Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsInternationalશું કોરોના મહામંદીના એ દિવસો પાછા લાવશે?

શું કોરોના મહામંદીના એ દિવસો પાછા લાવશે?

નવી દિલ્હીઃ 2008ની આર્થિક કટોકટી પહેલાં 1929-30માં મહા મંદી આવી હતી, જેમા એટલી વસમી સ્થિતિ હતી કે નોકરી મેળવવા માટે લોકો ગળામાં પાટિયું લગાવીને નોકરીઓ માગી રહ્યા હતા. ત્યાં સુધી કોઈ પણ બાળકો પણ પિતા માટે નોકરી માટે રસ્તા પર આવી ગયા હતા. આ ફોટો 1929-30નો છે, જે ત્યારની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપે છે. દરેક જણ પોતાના અને પરિવારના પાલનપોષણ માટે નોકરી માગી રહ્યું હતું. કોઈ રચનાત્મક રીતે તો કોઈ ભાવનાત્મક રીતે પોતાની વ્યથા રજૂ કરી રહ્યું હતું. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (IMF)  આ વખતે કોરોના વાઇરસને લીધે 1929-30ની મહામંદી કરતાં પણ મોટી મંદીની સંભાવના વ્યક્ત કરી હતી. વિશ્વભરમાં કોરોના વાઇરસથી આશરે 16 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃતકોની સંખ્યા પણ એક લાખ સુધી જઇ શકે છે ત્યારં IMFએ એ મહા મંદીની યાદ અપાવી દીધી હતી.

લોકો ગળામાં પાટિયું લગાવીને નોકરી માગતા હતા

એ મહા મંદી વખતે સ્થિતિ એટલી ભયંકર હતી કે લોકો ગળામાં પાટિયું લગાવીને નોકરી માગી રહ્યા હતા. લોકોએ રચનાત્મક અથવા ભાવનાત્મક રીતે લખીને નોકરીઓ માગી રહ્યા હતા. એ વખતની મંદીનું મુખ્ય કારણ ઉત્પાદન વધુ હતું અને માગ ઘચી ગઈ હતી.

બાળકો પોતાનાં માતા-પિતા માટે નોકરી માગી રહ્યા હતા

એ મહા મંદી વખતે કેટલીક જગ્યાએ બાળકો રસ્તાઓ પર પાટિયાં લઈને ફરતાં હતાં, જેમાં તેમણે પિતાને નોકરી આપવાની આજીજી કરી હતી. આ ફોટો ઘણો આઘાતજનક હતો. 1929ની મંદીમાં વિશ્વભરનાં બજાર કડડડભૂસ થયાં હતાં, કંપનીઓમાં કામ બંધ થઈ ગયાં હતાં અને બેન્કો નાદાર થઈ હતી.

બાળકોને વેચવાનાં પાટિયાં

કેટલાક લોકો તો મંદીથી એટલા બેહાલ થઈ ચૂક્યા હતા કે ભૂખની મજબૂરીને લીધે બાળકોને વેચી રહ્યાં હતાં. એ સમય એટલો ખરાબ હતો કે કેટલાક લોકોએ પોતાની જાત વેચવા કાઢી હતી.

દુકાળે ખેડૂતોને બરબાદ કર્યા હતા

એ મહામંદીમાં અમેરિકામાં એક એવો સમય આવ્યો કે દુકાળને લીધે ખેડૂતોની જમીન બેકાર થઈ ગઈ. પેટની આગ બુઝાવવા માટે લોકોએ પોતાના ઘરબાર છોડી દેવા પડ્યા હતા. નોકરી શોધવા લોકોએ અનેક જગ્યાએ ભટકવું પડયું હતું. એક જગ્યાએ તો એવું બોર્ડ પણ હતું, જેના પર લખ્યું હતું કે જેની પાસે નોકરી નથી એ લોકો આગળ વધતા રહે. અમે અમારું જ ધ્યાન નથી રાખી શકતા.

શેરબજારમાં 40 અબજ ડોલર સ્વાહા

29 ઓક્ટોબર, 1929એ ન્યુ યોર્ક એક્સચેન્જ ધરાશાયી થયું હતું અને 14 અબજ ડોલરનું નુકસાન થયું હતું. એ દિવસે મંગળવાર હતો. જેને બ્લેક ટ્યુઝડે કહેવામાં આવ્યો હતો. એ દિવસોમાં શેરબજારના 40 અબજ ડોલર સ્વાહા થઈ ગયા હતા. એ વખતે આશરે 9,000 બેન્કો નાદાર જાહેર થઈ હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular