Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratચારધામ યાત્રા: ધસારો વધતા, યાત્રાળુઓ ધીમા પરિવહનથી પરેશાન

ચારધામ યાત્રા: ધસારો વધતા, યાત્રાળુઓ ધીમા પરિવહનથી પરેશાન

અમદાવાદ: ચારધામ યાત્રા તો બહુ કઠિન હોં ભાઈ… આ શબ્દો ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા માટે વિચારતા, જતાં અને તૈયારીઓ કરતાં ગુજરાતી લોકોના પરિવારમાં ચોક્કસથી બોલાતા હશે. કારણ કે, ભૌગોલિક રીતે દુર્ગમ પહાડોની વચ્ચે આવેલાં મંદિરો એટલે ત્યાં પહોંચવું ખુબ જ કપરૂં. ત્યાં બીજી તરફ વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે આવેલા યાત્રાધામોની યાત્રા કરવી સામાન્ય વ્યક્તિ માટે ખરેખર મુશ્કેલ થઈ જાય છે. જો કે આ વર્ષે આ યાત્રા બીજા જ કારણોથી કઠિન થઈ ગઈ છે. પ્રશાસનની ધારણાં કરતાં વધારે યાત્રાળુઓ આવી પહોંચ્યા હોવાથી તેમની માટે સુવિધાઓ પૂરી પાડવામાં પ્રશાસન વામણું સાબિત થયું છે. પરિણામે યાત્રાળુઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખરેખર આ વર્ષે યાત્રા કરવી કઠિન થઈ ગઈ છે.ઉનાળાનું વેકેશન, કાળઝાળ ગરમીની આ ઋતુમાં ગુજરાતમાંથી અસંખ્ય પ્રવાસીઓ, શ્રધાળુઓનો ઉત્તરાખંડ ચારધામ તરફ ધસારો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. એકલા ગુજરાતમાંથી અસંખ્ય ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ ચારધામનો પ્રવાસ કરાવી રહી છે. બીજી તરફ પોતાની રીતે ગૃપ બનાવી જતાં લોકો ખાનગી વાહનો કરીને એડવેન્ચરની મજા લેવા માટે પણ ચારધામ પહોંચી રહ્યા છે. હાલમાં એવી પરિસ્થિતિ છે કે ઉત્તરાખંડ સરકારે સમયાંતરે પ્રવાસીઓ માટે સૂચના અને સૂચનો જાહેર કરવા પડે છે. અમદાવાદથી ગૃપ સાથે ચારધામ યાત્રા કરવા નીકળેલા કાજલ રૂપારેલિયાએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરે છે. તેમનું કહેવું છે કે, “ઉત્તરાખંડ સરકારે જાહેરાત કરી છે કે જે યાત્રીએ ચારધામ યાત્રા કરવાની હોય એમણે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવીને જ આવવાનું રહેશે. અહીંયા યમુનોત્રી જવા માટે અસંખ્ય વાહનોની ભીડ લાગી છે. હાઇવે એકદમ જામ છે. અમને ચારે તરફ ગુજરાતના યાત્રાળુઓ જ જોવા મળી રહ્યા છે. સામેથી વીસ ગાડીઓ આવે ત્યારે બીજી તરફ ટોકન રજીસ્ટ્રેશન સાથેના દશ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. દુર્ગમ રસ્તાઓ અને પહાડો વચ્ચે યાત્રાળુઓના ભારે ધસારાથી કલાકોના કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે.યમુનોત્રી તરફ જતાં માર્ગમાં કલાકોથી ફસાયેલા યાત્રી ધવલભાઇ ચિત્રલેખા.કોમને કહે છે જો ચારધામની યાત્રા કરવી હોય તો દરેક શ્રધાળુઓએ સમય લઇને જ આવવું. કારણ અહીં એક યાત્રા સ્થળની મુલાકાત લેતા પહેલાં 12 થી 15 કલાક સુધી હાઇવે પર બેસી રહી સમય પસાર કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે. ઉત્તરાખંડ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ યાત્રાળુઓને સમજાવવા માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતમાંથી યાત્રાળુઓનો અભુતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ સરકાર અને સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા કેમ્પ ખોલી સુવિધાઓ આપવામાં આવી રહી છે. હાલ અહીં ગરમીનું પ્રમાણ પણ વધારે છે એ સાથે રજીસ્ટ્રેશન ટોકન અને વાહનોની કતારોની પરેશાની પણ ખરી. જેથી આયોજન અને લાંબા સમયની રાહ જોવાનો સમય હોય તો જ ચારધામની યાત્રા થાય.

તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલા આંકડા મુજબ 5 જ દિવસમાં અઢી લાખથી પણ વધારે લોકોએ ચારધામ યાત્રાના દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બીજી તરફ રજીસ્ટ્રેશન વગરના યાત્રાળુઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. વાહનો વધતાં અકસ્માતો પણ વધી રહ્યા છે. વાહનની બ્રેક ફેઇલ થતાં પલટી ખાઇ ગયેલા ટ્રેમ્પો ટ્રાવેલરમાં સવાર ગુજરાતના જ 8 જેટલાં યાત્રાળુઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમને સહી સલામત અમદાવાદ રવાના કરાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular