Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratશતાબ્દી મહોત્સવ’ ‘સેવા દિન’ : જાણો પ્રમુખસ્વામી મહારાજે કરેલા ભગીરથ કાર્યો વિશે

શતાબ્દી મહોત્સવ’ ‘સેવા દિન’ : જાણો પ્રમુખસ્વામી મહારાજે કરેલા ભગીરથ કાર્યો વિશે

ગુજરાતના અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે. તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં સેવા દિનની ઊજવાણી કરાઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજે દેશ-વિદેશની 46 જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં રાહતની વણથંભી વણઝાર સર્જી હતી, ગુજરાતના અંતરિયાળ ગામડાઓથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુથી સુધી, અંદમાન-નિકોબારના ટાપુઓથી લઈને  નેપાળ, આફ્રિકા, અમેરિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ પ્રમુખસ્વામી મહારાજે સેવાઓનો પ્રવાહ વહાવ્યો હતો, જેમાં દોઢ કરોડથી વધુ અસરગ્રસ્તોને ધર્મ-જાતિ-પ્રાંત-દેશના ભેદભાવ વિના રાહત આપી હતી.

મોરબી હોનારતથી માંડી કચ્છનાં ભૂકંપ સુધી પ્રમુખ સ્વામી મહારોજે વહાવ્યો હતો ‘સેવા’નો પ્રવાહ

પ્રમુખ સ્વામી મહારોજે ઈ.સ. 1979ની મોરબી હોનારત, 1987નો ગુજરાત દુષ્કાળ, 1993નો મહારાષ્ટ્રનો લાતૂર ભૂકંપ, 2001નો કચ્છનો ભૂકંપ, 2004માં દક્ષિણ ભારતમાં આવેલી સુનામી, 2006માં સુરતની રેલ હોનારત, 2013માં ઓક્લાહોમાં આવેલું વાવાઝોડું અને 2013માં ઉત્તરાખંડની રેલ હોનારત જેવી અનેક આપત્તિઓમાં સહાય આપી હતી. આ ઉપરાંત  કોરોનાકાળમાં પણ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાહતસેવાની ભાગીરથી વહી હતી.

પ્રમુખસ્વામી મહારાજના રાહતકાર્યોની એક અલ્પ ઝલક 

1987 દુષ્કાળ 

  • 8 મહિનાથી 1 વર્ષ સુધી કેટલકેમ્પ ચલાવ્યા
  • 10,000 પશુઓને સાચવ્યા હતા
  • માર્ચ 1988 થી મે 1988 એટલે કે 3 મહિનામાં –
    • છાશ વિતરણ – 195 કેન્દ્રોમાં 1,27,57,000 લોકોએ લાભ લીધો
    • અનાજ વિતરણ – 13 જિલ્લાઓમાં 2,23,800 કિલો અનાજનું વિચરણ
    • ઘાસ વિતરણ – 3,12,95,000  કિલો
    • સુખડી વિતરણ –18,000 કિલો
    • શિક્ષણ સહાય – પુસ્તક વિતરણ અને ગોંડલ ગુરુકુળ ફી માફ

2001 ભુજ ભૂકંપ  

  • કુલ 18 લાખ લોકોને ભોજન, 45 દિવસ સુધી રોજ 40,000 લોકોને ભોજન
  • કુલ 4,190 ભૂકંપગ્રસ્ત ઘરો સહિત 15 દત્તક ગામોનું નિર્માણ અને પુનર્વસન
  • કુલ 15,000 વિદ્યાર્થીઓના લાભાર્થે 49 ભૂકંપગ્રસ્ત શાળાઓનું નિર્માણ
  • કુલ 91,000 દર્દીઓની વિના મૂલ્યે વિતરણ સેવા
  • કુલ 409 ગામોમાં રાહત-સમગ્રીનું વિતરણ અને 2,500 લોકોને રોજગાર

પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત રાહતસેવાઓના કાર્યને આગળ ધપાવતાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. 

  • કોરોના વોરિયર્સ માટે 1,80,000 થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
  • 2,00,000 થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર
  • 250 થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.
  • 1,000 થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું.
  • 5,000 લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું.
  • તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે 30,00,000 થી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો.
  • 2,56,000 થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.
  • 11,000 થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.
  • 132 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ
  • 78 લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ
  • 1300 કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ

વિવિધ પ્રકારના પ્રવચનો સાથે ‘સેવા દિન’નો પ્રારંભ 

શતાબ્દી મહોત્સવમાં  ‘સેવા દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા 4:45 વાગ્યે ધૂન – કીર્તન  સાથે  થયો હતો.  જેમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ રાહતકાર્યોની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત, BAPS ના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘ જે પીડ પરાઈ જાણે રે’  વિષયક પ્રવચનમાં પ્રમુખસ્વામી મહારાજે કરેલાં અભૂતપૂર્વ સેવાકાર્યોની ગાથાઓ વર્ણવી હતી. ત્યારબાદ ‘કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં દેશ-વિદેશમાં અનેક સ્થળોએ અસરગ્રસ્તોની વહારે દોડનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિ:સ્વાર્થ, કરુણાભર્યાં અનેક કાર્યોની વિશેષતા વર્ણવવામાં આવી હતી.

સેવા દિન’ ની વિશિષ્ટ ઉજવણી પર હાજર રહ્યાં આ મહાનુભાવો 

શતાબ્દી મહોત્સવમાં  ‘સેવા દિન’ ની વિશિષ્ટ ઉજવણી પર આજે ઘણાં આમંત્રિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી. જેમાં વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદી, ઇંડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિનય સહસ્ત્રબુદ્ધે, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, ગુજરાત સરકારના પૂર્વ ચીફ સેક્રેટરી પી. કે. લહેરી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના મેમ્બર અફરોઝ અહમદ, પી પી સવાની ગ્રુપના ડિરેકટર વલ્લભભાઈ સવાણી, જાણીતા નિર્માતા અને દિગ્દર્શક અરવિંદ બબ્બલ, Amneal ફાર્માસ્યુટિકલ્સના કો-ફાઉન્ડર અને કો-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિંટુભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકાના પ્રમુખ ડૉ. અજયભાઈ શાહ અને ડૉ. એ. પી જે અબ્દુલ કલામના પૂર્વ પર્સનલ સેક્રેટરીહેરી શેરીડૉન હાજર રહ્યાં હતા.

નારી ઉત્કર્ષ મંડપમાં કરાયું વિશિષ્ટ સભાનું આયોજન

આ ઉપરાંત આજે  પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં BAPS મહિલાપ્રવૃતિ દ્વારા આજે ડૉ. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોએ વિવિધ પ્રવચનો આપ્યાં હતા.

નારીએ શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ : ડૉ. રતનકંવર ગઢવિચરન 

‘સમગ્ર શિક્ષા અભિયાન’ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. રતનકંવર ગઢવિચરન (IAS, MBBS)એ જણાવ્યું કે ‘ભગવાન સ્વામિનારાયણે નારી ઉત્થાનના જે બીજ 200 વર્ષ પહેલાં વાવ્યાં હતા તેના ફળ આજે મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે રીતે મહિલા સ્વયંસેવકો વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તે નારી શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ છે. ‘વસુધૈવ કુટુમબકમ’ ની ભાવનાથી યોજાયેલ આ મહોત્સવ સમાજમાં જરૂરી નૈતિક મૂલ્યો અને શુભ ભાવનાઓનું પ્રવર્તન કરશે. આપણે સૌએ પણ નિસ્વાર્થભાવે શક્ય એટલી સેવા કરવી જોઈએ.”

બાપાએ સનાતન ધર્મને જીવંત રાખ્યો છે : કુસુમ કૌલ વ્યાસ

આ ઉપરાંત  આયુનેટ હેલ્થકેર તેમજ ટ્રાન્સ  સ્ફીયર ટેકનોલોજીસના ડિરેકટર, વિમેન વિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન, ઝેસ્ટ વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન્સના માલિક અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી એવા કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું હતું કે , “ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 2-3  કાર્યક્રમમાં સામેલ થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ પ્રભાવક હતી. જ્યારે હું તેમના ફોટોગ્રાફ સામે જોઉં છું ત્યારે તેમની અમી નીતરતી આંખો હ્રદય સોંસરવી ઉતરી જાય છે. એટલા માટે જ તેઓ સમગ્ર વિશ્વમાં પ્રેમ, આનંદ અને સારપ પ્રસરાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે સનાતન ધર્મને જીવંત રાખ્યો છે.” અબુધાબીમાં નિર્માણાધીન BAPS હિન્દુ મંદિરને એક ઐતિહાસિક ઘટના તરીકે તેમણે ઉલ્લેખ કર્યો હતો અને આવા સર્જનના સાક્ષી બનવા માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે : અમી પટેલ

ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અમી પટેલે જણાવ્યું હતું કે,’પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વયંસેવિકાઓ તરીકે જોડાયેલા મહિલાઓને બિરદાવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે તેઓના સુદૃઢ, આધ્યાત્મિક જોડાણની સ્મૃતિઓને તેમણે વાગોળી હતી.  તેમણે જણાવ્યું, “ એ યાદ રાખવું આવશ્યક છે કે ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular