Monday, June 30, 2025
Google search engine
HomeNewsGujaratઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયાં

ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયાં

ઊંઝા એપીએમસીની 15 બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બુધવારે ફોર્મ ભરાતા દિવસભર એપીએમસીમાં મેળા જેવો માહોલ રહ્યો હતો. ચૂટણીમાં ખેડૂત વિભાગમાંથી એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ તેમજ  ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની દસ, વેપારી વિભાગની ચાર, અને ખરીદ વેચાણ મંડળીની એક બેઠક મળીને કુલ 15 બેઠકોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે વેપારીઓ ખેડૂતો ઉમટી પડતાં દિવસભર રાજકીય માહોલ જોવા મળ્યો હતો. આજે ગુરૂવારે ફોર્મ ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ 9 ડિસેમ્બરના છે. જેથી 9 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપને જણાવી દઈએ કે ઊંઝા એપીએમસીમાં 15 બેઠકોની ચૂંટણી માટે 100 ફોર્મ ભરાયાં છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74  ફોર્મ ભરાયા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયા છે. તેમજ  ખરીદ – વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા માટે દિનેશ પટેલ અને કિરીટ પટેલના જૂથો દ્વારા મતદારોને રીઝવવા માટે રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ભાજપ દ્વારા કયા જૂથના આગેવાનને મેન્ડેટ અપાશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.

માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા ઘણાં સમયથી ભાજપના જ બે જૂથો દ્વારા મેન્ડેટ મેળવવા માટે પ્રદેશ કક્ષા સુધી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલાં મંડળીના પ્રતિનિધિઓએ ઉમેદવાર અમારો હોવા જોઈએ તેવી રજૂઆત મહેસાણા કમલમ્ ખાતે કરવામાં આવી હતી અને જો મતદારયાદી બહારના ઉમેદવારને મેન્ડેટ આપશે તો પરિણામ કઈક વિપરીત જ આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.જેને લઈને સરકાર પણ દ્વિધામાં મુકાઈ છે. સરકાર કોને મેન્ડેટ આપશે તે કહેવું મુશ્કેલ છે. સરકાર મેન્ડેટ આપવા બાબતે અનેક સવાલો ઉભા થયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular