Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratમુખ્યમંત્રી સાથે જાપાનના ડેલિગેશનની મુલાકાત

મુખ્યમંત્રી સાથે જાપાનના ડેલિગેશનની મુલાકાત

જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના 18 સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત્ત આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની  મુલાકાતે આવેલું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી. શિઝૂઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉદ્યોગોમાં ચોથા ક્રમનું અગત્યનુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહિ, સૂઝુકી, યામાહા, હોન્ડા અને ટોયોટો જેવા ઓટોમોબાઇલ ઉધોગો શિઝૂઓકા પ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ ડેલિગેશનને આવકારતા કહ્યુ કે, પીએમ નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્રદેશ તરીકે આગળ વધ્યા છે. ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, જેમ ‘મેઇડ ઇન જાપાન’ની વિશ્વસનિયતા-ક્રેડીબિલીટી છે તેજ રીતે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ મંત્ર સાથે પણ પર્યાવરણ અનુકૂલન અને વિશ્વકક્ષાના ઉત્પાદનો માટે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રતિબધ્ધ છે.

તેમણે ગુજરાતમાં કાર્યરત જાપાનીઝ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પુરૂ પાડવાની નેમ દર્શાવતાં જણાવ્યુ કે, ઉદ્યોગોને કોઇ સમસ્યા ન રહે અને ઇન્ડો-જાપાન બાય લેટરલ રિલેસન્સ સાતત્યપૂર્ણ રીતે આગળ વધતા રહે તે માટે સરકારનો અભિગમ પ્રોએક્ટીવ છે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાનના મળી રહેલા સહયોગ અને પાર્ટનર કન્ટ્રી તરીકેના યોગદાનની પણ સરાહના કરી હતી.

ડેલિગેશનના વડા શ્રીયુત્ત આત્સુયુકી રાચીએ સીએમને જાપાનની અને તેમના પ્રદેશની મૂલાકાતે આવવાનું ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે, આગામી મહિનાઓમાં તેમના પ્રદેશના ગવર્નર પણ ભારત અને ગુજરાતની મુલાકાતે આવવા ઉત્સુક છે. ગુજરાત-શિઝુઓકા સંબંધોનો સેતુ વધુ ફળદાયી બનાવવા માટે વેપાર, ઉધોગ ક્ષેત્રે MOU કરવાની તત્પરતા પણ તેમણે દર્શાવી હતી.

આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સ્યુલ મુકેશ પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉધોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ.બી. પંચાલ તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ડેલિગેશનના હેડ શ્રીયુત્ત આત્સુયુકી રાચીને કચ્છી હસ્તકલા કારીગરીની સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular