‘બજેટમાં વિકાસરૂપી સપનાના બુસ્ટરડોઝમાં આમપ્રજા ભૂલાઇ’
મયૂર મહેતા, (મેનેજિંગ તંત્રી, કોમોડિટી વર્લ્ડ)
કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના, પર્યાવરણનું જતન અને રોકાણ માટે નાણાની પ્રાપ્તિ અને ક્રિપ્ટો કરન્સીના વેપાર પર ૩૦ ટકા ટેક્સ લાદવાની જાહેરાતની સાથે ભારતને આધુનિક બનાવવાના અનેક સપના દેખાડાયા હતા પણ આમપ્રજાના સપનાઓનું શું ? માત્ર દેશના વિકાસનો નજારો જોઇને જ આમપ્રજાને પેટ ભરવાનું કે શું ? ખેતી અને ગ્રામિણ ભારતના વિકાસની કોઇ મોટી જાહેરાત કરાઇ નથી. એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં આવ્યા પણ ખેડૂતોની એમએસપીની ગેરેંટીની માગણી વિશે કોઇ જાહેરાત કરાઇ નહોતી માત્ર સરકાર દ્વારા એમએસપીથી જંગી ખરીદી થયાના આંકડા આપીને નાણાપ્રધાને સંતોષ માન્યો હતો.
કોરોનાના કપરાં કાળ સામે ઝઝુમી રહેલી આમપ્રજાને આવકવેરામાં રાહત મળશે તેવી મોટી આશા હતી જ્યારે દેશનું જીએસટી કલેકશન રેકોર્ડસ્તરે પહોંચ્યું હોય ત્યારે તેનો ફાયદો આમપ્રજાને નાણા પ્રધાન આપી શકયા હોત પણ આવકવેરામાં રાહત ન આપી શકવા બદલ માફીના શબ્દોથી આમપ્રજાને સંતોષ માનવો પડયો છે.
ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ ભારતના વિકાસ માટે બજેટમાં કોઇ મોટી જાહેરાત કરાઇ નહોતી. નદીઓનો જોડવાની વાત અને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વિગેરે જાહેરાતો થાય ત્યારે સારી લાગે છે પણ તેનો વાસ્તવિક અમલ થાય તો જ તેનો લાભ મળી શકે છે. ત્રણ વર્ષ અગાઉ ગ્રામિણ માર્કેટયાર્ડ બનાવવાની બહુ મોટી જાહેરાત કરાઇ હતી પણ છેલ્લા ત્રણ વર્ષમાં નવા ગ્રામિણ માર્કેટયાર્ડો સરકારી યોજના હેઠળ ઉભા થયાનું દેખાતું નથી.
કોમોડિટી માર્કેટ વિશે પણ બજેટમાં કોઇ જાહેરાત થઇ નથી. તેલીબિયાંના ઉત્પાદનક્ષેત્રે સ્વાવલંબી બનવા માટે ઓઇલસીડ્ઝ ડેવલપમેન્ટ મિશનને મંજૂરી આપવાની જાહેરાત કરાઇ હતી પણ તેના માટે ફંડની ફાળવણી કરાઇ નથી. દેશની ખાદ્યતેલોની આયાતનું બિલ હવે એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે ત્યારે ખાદ્યતેલોની આયાત રોકવા માટે કોઇ મોટી જાહેરાત થશે તેવી ધારણા હતી પણ તે વિશે માત્ર વાતો જ થઇ છે.
સરકારે ગોલ્ડ ઇલેકટ્રોનિક્સ રિસિપ્ટ શરૂ કરવાની જાહેરાત કરી પણ આયાત ડયુટી અને જીએસટીની વિસંગતતા હજુ પણ યથાવત છે. સોનાની ઊંચી આયાત ડયુટીને કારણે દર વર્ષે દાણચોરી વધી રહી છે અને દેશની જવેલરીની નિકાસને દર વર્ષે ફટકો પડે છે પણ તમામ પ્રશ્નો હજુ એમને એમ જ રહ્યા છે.
બજેટમાં ભારતને આધુનિક બનાવવા અને વિશ્વગુરૂ બનાવવા માટેની અનેક જાહેરાતો કરાઇ છે પણ આમપ્રજા, ગ્રામિણ ભારત અને મહિલાઓના વિકાસ વગર ભારત વિશ્વગુરૂ કેવી રીતે બની શકે ? તે પ્રશ્નનો જવાબ નાણામંત્રી બજેટ દ્વારા આપી શકયા નથી.