Monday, June 30, 2025
Google search engine
HomeNewsMumbaiકેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

વ્યાપાર-ઉદ્યોગની સર્વગ્રાહી, અંતરાયવિહિન ઈન્પૂટ ટેક્સ ક્રેડિટની અપેક્ષા ફળીભૂત નથી થઈ

શૈલેશ શેઠ (એડવોકેટ)

જીએસટીના અમલ માટે પૂર્વશરત એવા બંધારણીય સુધારા સૂચવતો બંધારણ (૧૦૧મો સુધારો) ખરડો, ૨૦૧૪ લોકસભામાં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ રજૂ થયો હતો. આ ખરડા પાછળના હેતુઓ અને કારણોની સ્પષ્ટતા કરતા નિવેદનમાં નોંધ છેઃ ‘ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતાં અનેક આડકતરા કરવેરાનું સ્થાન લેશે અને એની પાછળનો હેતુ ‘કર પર કર’ની અસર નાબૂદ કરવાનો તથા ગુડ્સ અને સર્વિસીસ માટે એક સહિયારી રાષ્ટ્રીય બજાર પૂરી પાડવાનો છે.’

જીએસટી કરપ્રણાલી પાછળના આ મુખ્ય હેતુઓની પૂર્તિ માટે એ આવશ્યક છે કે ઈન્પૂટ ટેક્સ ક્રેડિટની સર્વગ્રાહી અને અડચણમુક્ત શૃંખલા અનિવાર્ય છે. પ્રસ્તુત નિવેદનમાં ભલે આનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય, પરંતુ નિવેદનમાં કરવામાં આવેલી સ્પષ્ટતામાં એ ગૃહિત છે. જોકે 3 ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ નાણાં મંત્રાલય દ્વારા જીએસટી પર બહાર પાડવામાં આવેલી એક પ્રશ્નોત્તરીમાં એ સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો હતો કે આ કરપ્રણાલી અંતર્ગત કરદાતાને માલ કે સેવામાં થતી મૂલ્યવૃદ્ધિના પ્રત્યેક તબક્કે કશાય અંતરાય વિના સર્વગ્રાહી ઈન્પૂટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે.

કમનસીબે, માર્ચ ૨૦૧૭માં રજૂ થયેલ ‘સીજીએસટી ખરડો, ૨૦૧૭’ની સંબંધિત જોગવાઈઓ પરથી ઉપરોક્ત દાવાની પોકળતા છતી થઈ ગઈ. સીજીએસટી એક્ટ, ૨૦૧૭ના સેક્શન ૧૭(૫)ની જોગવાઈઓનો અભ્યાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે વ્યાપાર-ઉદ્યોગની એક સર્વગ્રાહી, અંતરાયવિહિન ઈન્પૂટ ટેક્સ ક્રેડિટની અપેક્ષા ફળીભૂત નથી થઈ અને ‘કર પર કર’ની હાનિકારક અસર હજુ પણ યથાવત છે. સેક્શન ૧૭(૫)માં કરદાતાને જેના પર ઈન્પૂટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળી શકે એવા માલ કે સેવાની લાંબીલચક યાદી નિર્દિષ્ટ છે. આ યાદી પાછળ તર્ક ઓછો અને બ્યુરોક્રેટિક માનસિકતા વધુ દ્રષ્ટિગોચર થાય છે.

કરદાતાની આ પીડામાં વધારો કરતો વધુ એક સુધારો હવે નાણાં પ્રધાને અંદાજપત્ર અન્વયે સૂચવ્યો છે. નાણાં ખરડો, ૨૦૨૩ના ક્લોઝ ૧૩૦ દ્વારા પ્રસ્તુત સેક્શન ૧૭(૫)માં એક નવી એન્ટ્રી ઉમેરવાનો પ્રસ્તાવ નાણાં પ્રધાને મૂક્યો છે. આ પ્રસ્તાવિક એન્ટ્રી મુજબ કરદાતા કંપનીઝ એક્ટ, ૨૦૧૩ના સેક્શન ૧૩૫ની જોગવાઈ મુજબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) સંબંધી ઉત્તરદાયિત્ત્વનું પાલન કરવા માટે જે માલ કે સેવાનો વપરાશ કરે અથવા એને વપરાશ કરવા માટે પ્રાપ્ત કરે એ સંબંધી ઈન્પૂટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં લઈ શકે. ટૂંકમાં, સીએસઆર સંબંધી કાયદેસર ઉત્તરદાયિત્ત્વ પૂર્ણ કરવા માટે વપરાશમાં લેવાતા માલ કે સેવા પર કરદાતાને ઈન્પૂટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળી શકે.

અત્રે એ નોંધવું ઘટે કે સીએસઆર સંબંધી વપરાશમાં લેવાતા માલ કે સેવા પર ચૂકવાયેલ ડ્યૂટી કે સર્વિસ ટેક્સ પર સેન્વેટ ક્રેડિટ મળી શકે કે નહીં. આ મુદ્દો જીએસટી કરપ્રણાલીના અમલ પૂર્વે પણ વિવાદાસ્પદ રહ્યો હતો. એપેલેટ ટ્રીબ્યુનલની મુંબઈ બેન્ચે એસેલ પ્રોપેક લિમિટેડ વિરુદ્ધ કમિશનરના કેસમાં આ મુદ્દે કંપનીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

પરંતુ આ કાનૂની વિવાદ જીએસટી કરપ્રણાલીના આગમન પછી પણ યથાવત્ રહ્યો છે. દ્વારકિશ સુગર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા બામ્બિનો પાસ્તા ફૂડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેસમાં એડવાન્સ ઓથોરિટીની સંબંધિત બેન્ચે આ મુદ્દે અરજદારની તરફેણમાં રુલિંગ્સ આપ્યા છે. અન્યત્ર, અડામા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને પોલિકેબ વાયર્સ પ્રાઈવેટ લિમિટેડના કેસમાં એડવાન્સ ઓથોરિટીની સંબંધિત બેન્ચે અરજદારની વિરુદ્ધમાં રુલિંગ્સ આપ્યા છે.

આમ, જીએસટી અંતર્ગત આ મુદ્દે કરદાતાની મૂંઝવણ અને કાનૂની વિવાદ હજી નિવારણની રાહ જોઈ રહ્યા છે. આ સંજોગોમાં કરદાતાની એ સહજ અપેક્ષા રહે કે જીએસટી કરપ્રણાલીના મુખ્ય હેતુ તથા સીએસઆર સંબંધી કાયદાકીય ઉત્તરદાયિત્ત્વું પાલન ન થાય તો એના સંભવિત પરિણામોને તથા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલ એક વ્યવહારિક અભિગમ અપનાવીને સીએસઆર સંબંધી ખર્ચ માટે ઈન્પૂટ ટેક્સ ક્રેડિટનો લાભ મંજૂર કરતી સ્પષ્ટતા કરશે. પરંતુ કાઉન્સિલની આ સંભવિત ભલામણપ્રેરિત અંદાજપત્રીય જોગવાઈએ વ્યાપાર-ઉદ્યોગની આશા પર પાણી ફેરવી દીધું છે. અત્રે એ પણ સ્પષ્ટ છે કે આ પ્રસ્તાવિક સુધારો બ્યુરોક્રેટિક માનસિકતાનું પરિણામ છે, એની પાછળ કોઈ વાજબી કારણ કે તર્ક નથી.

એ અત્યંત કમનસીબ બાબત છે કે એક સર્વગ્રાહી અને અડચણમુક્ત ઈન્પૂટ ટેક્સ ક્રેડિટની શૃંખલા થકી ‘કર પર કર’ની હાનિકારક અસરને નિયંત્રણમાં રાખવાના જીએસટી કરપ્રણાલીનો મુખ્ય હેતુ બ્યુરોક્રેટિક માનસિકતાનો ભોગ બની રહ્યો છે. કરદાતાને યેનકેનપ્રકારેણ ઈન્પૂટ ટેક્સ ક્રેડિટનો લાભ નકારવામાં અમલદારશાહીને પાશવી આનંદ મળી રહ્યો હોય એવી છાપ પણ ઊપસે છે!

સૂચિત અંદાજપત્રીય સુધારો નાણાં ખરડો, ૨૦૨૩ કાયદાનું સ્વરૂપ ધારણ કરે પછી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલની ભલામણના આધારે નોટિફિકેશન અન્વયે ઘોષિત તારીખથી અમલમાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular