મનની ત્રીજી વૃત્તિ છે, વિકલ્પ: મન ખોટી કલ્પનાઓ કરે છે, તે ખોટી કલ્પનાઓમાં રાચે છે, એ વિકલ્પ છે. જેમ કે આકાશમાં કમલ પુષ્પનું ઊગવું કે સસલાંને શીંગડાં હોવાં, આ ખોટી કલ્પનાઓ છે. સસલું સત્ય છે, શીંગડાં પણ સત્ય છે, પણ તમે કહો છો કે સસલાંના માથાં પર શીંગડાં છે તો એ ખોટી કલ્પના છે. તે વિકલ્પ છે. વિકલ્પ બે પ્રકારના હોય છે. એક, આનંદભરી કલ્પનાઓ અને બીજો પ્રકાર છે ખોટા ભય. કાલે મારુ મૃત્યુ થશે તો? અકસ્માત થશે તો? હું અપંગ થઇ જઈશ તો? આ બધા નિરર્થક, કોઈ આધાર વગરના માત્ર વિચારો છે. આવી ખોટી કલ્પનાઓ એ વિકલ્પ છે.
મનની ચોથી વૃત્તિ છે, નિદ્રા: એક શૂન્યતાની સ્થિતિ એટલે નિદ્રા! મન પાસે જયારે કોઈ બાહ્ય વિષય નથી, મન જયારે ખાલી અને શૂન્ય હોય છે ત્યારે તે અવસ્થાને નિદ્રા કહે છે.
મનની પાંચમી વૃત્તિ છે, સ્મૃતિ: સ્મૃતિ એટલે અનુભવગત પદાર્થો-ઘટનાઓ જયારે વિલાઈ જવાને બદલે છાપના સ્વરૂપમાં રહે છે અને ચેતનામાં પુન: પુન: દેખા દે છે. સ્મૃતિ એટલે એવા અનુભવ જેને તમારું મન જતા કરી શકતું નથી, પકડી રાખે છે. તમે સવારે બ્રશ કરો છો, પરંતુ તે સ્મૃતિ સ્વરૂપે રહેતું નથી. ગયા સપ્તાહે તમે શું બ્રેકફાસ્ટ કર્યો હતો તે તમને યાદ રહેતું નથી. ગત ડિસેમ્બરની 30 તારીખે તમે કયાં વસ્ત્રો પહેર્યાં હતાં તે તમને યાદ રહેતું નથી. કારણ આ બધા અનુભવો ન તો સુખદ છે, ન તો દુ:ખદ છે. પરંતુ કેટલાક અનુભવોને તમે છોડી શકતા નથી, પકડી રાખો છો, જે સ્મૃતિ છે. સુખદ અનુભવો તમારામાં મોહ-રાગ જન્માવે છે, દુ:ખદ અનુભવો ભય અને આઘાત જન્માવે છે. જે સ્મૃતિ છે.
જયારે તમે જાગૃત છો, ત્યારે તમે પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ કે સ્મૃતિ આ ચાર માંથી એક અવસ્થામાં રહો છો, તે યોગનો અભાવ છે. અહીં યોગ ઘટિત થતો નથી.
આ પાંચ વૃત્તિઓ ખરાબ છે, તેવું નથી. અમુક વૃત્તિઓ દુઃખ આપે છે, અમુક દુઃખ આપતી નથી. જો તમે બિલકુલ ઊંઘ નથી લેતાં તો તે દુઃખદાયી છે. જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તે પણ દુઃખદાયી છે. એ જ રીતે તમે બધું જ ભૂલી જાઓ છો, કઈં જ યાદ રાખી શકતાં નથી તો તે સ્થિતિ દુઃખદાયી છે અને તમે જો કઈં જ ભૂલી નથી જઈ શકતાં તો તે પણ દુઃખદાયી છે. તે જ રીતે પ્રમાણ દુઃખદાયી પણ હોઈ શકે અને સુખદાયી પણ હોઈ શકે. વિપર્યાય- મિથ્યા જ્ઞાન દુઃખદાયી હોય છે. વિકલ્પ- ખોટી કલ્પનાઓ પણ સુખદ અને દુઃખદ હોઈ શકે છે. તમે તમારી જાતને એક દેવદૂત તરીકે જુઓ છો અને પાંખો લગાવી ગગનમાં વિહરતાં હોવાની કલ્પના કરો છો તો તે સુખદ છે, પરંતુ જો તમને લાગે છે કે દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ છે, તમારો દુરુપયોગ કરવા ઈચ્છે છે તો તે કલ્પના દુઃખદ છે.
સ્વયંને ઓળખવા માટે, સ્વની અનુભૂતિ કરવા માટે મનની આ પાંચ વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોવું ખૂબ જરૂરી છે. કઈ રીતે આ પાંચ વૃત્તિઓને નિયંત્રિત કરી શકાય? મહર્ષિ પતંજલિ એ તે માટે અચૂક ઉપાયો સૂચવ્યા છે, જેની આવતા સપ્તાહે વાત કરીશું.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)