બજેટ અર્થતંત્રના વિકાસ અને વિશ્વાસને નવી ઊંચાઈ તરફ લઈ જશે
દેવેન ચોક્સી (કે.આર. ચોક્સી હોલ્ડિંગ લિ.ના મૅનેજિંગ ડિરેક્ટર)
ગ્લોબલ સંકટો, અનિશ્રિતતાઓ વચ્ચે જાહેર થયેલું ભારતનું આ વખતનું બજેટ વિકાસ અને રોજગાર પર ભાર મૂકનારું સરળ, સાદું અને સાતત્ય ધરાવતું બજેટ છે. સરકારે ધારણા મુજબ જ કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો અને નાગરિકો માટે અનેક પગલાં ભર્યાં છે. આ દરેક ક્ષેત્રે રાજકોષીય શિસ્ત રાખીને ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેથી વિકાસ થઈ શકે. અહીં નોંધવું ઘટે કે વૈશ્વિક રોકાણકારો અને રેટિંગ ઍજન્સીઓ રાજકોષીય શિસ્તનો આગ્રહ રાખતાં હોય છે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રાજકોષીય ખાધ ઘટાડીને ૫.૯ ટકા સુધી લાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં આ ટકાવારી ઘટાડીને ૪.૫ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. એને લીધે ભારતમાં મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ થશે.
ખેડૂતો-ઉદ્યમીઓને લાભ
રોજગારવૃદ્ધિ અને વિકાસ પર ભાર આપવા માટે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને વધુ ધિરાણ આપવાનું નક્કી થયું છે. વળી, યુવા ઉદ્યમીઓને આકર્ષવા માટે એક્સેલરેટર ફંડની સ્થાપના કરવામાં આવવાની છે. કપાસની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતો, સરકાર અને ઉદ્યોગ વચ્ચે ખાનગી-સરકારી સહભાગિતા રાખવામાં આવવાની છે. જાડાં ધાન્યોના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે તથા ૬૩,૦૦૦ પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટીનું કમ્પ્યુટરાઇઝેશન કરાવામાં આવવાનું છે, જેથી કૃષિમાં ઓછા ખર્ચે ઉત્પાદન વધે અને વિકાસ થાય. મોટાપાયે સ્ટોરેજની સુવિધા પૂરી પાડવાનું નક્કી થયું હોવાથી ખેડૂતોને એમની ઊપજના વધુ ભાવ મળી શકશે. કૃષિ ક્ષેત્રે રચવામાં આવનારા ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પગલે ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ આવશે, જે ઉદ્યોગ માટે પણ સારું કહેવાશે, કારણ કે દેશની ૬૦ ટકા કરતાં વધુ વસતિ પાસે ખર્ચ કરવા માટે વધુ આવક ઉપલબ્ધ થશે. આ રીતે ઉદ્યોગોમાં પણ ઉત્પાદન વધશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લક્ષ
સરકારે સામાજિક અને પર્યાવરણ અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર લક્ષ આપ્યું છે. એનાથી ગ્રામીણ ભારત સશક્ત બનશે. આદિવાસી સમૂહના રહેણાંક, સ્વચ્છ પાણી, સફાઈ, શિક્ષણ અને આરોગ્ય, પોષણ, માર્ગો તથા ટેલીકોમ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા, ગ્રામીણ હાઉસિંગ માટે ૭૯,૦૦૦ કરોડ રૂપિયા, ગ્રીન હાઇડ્રોજન માટે ૧૯,૭૦૦ કરોડ રૂપિયા તથા લદાખમાં સ્વચ્છ ઊર્જા માટે ૨૦,૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ ઉપરાંત ઈથેનોલ અને નેચરલ ગેસનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવા માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ પ્રૉજેક્ટ્સ પર બે લાખ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ થશે, જેનો પરોક્ષ લાભ ઉદ્યોગોને થશે. મારા મતે કેપિટલ ગૂડ્સ, બૅન્કિંગ અને સ્વચ્છ ઊર્જામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવનાર કંપનીઓ આવતા એક દાયકા કે એનાથી પણ વધુ સમય સુધી મોટા પાયે વિકાસ કરી શકશે.
આધુનિક ભારતનું નિર્માણ
આગામી દસ વર્ષમાં ૧૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ભારત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવવાનું છે. એમાંથી ૨.૪૦ લાખ કરોડ રૂપિયા રેલવેઝમાં વપરાશે. ખાનગી ક્ષેત્રના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સહિત ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ દ્વારા લૉજિસ્ટિક્સનું નિર્માણ કરીને પરિવહનના ૧૦૦ મહત્ત્વપૂર્ણ પ્રૉજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. એ ઉપરાંત ૫૦ નવાં ઍરપોર્ટ, હેલિપોર્ટ અને વૉટર એરોડ્રોમ બનાવવામાં આવશે. આવા મોટા પ્રમાણમાં અર્થતંત્રને વેગ આપવામાં આવવાનો હોવાથી પ્રચંડ પ્રમાણમાં વૈશ્વિક રોકાણ આકર્ષિત કરી શકાશે.
આ કાર્યોને પગલે માગમાં વૃદ્ધિ થવાથી બૅન્કિંગ, કેપિટલ ગૂડ્સ, બિલ્ડિંગ મટેરિયલ, કન્સ્ટ્રક્શન, કોમોડિટીઝ એ બધાં ક્ષેત્રે લાભ થશે.
ડેટાની સલામતી માટેનું પગલું
વૈશ્વિક કંપનીઓને ગિફ્ટ સિટીના આઇએફએસસીમાં ડેટા એમ્બેસી બનાવવાની પરવાનગી આપવાનું પગલું સમજદારીભર્યું છે. એનાથી ડેટા ભારતની અંદર જ રહેશે. આ રીતે ડેટાની સલામતી જાળવવાની સાથે સાથે રોકાણ આકર્ષિત કરી શકાશે. કોમન કેવાયસીને લીધે સરળતા વધશે. એમએસએમઈને ૯,૦૦૦ કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરંટી તથા કોલેટરલમુક્ત બે લાખ કરોડ રૂપિયા મળવાથી નાણાકીય કંપનીઓને લાભ થશે.
‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ વધશે
કંપનીઓ માટેના અનુપાલનમાં ૩૯,૦૦૦ કાર્યો રદ કરવામાં આવ્યાં છે તથા ૩,૪૦૦ જોગવાઈઓમાં ફોજદારી કલમ કાઢી નાખવામાં આવી છે. આને પગલે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ વધશે.
જીવન વીમા કંપનીઓએ બિઝનેસ મોડેલમાં ફેરફાર કરવો પડશે
સરકારે વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુના વીમા પ્રીમિયમ (રિન્યુઅલ પ્રીમિયમ સહિત) પર કરવેરો લાદવાનો નિર્ણય લીધો એ પ્રતિકૂળ છે. એને લીધે યુલિપ અને સિંગલ પ્રીમિયમ વીમા પૉલિસીઓ તથા સેવિંગ્સ આધારિત પૉલિસીઓને પણ નુકસાન થશે. આ સ્થિતિમાં જીવન વીમા કંપનીઓએ પોતાના બિઝનેસ મોડેલમાં ફેરફાર કરવો પડશે.
ખરીદીની તક
બજારમાં વિદેશી ટ્રેડરો (વિદેશી રોકાણકારો નહીં)એ વેચવાલી કરી તેથી બજાર વધ્યું નથી. હાલ ઓછા ભાવે અને વેલ્યુએશને રોકાણકારોને ખરીદીની સારી તક મળી છે.