Saturday, June 7, 2025
Google search engine
HomeNewsGujarat55 વર્ષ જૂનું રાજકોટનું બાયોલોજીકલ મ્યુઝિયમ ડિજિટલ બનશે

55 વર્ષ જૂનું રાજકોટનું બાયોલોજીકલ મ્યુઝિયમ ડિજિટલ બનશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં આશરે 55 વર્ષ જૂના સંગ્રહાલયને સમયની સાથે તાલ મિલાવવા ડિજિટલ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતનું આ પ્રાચીન સંગ્રહાલય ડિજિટલ બનશે તેનો લાભ સંશોધકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન લઈ શકશે.ઝુઓલોજીના આ મ્યુઝિયમમાં 12 પ્રકારના સાપ, 100 પ્રકારની માછલી, 300થી વધુ વનસ્પતિના સ્પેસિમેન રાખવામાં આવ્યા છે. જુદી-જુદી પ્રજાતિના અંગોની પેપર શીટ અહીં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરે છે. માનવી, પશુઓની ખોપડી પણ અહીં સંશોધન માટે રખાઈ છે. વાંદરા, ઉંદરો, સસલા, ગીધ, મગર, ડોલ્ફિન પર સંશોધન કરતા માસ્ટર ડિગ્રી અને પી.એચ.ડી. સુધીનો અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે.

આ મ્યુઝિયમનું સંચાલન કરી રહેલા પ્રો. ભાવિક વંકાનીએ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના જેવી પરિસ્થિતિમાં ભવન અને મ્યુઝિયમ લાંબો સમય બંધ હતું. ત્યારે વિદ્યાર્થીઓને રિસર્ચ માટે ખૂબ મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત કોઈ કારણોસર લાંબો સમય રજાઓ કે અન્ય કારણોસર મ્યુઝિયમ બંધ રહે ત્યારે પણ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. આથી હવે તે ડિજિટલ બનશે તો વિદ્યાર્થીઓને લાભ થશે.

આ બાયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની પ્રજાતિઓના સ્પેસીમેન્સ એટ્લે કે નમૂનાઓ સંગ્રહિત કરવામા આવ્યા છે. જેમાં ગીધ, મગર, વાંદરા, ઉંદરો, સસલાઓ, ચામાચીડિયાં, દેડકા, પોપટ, બતક, ચકલીઓ, સાપ, માછલીઓ તેમજ ડોલ્ફિના અસ્થી ઉપરાંત માનવ, ગધેડા, હરણ અને શિયાળની ખોપડી પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ શેવાળની 60થી વધુ પ્રજાતિઓ સહિત 300થી વધુ વનસ્પતિના અંગોની પેપરશીટ તૈયાર કરવામાં આવેલી છે.

દર વર્ષે 30 જેટલા વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત માસ્ટર ડિગ્રીનુ ડેઝર્ટેશન અને Ph.D.નું થીસીસ તૈયાર કરે છે. ભવનના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારીના માર્ગદર્શન નીચે આ સંગ્રહાલય કાર્યરત છે. તેઓએ બયોલોજીકલ ડિજીટલ મ્યુઝિયમના નિર્માણનું બીડું ઝડપ્યું છે. જે ગુજરાતમાં બાયો સાયન્સ ભવનનુ પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ બનશે. જેનાથી દુનિયાના કોઈપણ ખૂણે બેસેલા વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમમાં રહેલા સ્પેસીમેન પર રિસર્ચ કરી શકશે. યુનિવર્સિટીની ઓફોસિયલ વેબસાઈટ પરથી આ ભવનના પેજ પર જઈ સંગ્રહાલયમાં હાજર સ્પેસિમેન-નમૂનાઓનો અભ્યાસ કરી શકાશે.

મ્યુઝિયમ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની ઓળખ રહી છે. વર્ષ 1969માં સાયન્સ ભવનના સ્થાપક હેડ એ. સી. પાંડે દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી. અહીં અલગ-અલગ પ્રકારના સ્પેસીમેનનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂક ડ્રાય એટ્લે કે સૂકાઈ ગયા બાદ રાખવામાં આવેલા છે. જ્યારે લિકવિડ એટલે કે પૂરા પ્રાણીનું સ્પેસીમેન પણ છે. જ્યારે બોટનીકલમાં ઘણી હરબેરિયમ શીટ છે. જેનાથી વિદ્યાર્થીઓ વનસ્પતિના પાંદડા, ફૂલોને ઓળખી શકે છે. મ્યુઝિયમને ડિજિટલ બનાવવા અંગે યુનિ.ના સતાધીશોએ જણાવ્યું હતુ કે, કોરોના કાળમાં અનુભવ્યું કે તેમાં મ્યુઝિયમની જાળવણી કરી શકતા નથી. વિદ્યાર્થીઓ રૂબરૂ અભ્યાસ કરવા ન આવી શકે અને તેને અભ્યાસ ન ગુમાવવો પડે તે હેતુથી અહીં રહેલા સ્પેસીમેનને ફોટોગ્રાફ સાથે ડિજીટલી મૂકવામાં આવે તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. દર વર્ષે માસ્ટર ડિગ્રીના 25 તો Phd ના 5 વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત રિસર્ચ કરતા હોય છે. એક વિદ્યાર્થી ઈરાનમાં હાલ સ્ટાર ફિશ પર રિસર્ચ કરી રહ્યા છે. ગુજરાતમાં વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટી પછી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાયોસાયન્સ ભવનમાં આવેલું આપણું આ મ્યુઝીયમ પણ વિવિધ નમૂનાઓની જાળવણીના લીધે જાણીતું છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular