Monday, June 16, 2025
Google search engine
HomeNewsGujaratઅધિક શ્રાવણ માસ શ્રધ્ધાળુઓ ભક્તિમય

અધિક શ્રાવણ માસ શ્રધ્ધાળુઓ ભક્તિમય

ચોમાસામાં ચાર માસ ભક્તિ ના માસ છે. અષાઢ પછી આવતો શ્રાવણ મહિનો હિંદુ સંસ્કૃતિ માં પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે. જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે.

આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે. જેમાં કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. મહત્વની વાત એ છે કે, ઉત્તર ભારતના કેટલાક રાજ્યો માં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો.

અધિક માસ કોને કહેવાય છે આ પ્રશ્ન ના ઉત્તર માં શાસ્ત્રી મનોજ વ્યાસ ચિત્રલેખા. કોમને કહે છે, અંગ્રેજી કેલેન્ડરની જેમ હિંદુ પંચાગમાં પણ વર્ષના 12 મહિના છે. હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ – તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. ઘણી વખત કોઇ મહિનામાં તિથિનો ક્ષય થવાથી એટલે કે તિથિ ઘટી જવાથી દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે. અંગ્રેજી કેલેન્ડર એટલે કે ગ્રેગોરિયન કેલેંડરમાં જેવી રીતે દર ત્રણ વર્ષે એક લીપ યર આવે છે . એવી જ રીતે હિંદુ પંચાગમાં પણ દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે.

અધિક માસ કે પુરુષોત્તમ માસ

સૌર માસ અને ચંદ્ર માસમાં દર વર્ષે આવતા તફાવતને ઘટાડવા માટે દર 3 વર્ષે એક અધિક માસ આવે છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિક માસ હોય છે. એવી જ રીતે જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિકમાસ કે પુરુષોત્તમ માસ આવે છે. એટલે કે તેરમો માસ. સૌર વર્ષ 365.2422 દિવસ અને ચંદ્ર વર્ષ 354.327 દિવસનો હોય છે. આવી રીતે બંનેના કેલેંડર વર્ષમાં 10.87 દિવસનો ફરક આવી જાય છે અને ત્રણ વર્ષમાં આ અંતર એક મહિના જેટલું થઈ જાય છે. આ અસમાનતાને દૂર કરવા માટે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો નિયમ બનાવ્યો છે.

2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ

અધિક શ્રાવણ 2023 ઉત્તર ભારતના હિન્દી ભાષી રાજ્યોની તુલનાએ ગુજરાતમાં હિંદુ માસ 15 દિવસ મોડા શરૂ થાય છે. પરંતુ તિથિ અનુસાર આવતા તહેવારોમાં કોઇ ફેરફાર નથી થયો. ઉતર ભારતના રાજ્યોમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ 2023 શરૂ થઇ ગયો છે. તો ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો. 16 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી મૂળ શ્રાવણ માસની શરૂઆત થશે. આ શ્રાવણ માસ 15 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. આમ વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.
અધિક શ્રાવણ માસનું મહત્વ

ભગવાન વિષ્ણુની સાથે શિવશંકરની પણ પૂજા-ઉપાસના

સામાન્ય રીતે અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણની પૂજા-આરાધના કરવાનું વિઘિ-વિધાન છે. વર્ષ 2023 નો આ પવિત્ર અધિક માસ ભગવાન શિવને સમર્પિત છે. અધિક શ્રાવણ માસમાં ભક્તો ભગવાન વિષ્ણુની સાથે સાથે શિવશંકરની પણ પૂજા-ઉપાસના કરી શકશે. અધિક માસ શરૂ થતાં જ મંદિર ના પ્રાંગણ અને સોસાયટી ઓ માં મોટી સંખ્યામાં મહિલા મંડળો દ્વારા ભજન કિર્તન ની શરૂઆત થઇ ગઇ છે. તમામ હિંદુ મંદિરો માં જુદા જુદા કાર્યક્રમો સાથે પૂજા અર્ચના માટે લોકો ઉમટી રહ્યા છે.

ઋષિકુમારો વેદોનું અનુષ્ઠાન કરે છે

શહેરના એસજીવીપી ગુરુકુલ માં રામ, શ્યામ અને ઘનશ્યામના સાનિધ્યમાં સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ કલાત્મક હિંડોળા ના દર્શન ની વ્યવસ્થા ભાવિક ભક્તો માટે કરવામાં આવી છે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી અને કુંજ બિહારી દાસજી સ્વામીની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા અધિક માસ માં ભજન ભક્તિ દાન સેવાના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. દરરોજ કળાત્મક હિંડોળા ને સજાવવામાં પ્રેરક પટેલ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા છે. એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહા વિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંસ્થા માં દરરોજ ઋગ્વેદ, યજુર્વેદ નું અનુષ્ઠાન કરવામાં આવે છે.

અમદાવાદ ના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કૃષ્ણ મંદિર ને શણગારવામાં આવ્યું છે. શ્રી રસરાજપ્રભુનાં પાવન સાનિધ્યમાં શ્રીપુરષોત્તમ માસ પ્રવચનમાળા નું આયોજન કરવામાં આવ્યું છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ના પ્રાંગણમાં વિવિધ વિદ્વાન ઋષિકુમારો પ્રવચનમાળા ના પ્રવકતા રહેશે. અધિક શ્રાવણ માસ દરમિયાન થનારા વિવિધ મનોરથોમાં શ્રીત્રિલિંગેશ્વર મહાદેવ માં દરરોજ દુધનો અભિષેક, બરફના શિવલિંગ ના દર્શન થશે. આ સંસ્થામાં ગૌ પૂજા પણ થાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular