Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratસુરત ગેંગરેપની ઘટનામાં પકડાયેલા એક આરોપીનું મોત

સુરત ગેંગરેપની ઘટનામાં પકડાયેલા એક આરોપીનું મોત

સુરત: જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં 9 ઓક્ટોબર,2024ના રોજ સગીરા પર ગેંગરેપ થયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. જે બાદ સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ આરોપીઓની શોધમાં હતી. ત્યાર બાદ માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આજે બપોર બાદ ત્રણમાંના એક આરોપી એવા શિવ શંકર ચૌરસિયાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેને સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું છે.આજે બપોરે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત અને આઇજી પ્રેમવીરસિંહ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. એ પહેલાં આરોપી શિવ શંકરની તબિયત લથડી હતી. આ અંગે LCB પી.આઈ. રાજેશ ભટોલે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતા બપોરના 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું. તબિયત બગડવા પાછળનું કારણ જાણવા માટે ફોરેન્સિક પી.એમ. કરવામાં આવશે. જ્યારે અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ અંગે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, આરોપી શિવ શંકરને 108માં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ તો હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ જાણવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular