‘બજેટમાં ભ્રષ્ટાચાર, કરદાતાની હેરાનગતિ ઘટે એવાં ઘણાં પગલાં સામેલ છે’

કેન્દ્રીય બજેટ 2021 અર્થતંત્રને બેઠું કરવા માટેનું બજેટ છે. બજેટ ખર્ચકેન્દ્રી છે. સરકાર અર્થતંત્રને વેગ આપવા રૂ.34,50,000 કરોડનો ખર્ચ કરશે. આત્મનિર્ભર સ્કીમ મુખ્યત્વે માળખાકીય સવલતો મજબૂત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, સુશાસન, યુવા માટેની તક, મહિલા સશક્તિકરણ અને અન્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સીધા અને અપ્રત્યક્ષ વેરાની દરખાસ્તોઃ આવક વેરાના દરોમાં આમ આદમી માટે ફેરફાર કરવામાં આવ્યો નથી, તેમ છતાં બજેટમમાં ઘણા હકારાત્મક ફેરફારોની દરખાસ્તો છે. 1,20,000 કરદાતાઓ પાસેથી વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ રૂ.85000 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત લાંબો સમય ચાલતા કાનૂની વિવાદોને ઘટાડવાના સરકારના ઈરાદાને દર્શાવે છે. ફેસલેસ ઈસ્ક્રુટિની, ફેસલેસ ફર્સ્ટ અપીલ (કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ) અને હવે ફેસલેસ એપેલેટ ટ્રિબ્યુનલને પગલે ભ્રષ્ટાચાર અને હેરાનગતિમાં ચોક્કસ ઘટાડો થશે.
બજેટમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વેરાઓમાં નીચે પ્રમાણેના જે મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.
બધા માટે આવાસના લક્ષ્યને સિદ્ધ કરવા નાણાપ્રધાને નાના કરદાતાઓને વધુ એક વર્ષ માટે વધારાના રૂ.1.5 લાખના વ્યાજના ડિડક્શનની છૂટ આપી છે. એ અત્યારે રૂપિયા બે લાખના ડિવિડંડની છૂટ છે એ ઉપરાંતની આ છૂટ છે એટલે કુલ છૂટ રૂ.3.5 લાખની થઈ છે.
આ લાભ પ્રાપ્ત કરવા માટે કેટલીક શરતોનું પાલન જરૂરી છે, જેવી કે હોમ લોન બેન્ક કે હાઉસિંગ ફાઈનાન્સ કંપની પાસેથી લીધેલી હોવી જોઈએ. લોન એપ્રિલ, 2021થી 31 માર્ચ, 2022 દરમિયાન લીધેલી હોવી જોઈએ. આવાસ પરની સ્ટેમ્પ ડ્યુટી રૂ.45 લાખથી અધિક ન હોવી જોઈએ. લોન મંજૂર કરવા સમયે કરદાતા અન્ય કોઈ આવાસની માલિકી ન ધરાવતો હોવો જોઈએ.
બજેટની અન્ય દરખાસ્તોમાં ઈન્સ્યુરન્સ ક્ષેત્રમાં એફડીઆઈની લિમિટ 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી છે પરંતુ તેનાથી બહુ વધી ગયેલાં મેડીક્લેઈમનાં પ્રીમિયમ નીચાં આવશે કે નહિ તેની આગાહી કરવી મુશ્કેલ છે.