્સરોયસ કંપની પોતાની પ્રથમ રજૂ કરી રહી હતી ત્યારે એની જાહેરાતમાં લખવામાં આવ્યું કેઃ ‘આ ગાડી પ્રતિ કલાકના ૬૦માઈલની ગતિએ દોડતી હશે ત્યારે તેમાંથી એક જ અવાજ સંભળાતો હશેઃ ગાડીમાં બેસનારની કાંડાઘડિયાળની ટિકટિકનો.’

હવે, જે જમાનામાં ગાડી સ્ટાર્ટ કરતાં એન્જિનના અવાજથી આખો વિસ્તાર ખળભળી ઊઠે તે જમાનામાં આ ગાડી આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. કારઉત્પાદકનું કહેવું હતું કે અમારી કાર જરાયે અવાજ નહીં કરે. પરંતુ કારઉત્પાદકોને, ઍડવર્ટાઈઝમાં ઘડિયાળનો અવાજ સંભળાતો હશે એ વાક્ય ગમ્યું નહીં. તેમણે નક્કી કર્યુ કે એન્જિન સ્ટાર્ટ કરતાં ઘડિયાળનો અવાજ પણ સંભળાવો ન જોઈએ. આવા દીર્ઘદ્રષ્ટા અસંતુષ્ટો થકી જ આજે એ કારની કીર્તિ દુનિયામાં પ્રસરી છે.

આજે સમગ્ર જગતમાં વિસ્તરતી બી.એ.પી.એસ. સંસ્થાને કક્ષાએ લઈ જનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આ જ આ સિદ્ધાંતને અનુસરતું રહ્યું હતું. તેથી જ તેઓ પોતાના જીવનકાળ દરમિયાન અઢી લાખ ઘરોની પર્સનલ વિઝિટ લઈ શક્યા, સાઠ દેશોમાં અને અઢાર હજાર ગામોમાં વિચરણ, ૧૨૦૦થી વધુ મંદિરો અને ૧૦૦૦થી વધુ સુશિક્ષિત સંતોની ભેટ દુનિયાને આપી શક્યા. આવા મહાપુરુષોને જોઈને જ કદાચ કહેવત પડી હશેઃ સુધારાને કોઈ સરહદ નથી અને પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular