Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsGujaratબાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલ

બાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલ

અમદાવાદઃ અમદાવાદનાં સૌથી સીમાચિહ્નરૂપ પૈકીનાં કેટલાંક અત્યંત મહત્વનાં સ્થાપત્યોનું ડિઝાઇનિંગ કરનારા વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ પોતાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરવા ઉપરાંત દેશના ગૌરવમાં વધારો કર્યો છે. સુપ્રસિદ્ધ સ્થપતિ બાલકૃષ્ણ દોશીનું મંગળવારે આર્કિટેક્ચર ક્ષેત્રના વિશ્વના સૌથી સર્વોચ્ચ સન્માન પૈકીના એક પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલ 2022થી સન્માન કરવામાં આવ્યું હતું.

રોયલ ગોલ્ડ મેડલ અને આર્કિટેક્ચર ક્ષેત્રના નોબલ તરીકે ઓળખવામાં આવતાં  પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ એ બંને અત્યંત પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કરનાર 94 વર્ષીય દોશી, કેટલાક વિરલ લોકો પૈકીના એક છે. આર્કિટેક્ચર ક્ષેત્રે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ 2020માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દોશીને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ દ્વારા ત્રણ માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવી ચૂકી છે જેમાં તાજેતરમાં બોસ્ટન આર્કિટેક્ચરલ કોલેજ, USA દ્વારા 2021માં અપાયેલી ડોક્ટરેટની પદવીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ફ્રાન્સિસ ડી આર્કિટેક્ચર, પેરિસ દ્વારા ‘ગ્લોબલ એવોર્ડ ફોર લાઇફટાઇમ અચિવમેન્ટ ફોર સસ્ટેઈનેબલ આર્કિટેક્ચર’થી પણ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

તેમના કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સમાં શ્રેયસ કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ કેમ્પસ, અમદાવાદ (1958-63)નો સમાવેશ થાય છે. અટિરા ગેસ્ટ હાઉસ, અમદાવાદ (1958); ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ (1962); અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (1966 – 2002માં નામ બદલીને સેપ્ટ યુનિવર્સિટી કરવામાં આવ્યું);  ટાગોર હોલ એન્ડ મેમોરિયલ થિયેટર, અમદાવાદ (૧૯૬૭); પ્રેમાભાઈ હોલ, અમદાવાદ (૧૯૭૬); IIM-બેંગલોર (1977-1992); કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, અમદાવાદ (1984); અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ, ઇન્દોર (1989); અને અમદાવાદની ગુફા (1994)નો સમાવેશ થાય છે.

જીવનકાળમાં આપેલા યોગદાનની કદરરૂપે અપાતો રોયલ ગોલ્ડ મેડલ રાણી વિક્ટોરિયા દ્વારા વ્યક્તિગત રીતે મંજૂર કરવામાં આવે છે અને એ આર્કિટેક્ચર ક્ષેત્રના વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર અસર સર્જનારા લોકોને એનાયત કરવામાં આવે છે.

આ અંગે પ્રતિભાવ આપતાં દોશીએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડનાં રાણી તરફથી રોયલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ હું સાનંદાશ્ચર્ય અને વિનમ્રતાની લાગણી અનુભવી રહ્યો છું. આ ખરેખર એક મહાન સન્માન છે. આ સન્માન મળવાના સમાચારે 1953માં લા કર્બુઝિયર સાથે કામ કરવાની મારી સ્મૃતિઓને તાજી કરી છે, જ્યારે તેમને રોયલ ગોલ્ડ મેડલ એનાયત થવાના સમાચાર મળ્યા હતા. આ સન્માન મળવા બદલ તેમને થયેલો આનંદ અને રોમાંચ મને હજી પણ યાદ છે. આજે છ દાયકા બાદ, મારા ગુરુ લા કર્બુઝિયરની જેમ મને પણ મારા છ દાયકાની કામગીરીને બિરદાવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે તેનાથી હું અત્યંત ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ સન્માન બદલ હું મારી પત્ની, મારી પુત્રી અને સૌથી વિશેષ મારી ટીમ તથા મારા સ્ટુડિયો સંગાથના સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

રોયલ ગોલ્ડ મેડલ વિજેતાની પસંદગી કરનારી 2022 ઓનર્સ કમિટીની અધ્યક્ષતા રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (RIBA)ના પ્રમુખ સિમોન ઓલફોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

IRBAના પ્રમુખ સિમોન ઓલફોર્ડે જણાવ્યું હતું કે બાલકૃષ્ણ દોશીને 2022ના રોયલ ગોલ્ડ મેડલ વિજેતા તરીકે પસંદ કરવા અંગેની સમિતિની અધ્યક્ષતા કરવી એ એક સન્માન અને આનંદની વાત છે. 94 વર્ષની વયે, તેમણે તેમના આનંદદાયક હેતુપૂર્ણ સ્થાપત્ય દ્વારા આર્કિટેક્ટ્સની પેઢીઓને પ્રભાવિત કરી છે. લા કાર્બુઝિયરના કાર્યાલયમાં વિતાવેલા તેમના સમયથી પ્રભાવિત તેમનું કાર્ય મૌલિક અને સ્વતંત્ર ચિંતકનું છે. સ્થાપત્ય કળા, બાંધકામની કળા અને શહેરી ડિઝાઇનની પ્રેક્ટિસમાં તેમનું ઉત્કૃષ્ટ પ્રદાન તેમને આ પુરસ્કારના સૌથી લાયક વ્યક્તિ તરીકે સ્થાપિત કરે છે.

સાત દાયકાની સુદીર્ઘ કારકિર્દી અને 100થી વધુ પ્રોજેક્ટોમાં દોશીએ પોતાની પ્રેક્ટિસ અને શિક્ષણ દ્વારા ભારત અને તેની આસપાસના પ્રદેશોમાં સ્થાપત્યની દિશા પર પ્રભાવ પાડ્યો છે. તેમની ઇમારતો સ્થાનિક ભાષા સાથે અગ્રણી આધુનિકતાવાદને જોડે છે, જે ભારતના સ્થાપત્ય, આબોહવા, સ્થાનિક સંસ્કૃતિ અને હસ્તકલાની પરંપરાઓની ઊંડી છાપ ધરાવે છે. તેમના પ્રોજેક્ટ્સમાં વહીવટી અને સાંસ્કૃતિક સુવિધાઓ, આવાસ વિકાસ અને રહેણાક ઇમારતોનો સમાવેશ થાય છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના વિઝનરી શહેરી આયોજન અને સામાજિક આવાસ પ્રોજેક્ટો તેમ જ ભારતમાં અને વિશ્વભરની યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકેના શિક્ષણ કાર્ય માટે જાણીતા છે.

૧૯૨૭માં પુણેમાં ફર્નિચર બનાવનારાઓના એક બૃહદ પરિવારમાં જન્મેલા શ્રી દોશીએ જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે પેરિસમાં સિનિયર ડિઝાઈનર (૧૯૫૧-૫૪) તરીકે લા કાર્બુઝિયર સાથે ચાર વર્ષ અને ભારતમાં વધુ ચાર વર્ષ અમદાવાદમાં પ્રોજેક્ટ્સની દેખરેખ માટે કામ કર્યું હતું. તેમણે IIM-Aનું નિર્માણ કરવા માટે એક સહયોગી તરીકે લુઇસ કહન સાથે કામ કર્યું હતું અને તેઓ એક દાયકા સુધી એકબીજા સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે 1956માં બે આર્કિટેક્ટ્સ સાથે મળીને સ્વતંત્ર કામગીરી શરૂ કરવા વાસ્તુશિલ્પની સ્થાપના કરી હતી. આજે, વાસ્તુશિલ્પ એક વૈવિધ્યપૂર્ણ શાખાઓ ધરાવતી સંસ્થા છે, જેમાં ત્રણ પેઢી સુધીનું મૂળ ધરાવતા પાંચ ભાગીદારો અને 60 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular