Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratછ દિવસના બાળકના અંગદાનથી ચાર “જીવનદીપ” રોશન

છ દિવસના બાળકના અંગદાનથી ચાર “જીવનદીપ” રોશન

સુરત : મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઢાંક ગામના વતની અને હાલ સુરત વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુંમરના બેબીનાં અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે. મળતી માહિતી મુજબ 23 સપ્ટેમ્બરના રોજ મનીષાબેન મયુરભાઈ ઠુંમરને નોર્મલ ડીલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો. ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પીટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરુ કરવામાં આવી હતી.

ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી, સઘન સારવાર બાદ 27 સપ્ટેમ્બરના રોજ ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો.મયંક દેત્રોજા, ડો.ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી. બ્રેઈન ડેડ જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે એવી સમજણ આપેલ હતી.

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી હતી. આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનાનો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું. ટીમ જીવનદીપ એ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. હરેશભાઈ પાગડા, ડો. નીલેશ કાછડિયા, ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો. ક્રિષ્ના ભાલાળા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, સતિષ ભંડેરી, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવીયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલથી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરતથી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular