Monday, June 9, 2025
Google search engine
HomeReligion & SpiritualityBAPSનવું વર્ષ... નવા વિચાર... નવા દષ્ટિકોણ

નવું વર્ષ… નવા વિચાર… નવા દષ્ટિકોણ

વિક્રમ સંવંત 2079નું વર્ષ આરંભાઈ ગયું. અને ગ્રહણનો મોક્ષ થઈ વરસ બેસી ગયું છે ત્યારે થોડીક વાતો નવા સંકલ્પોની. વર્ષ જે વીતી ગયું એમાં શું કર્યું અને હવે શું કરીશું એના લેખાંજોખાં લેવાનો આ સમય છે ત્યારે કેટલાક વિચારો…

(1) પ્રથમ તો, કામ પ્રત્યેની નિષ્ઠા, કામ પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ રાખજો, કારણ કે સમય આપણી પાસે બહુ ઓછો છે પૃથ્વી પર. ધારો કે માણસ સરેરાશ સિત્તેર વર્ષ જીવે તો ત્રેવીસ વર્ષ એના ઊંઘવામાં જાય છે એટલે સમયનું મૂલ્ય બરાબર પારખજો. કહે છેને કે, ડૉન્ટ પાસ ટાઈમ, અધરવાઈઝ ટાઈમ વિલ પાસ યુ.

(2) બેસતા વર્ષમાં તમારું ધ્યાન કામ, સંબંધો અને પરિસ્થિતિ જેવા જીવનના ત્રણ મહત્વના અભિગમો પર કેન્દ્રિત કરજો. ક્યારેય નબળો અભિગમ ન રાખવોઃ જોઈશું, પડશે એવા દેવાશે, કાલે જોઈશું, ઉતાવળ શું છે?… આવા અભિગમ હોય તો આમાં પરિવર્તન લાવવાનું છે.

 

(3) સવળો અભિગમ રાખશો તો પ્રતિ પળ નવી ઊર્જા અનુભવશો. પોઝિટિવ અટિટ્યૂડથી સતત આનંદ અને આનંદ રહેશે, વિચારો ને ક્રિયા થતી રહેશે. નાની નાની વાતમાં મન ખાટું કરી નહીં નાખવાનું. મારો ફોન ના ઉપાડ્યો? મેસેજનો જવાબ ન આપ્યો? અમદાવાદથી મુંબઈ આયીને જતો રહ્યો પણ મને એક ફોન ના કર્યો? તો જીવવાનો કોઈ હેતુ જ નહીં રહે. હું સારો તો જગ સારું એ અભિગમ રાખવો.

(4) પરિસ્થિતિનો સ્વીકાર. 94-95 વર્ષની ઉંમરે પૂજ્ય પ્રમુખસ્વામી સારંગપુરમાં હતા, બોલી ન શકે, હાલીચાલી ન શકે, પથારીવશ રહે છતાં અમે એમના મોં પર સ્થિરતાના ભાવ નિહાળતા. એમને નિયમિત તપાસનારા ડૉક્ટર પૂછે કે “સ્વામી કંઈ તકલીફ, કંઈ કહેવું છે?” તો એમનો એક જ જવાબ રહેતોઃ હાથ થોડો ઊંચો કરી, બધું બરાબર છે એવો ઈશારો કરતા. એક વાર સંતોએ, ડૉક્ટરોએ સાગ્રહ કહ્યું કે “સ્વામી આપને કંઈ તકલીફ હોય તો કહોને?” ત્યારે સ્વામીએ કહ્યું, “વૃદ્ધાવસ્થા આવે તો સાથે નાની-મોટી તકલીફો આવે. એમાં કહેવાનું શું? કે ફરિયાદ શું કરવાની?” આ છેઃ પરિસ્થિતિનો સ્વીકાર. આવા અભિગમથી વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહી શકે.

(5) હાર્વર્ડ યુનિવર્સિટીએ એક સર્વે કરીને તારણ કાઢ્યું કે માણસની પ્રગતિમાં એનું ભણતર, એની આવડત-હોંશિયારી, ઉત્તરોત્તર થયેલું એનું ઘડતર કે એને મળેલો સાથસહકાર 15 ટકા જ ભાગ ભજવે છે, બાકી એની પ્રગતિમાં પંચ્યાશી ટકા ફાળો એના અભિગમનો, એના દષ્ટિકોણનો છે. દેશ-દુનિયાનું શિક્ષણ તમે જોશો તો ખ્યાલ આવશે કે એમાં બહુ મોટું મિસમૅચ છેઃ શાળા-કૉલેજોમાં બહુધા શિક્ષણ પેલા પંદર ટાક અંગેનું જ આપવામાં આવે છે, દસેક ટકા જ્ઞાન પેલા પંચ્યાસી ટકામાંનું આપવામાં આવે છે.

અંતે, રોજ રાતે સૂવા જાઓ તે પહેલાં જાતને આ પાંચ સવાલ પૂછજોઃ

  • આજે હું ક્યાં, કોઈને મદદ રૂપ થયો? આ છે તમારું કેરેક્ટર.
  • આજે મેં કોઈ નવી, સારી વાત શીખી? આ છે તમારું લર્નિંગ.
  • આજે મેં એક કામ, ભલેને રુટિન જેવું લાગતું હોય, પણ સરસ રીતે કર્યું? આ છે તમારું એક્સલન્સ.
  • આજે જે લોકો મને મદદ રૂપ થયા એનો મેં આભાર માન્યો? આ થયું તમારું વેલ્યૂ એડિશન.
  • આજે મેં મારી જાતની સંભાળ કેવી રીતે લીધી? આ થઈ તમારી હેલ્થ.

 

એક વાત ગાંઠે બાંધી રાખજો કે આપણાં જીવનનું રિમોટ કન્ટ્રોલ કોઈ દિવસ કોઈ વ્યક્તિના કે સંજોગોના કે પરિસ્થિતના હાથમાં આપવાનું નહીં. મને દુઃખી બીજું કોઈ નહીં કરી શકે, હું મારા દુઃખે જ દુઃખી થઈશ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular