Friday, June 20, 2025
Google search engine
HomeNewsGujaratયૂક્રેનમાં ફસાયેલાં ભારતીય છાત્રોની મદદે આર્ટ ઓફ લિવિંગ

યૂક્રેનમાં ફસાયેલાં ભારતીય છાત્રોની મદદે આર્ટ ઓફ લિવિંગ

અમદાવાદઃ યુક્રેન અત્યારે અત્યંત પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. વિનાશ, આર્થિક તબાહી, મૃત્યુ, અને હિંસાનાં દ્રશ્યો હચમચાવી મૂકે તેવાં છે. ભયના ઓથાર અને તણાવ હેઠળ યુક્રેનના નાગરિકો અને યુક્રેન સ્થિત અન્ય દેશોના નાગરિકો, યુક્રેનની બહાર નીકળી જવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. અનેક ભારતીય છાત્રો પણ આ કઠિન સમયનો સામનો કરી રહ્યાં છે. ભારત સરકારે આ બધા જ છાત્રોને સહી સલામત સ્વદેશ પહોંચાડવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે, અને તેમાં વિવિધ સ્ત્રોત દ્વારા સરકારને સહાય મળી રહી છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે માનનીય પ્રધાનમંત્રીએ ફોન દ્વારા મોડી રાત્રે વાત કરીને આ છાત્રો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. વિદેશોમાં આવેલા આર્ટ ઓફ લિવિંગના બધા જ આશ્રમ શરણાર્થીઓ માટે ખુલ્લા મૂકવા તેમણે સૂચન કર્યું. શ્રી શ્રી રવિશંકરજીએ તેમને જણાવ્યું કે આ સેવા કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. શ્રી શ્રી જણાવે છે કે પૉલિશ બોર્ડર ઉપર ઝસાફ ટાઉનમાં બહોળી સંખ્યામાં શરણાર્થીઓ સતત આવી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો ત્યાં સતત 24X7 સેવા આપી રહ્યા છે.

આર્ટ ઓફ લિવિંગ દ્વારા યુક્રેનની બોર્ડર ઉપર તથા સ્લોવેકિયા, પૉલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા, હંગેરી અને જર્મની ખાતે ભારતીય છાત્રોનાં સ્થળાંતર તથા નિવાસની વ્યવસ્થા કરાઇ છે. ૧૭૦૦૦ થી વધુ છાત્રોનું યુક્રેનથી સ્થળાંતર થઈ ચૂક્યું છે, અને હજુ હજારો છાત્રો રાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં છે, જેમનાં સ્થળાંતર માટે, તથા અન્ય રાષ્ટ્રોના નાગરિકો માટે આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો સતત કાર્યશીલ છે.

આર્ટ ઓફ લિવિંગ-યુરોપના પ્રતિનિધિ સ્વામી જ્યોતિર્મયજી કહે છે કે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની સૂચના મુજબ, યુદ્ધના પહેલા દિવસથી જ આર્ટ ઓફ લિવિંગ યુરોપનાં સ્વયંસેવકોએ સહાય કાર્ય શરૂ કરી દીધું છે. ત્યાર પછી અમે કિવ પર વધુ ધ્યાન આપ્યું છે અને શરણાર્થીઓ માટે સ્થળાંતર અને રહેઠાણની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ.

આર્ટ ઓફ લિવિંગ યુરોપના અન્ય પ્રતિનિધિ સ્વામી જાતવેદજી કહે છે કે તેઓ સરહદની નજીકના ટાઉનમાં રહે છે. તેઓ સતત એમ્બેસીનાં સંપર્કમાં છે. તેમની પાસેથી માહિતી મેળવીને બોર્ડર પર રહેલા શરણાર્થીઓ તથા અન્ય સ્થળોએ રહેલા લોકોને ટ્રાન્સપોર્ટ, તથા રહેઠાણ અને ભોજનની સુવિધા આર્ટ ઓફ લિવિંગ યુરોપ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

શરણાર્થીઓ પોતાના અનુભવ જણાવતાં કહે છે કે અહી ખૂબ સુંદર સુવિધા અમને મળી રહી છે. ખૂબ શાંતિનો અનુભવ થાય છે. આઠ દિવસનાં સતત તણાવ પછી અમે ગઈ રાત્રે ગાઢ ઊંઘ લીધી છે. અન્ય એક છાત્ર કહે છે કે આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકો અમને પોતાના સંતાનની જેમ સાચવી રહ્યા છે.

હજારો શરણાર્થીઓ માટે ભોજન, નિવાસ, દવાઓની સાથે સાથે ધ્યાન અને યોગ દ્વારા માનસિક તણાવથી મુક્ત થવાની શિબિરનું પણ આયોજન થઈ રહ્યું છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે જ્યારે વિશ્વ મહામારી, યુદ્ધ કે કુદરતી આફતના કપરા સંજોગોમાંથી પસાર થતું હોય છે ત્યારે એક સકારાત્મક ઘટના એ બને છે કે લોકો પરસ્પર સહાય કરવા માટે આગળ આવે છે, એક અનુપમ ઐક્યનો અનુભવ થાય છે. અત્યારે સમગ્ર યુરોપ ભય, તણાવ અને પીડાનો સામનો કરી રહ્યું છે ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે એક બનીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ.

કોઈ પણ સહાય માટે આપ આર્ટ ઓફ લિવિંગ યુરોપ હેલ્પ લાઇન નંબર +૩૧૬૩૧૯૭૫૩૨૮ ઉપર સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular