Monday, May 26, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં શાકભાજીની હોલસેલ માર્કેટ 31 માર્ચ સુધી બંધ

મુંબઈમાં શાકભાજીની હોલસેલ માર્કેટ 31 માર્ચ સુધી બંધ

મુંબઈઃ પડોશના નવી મુંબઈમાં આવેલી શાકભાજી અને ફળોની હોલસેલ માર્કેટ – APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેવાની છે. આને કારણે મુંબઈ, નવી મુંબઈ અને પડોશના થાણે શહેર-જિલ્લામાં શાકભાજીના પૂરવઠાને અસર થવાનો સંભવ છે.

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે અત્યાવશ્યક સેવાઓને બાદ કરતાં મુંબઈમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

હવે મુંબઈ-થાણા જિલ્લાઓને શાકભાજી પૂરવઠો પૂરો પાડવાનું સ્થળ એપીએમસી માર્કેટ 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ થવાની છે. આ નિર્ણયની જાણકારી માર્કેટના સંચાલક શંકર પિંગળેએ આપી છે.

પરંતુ, 25-31 માર્ચના સમયગાળા દરમિયાન શાકભાજીની તંગી ઊભી ન થાય એટલા માટે 24 માર્ચ સુધી માર્કેટને ખુલ્લી રાખવામાં આવનાર છે.

નવી મુંબઈના વાશીસ્થિત એપીએમસી માર્કેટમાં દરરોજ 2000 જેટલી ગાડીઓમાં શાકભાજી-ફળોનો માલ આવે છે. તેમજ દરરોજ અહીંયા 6000 લોકો વેપાર કરે છે. જોકે લોકડાઉનને કારણે આમાંના મોટા ભાગના લોકો પોતપોતાના ઘરમાં છે. અનેક જણ પોતપોતાના ગામ-વતન ખાતે જતા રહ્યા છે. બજારમાં ભીડ ઓછી થઈ ગઈ છે. પરિણામે નાછૂટકે માર્કેટ બંધ કરવી પડશે, એમ પિંગળેએ કહ્યું.

25-31 માર્ચ દરમિયાન એપીએમસી માર્કેટમાં શાકભાજી, ફળ, કાંદા-બટાટા બજારો બંધ રહેશે. પરિણામે આ ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે.

માર્કેટમાં ગીરદી ન થાય એટલા માટે આ પહેલાં જ સાવચેતીના અનેક પગલાં લેવામાં આવ્યા હતા. હોલસેલ વેપારીઓએ એમના ગ્રાહકોને માર્કેટમાં આવવાને બદલે ફોન કરીને જ ઓર્ડર આપવાનું જણાવ્યું હતું.

દર ગુરુવાર અને રવિવાર, એમ બે દિવસ માર્કેટ બંધ રાખી સ્વચ્છતા કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે કોરોના વાઈરસના ફેલાવાનું જોખમ વધી જતાં 25-31 માર્ચ સુધી માર્કેટ સદંતર બંધ રાખવાનું નક્કી કરાયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular