Sunday, June 1, 2025
Google search engine
HomeNewsGujaratવડોદરાને ઘેલું કરશે આદિત્ય ગઢવી

વડોદરાને ઘેલું કરશે આદિત્ય ગઢવી

ગુજરાતી લોકસંગીત અથવા તો સુગમ કે કાવ્યસંગીતનો કાર્યક્રમ એવું સાંભળીએ એટલે સ્ટેજની આકૃતિ આપણી સામે આવી જાય: વચ્ચે ગાયક-ગાયિકા. એમની આગળ હાર્મોનિયમ. એક તરફ તબલાં, વાયોલિન કે બેલાબહાર જેવાં વાદ્યો. બીજી બાજુ ગિટાર, કી-બોર્ડ વગાડનારા કલાકારો.

અને હા, લાંબો ઝભ્ભો પહેરીને બેઠેલા એક સંચાલક પણ ખરા.

હવે કોઈ એમ કહે કે ચાલીસ બાય ચાલીસ ફૂટથી પણ વધારે સાઈઝનું ભવ્ય સ્ટેજ, એકસાથે સાઠ-સિત્તેરથી વધારે રંગીન લાઈટોનો ઝગમગાટ, સેંકડો ડેસિબલની સાઉન્ડ સિસ્ટમ અને કાર્યક્રમ કોઈ બંધ સભાગૃહમાં નહીં, પરંતુ ખુલ્લા મેદાનમાં. એક-એક ગીત પર યંગસ્ટર્સ ઝૂમે, તાલ આપે, સાથે સૂર પણ પુરાવે તો?

આપણે કહીએ કે આ તો અરિજિતસિંહ કે શ્રેયા ઘોષાલના ઈવેન્ટની વાત છે.

ના, એવું નથી. આવું ગુજરાતી ગીતોમાં પણ શક્ય છે. હમણાં જ આવો શો અમદાવાદમાં થયો અને હવે 4 જૂન ને શનિવારે વડોદરામાં પણ એ થવાનો છે. સ્ટેજ પરથી સૂરનું અજવાળું પાથરશે પ્રતિભાશાળી યુવા ગાયક આદિત્ય ગઢવી. ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ચારણકન્યા  કે કવિ દલપતરામના કાવ્ય મહા હેતવાળી દયાળી જ મા તું… જેવી અનેક રચનાથી પ્રખ્યાત બનેલા આદિત્યએ ગુજરાતી કાવ્યસંગીત-લોકસંગીતના ક્ષેત્રે તદ્દન નવો શો શરૂ કર્યો છે.

ચિત્રલેખા સાથે વાત કરતાં આદિત્ય ગઢવી કહે છે, ‘ગુજરાતી કવિતાઓ કે લોકરચનાઓનો વારસો સમૃદ્ધ છે, છતાં નવી પેઢી સુધી એ પહોંચતો નથી એવી ફરિયાદ હતી. મારું એક સપનું હતું કે આપણી ભાષાની કવિતાઓ-લોકકાવ્યોને હું એવી રીતે રજૂ કરું કે બહુ મોટાં ઑડિયન્સ સુધી એ પહોંચે. આપણી ભાષાની જુદા જુદા સમયની કવિતાઓ-રચનાઓ અમે લીધી છે. પરિણામ એ છે કે આ શોનું સિત્તેર ટકા ઑડિયન્સ યુવા વર્ગમાંથી છે. કોરોના પહેલાં જ એક નવું સ્વરૂપ વિચાર્યું હતું. પછીનાં બે વર્ષ તો કાર્યક્રમો જ નહોતા. હવે આ શો અમે શરૂ કર્યો છે.’

વરુણ સુતરિયાની ઈવેન્ટ કંપની રંગ બાય વરુણ  આ શોના આયોજનની જવાબદારી સંભાળે છે. રચનાઓની પસંદગી, સંગીત સંચાલન, કઈ રીતે મંચ પર એની રજૂઆત કરવી એ બધું આદિત્ય સંભાળે તો વહીવટી પ્રક્રિયા વરુણ અને ગ્રાફિક્સ વગેરે દેવલ પંચાલ સંભાળે છે. આ શોની વિશેષતા એ છે કે આમાં હિંદી ગીત એક પણ નથી. બધી જ ગુજરાતી રચના છે. ગુજરાતી ભાષામાં હાલરડાં, શૌર્યગીતો, મેળાનાં ગીત, પ્રસંગરચના, રાસ, સ્ત્રીસંવેદન એવી અનેક કૃતિ છે અને આ શોમાં એ બધું જ છે.

આદિત્ય ગઢવી ઉમેરે છે, ‘અમારી આખી ટીમ તો સો વ્યક્તિની છે. અમારો કન્સેપ્ટ જ એ હતો કે કૈલાસ ખેર કે અરિજિતસિંહ કે એવા કોઈ પણ કલાકાર પોતાનો શો કરે છે એ જ સ્કૅલ પર આપણે આપણું મ્યુઝિક કેમ રજૂ ન કરીએ? લાઈટો, એલઈડી બધું જ એવી રીતે રાખ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ લાગે. વડોદરા પછી સુરત અને રાજકોટમાં પણ આ શો લઈને જવાના છીએ.’ વડોદરાની આ ઇવેન્ટમાં ચિત્રલેખા મિડિયા પાર્ટનર છે.

ગુજરાતી કાવ્યસંગીત કે લોકસંગીતનું પોત જરા પણ ઘવાય નહીં એ રીતે અને છતાં આધુનિક ટેક્નોલૉજીથી પ્રસ્તુત કરવાનું નોંધપાત્ર કામ યુવા ગાયક આદિત્ય ગઢવીએ કર્યું છે.

(જ્વલંત છાયા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular