બજેટમાં આર્થિક વિકાસના ચાર પાયા પર ફોકસ કરાયું છે
ચિરાગ પટેલ (વાઈટ ઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટનાં સીએફએ- એસોસિયેટ ડિરેક્ટર:કો હેડ પ્રોડકટ્સ સ્ટ્રેટેજીસ્ટ)
આ વખતના બજેટમાં જીડીપી વૃદ્ધિના ચાર મુખ્ય પાયા- સરકારી ખર્ચ, બિઝનેસ ખર્ચ, પ્રાઈવેટ કન્ઝમ્પ્શન અને નિકાસ છે. બજેટમાં આર્થિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અત્યાર સુધીમાં સૌથી અધિક રૂ.૧૦,૦૦,૦૦૦ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ ૩૩ ટકા અધિક છે. આમ સરકાર અર્થતંત્રનું વિસ્તરણ કરવા માટેનો મકકમ ઈરાદો દર્શાવે છે. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખર્ચ વધવાથી રોજગાર નિર્માણ થવાની સાથે એન્સીલરી બિઝનેસમાં પણ વધારો થશે. જો તમે કોઈ વ્યક્તિને માછલી આપો તો તેનું એક દિવસ માટે પેટ ભરાશે. પરંતુ તે વ્યક્તિને માછીમાછી શિખડાવશો તો તે આખું જીવન પોતાનું પેટ ભરી શકશે. સરકારની વિવિધ સબસિડીઓને જોતા સ્પષ્ટ કહી શકાય છે.
કન્ઝમ્પ્શન વધારવાનું લક્ષ્ય
વૃદ્ધિના સમીકરણમાં કન્ઝમ્પ્શનની ભૂમિકા સૌથી મોટી હોય છે. નવી ટેકસ પ્રણાલીમાં ૮૭એ અંતર્ગત રિબેટમાં આવકનું સ્તર રૂ.૫ લાખથી રૂ.૭ લાખ કરવામાં આવ્યું છે. તેથી જે વ્યક્તિ નવી કર પ્રણાલી અપનાવશે તેમણે રૂ.૭ લાખની આવક સુધી કર ભરવો પડશે નહીં. બેઝીક એક્ઝેમ્પ્શન મર્યાદા પણ રૂ.૨.૫ લાખથી વધારીને રૂ.૩ લાખ કરવામાં આવી છે. નવી કર પ્રણાલીમાં ફક્ત આવક વેરાના સ્લેબ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી આવક વેરાનાં છ ને બદલે પાંચ સ્લેબ હશે. આને લીધે ડિસ્પોઝેબલ આવકમાં વધારો થશે તેથી કન્ઝમ્પ્શન સ્તરમાં વધારો થશે. જોકે આ જુની કર પ્રણાલીમાં ઉપલબ્ધ નથી. આમ વ્યક્તિ જુનાની બદલે નવી કર પ્રણાલીને અપનાવશે. નવી પ્રણાલીમાં રોકાણ કરીને કર બચત કરવાની જરૂર નહીં હોવાથી ડિસ્પોઝેબલ આવકમાં વધારો થશે. આ બાબત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નોન-ડ્યુરેબલ ઈન્ડસ્ટ્રી અને ફાઈનાન્સિયલ સર્વિસીસ માટે સકારાત્મક બાબત છે. આમ રોકાણકારોની ડિસ્પોઝેબલ આવક વધતા તે ખર્ચ કરી શકે છે અથવા આ ક્ષેત્રોની કંપનીઓમાં રોકાણ કરી શકે છે.
લઘુ-મધ્યમ ઉધોગોને સપોર્ટ
નાણાકીય સંસ્થાનોના એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટ) સ્તર અને કોર્પોરેટસની બેલેન્સ શીટમાં કરજમાં ઘટાડો થયો છે. બજેટમાં નેશનલ ફાઈનાન્સિયલ ઈન્ફોર્મેશન રજીસ્ટ્રી સ્થાપવા પર ધ્યાન આપવામાં આવ્યુ છે, જેથી ધિરાણ, એમએસએમઈ(માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈસિસ) માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમને અતિરિક્ત ફ્રી ગેરેન્ટીના રૂપે બે લાખ કરોડ મળે છે, જેથી તેમની ક્રેડિટ વૃદ્ધિ થાય.
નિકાસ વૃધ્ધિનું ફોકસ
વેપાર ખાધને ધ્યાનમાં રાખતા નિકાસ પર પડતી પ્રતિકૂળ અસર આજની તારીખમાં ચિંતાનો વિષય છે. જોકે, બજેટમાં હીરા અને મરીન ઉદ્યોગના પ્રમોશન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે અને સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર પર પણ ધ્યાન અપાયું છે, જોકે નિકાસ વધારવા માટે હજી ઘણા પ્રયત્નોની જરૂર છે, તેમ જ ઓઈલ, ગૅસ અને કોલસાની આયાતમાં ઘટાડો કરવાના પ્રયાસ પણ જરૂરી છે. એકંદર બજેટ સ્થિર છે અને કન્ઝમ્પ્શનની વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રોજગાર નિર્માણ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે.