વ્યક્તિગત કરવેરાની રિબેટ ફક્ત ન્યૂ ટેક્સ રેજિમમાં આપવામાં આવી છે એ અન્યાયી કહેવાય
ગૌરવ મશરૂવાળા (ફાઇનાન્શિયલ પ્લાનર – ‘યોગિક વેલ્થ’ પુસ્તકના લેખક)
યુલિપ પૉલિસીને મળતા કરલાભની બાબતે ફેરફાર કરવામાં આવ્યો એ સારું પગલું છે. એને લીધે આ કરલાભનો દુરુપયોગ અટકશે. જો કે, વ્યક્તિગત જીવન વીમાને એનાથી મોટો ફટકો પડશે.
સરકારે ન્યૂ ટેક્સ રેજિમ ડિફોલ્ટ બનાવી તો દીધું, પરંતુ એણે જૂની અને નવી પદ્ધતિમાં રહેલા ફેરફારને ગણતરી દ્વારા સમજાવવાની જરૂર છે. ન્યૂ ટેક્સ રેજિમમાં ઘણાં ડિડક્શન્સ અને રિબેટનો લાભ મળતો નથી. આ નવી પદ્ધતિ ખરેખર સારી છે કે કેમ એ તો વાસ્તવિક ગણતરીઓ કર્યા બાદ જ ખબર પડશે. સરકારે ટેક્સ સ્લેબ ઘટાડ્યા હોવાનું કહ્યું છે, છતાં હજી ઘણા સ્લેબ છે. વ્યક્તિગત કરવેરાની રિબેટ ફક્ત ન્યૂ ટેક્સ રેજિમમાં આપવામાં આવી છે એ અન્યાયી કહેવાય. ખરેખર તો બધા કરદાતાઓને આ લાભ આપવો જોઈએ.
આવક વેરા ધારાની કલમ ૫૪ અને ૫૪એફમાં કરાયેલો ફેરફાર આવકાર્ય છે. ઈલેક્ટ્રિક વાહનો માટે આપવામાં આવેલો કરલાભ પણ સારો છે. એ જ રીતે મહિલા સમ્માન સર્ટિફિકેટ પણ આવકાર્ય પગલું છે. સરકારે ડિજિ લૉકરના ઉપયોગને વધારવા પર ધ્યાન આપવું જોઈએ. વ્યક્તિના કેવાયસી માટે સિંગલ ડોક્યુમેન્ટની પહેલ ખરેખર પ્રશંસનીય છે. એનું ચુસ્તપણે પાલન કરવામાં આવવું જોઈએ.
નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ખરેખર સારી વાત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે કંઈક કરવું જોઈએ. એ થાય તો જ બાળકો લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકશે. કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે કરવામાં આવેલી પહેલથી લાંબા ગાળે ઔદ્યોગિક વિકાસ સાથે એનું સંતુલન જાળવી શકાશે.
સરકારે જીડીપી માટે વ્યક્ત કરેલા અંદાજ કરતાં પણ હું જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા થવાથી વધારે ખુશ છું. ઈ-વૉલેટ અને ઈ-રૂપીથી કાળાં નાણાંને નાબૂદ કરી શકાશે.