Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratપ્રજાસત્તાક દિને રજૂ થશે સંસ્કૃતિને ઉજાગર કરતો 'ટેબ્લો'

પ્રજાસત્તાક દિને રજૂ થશે સંસ્કૃતિને ઉજાગર કરતો ‘ટેબ્લો’

ગાંધીનગરઃ ગુજરાતે તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશાં નવી દિશા ચીંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ઝાંખીનું ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪એ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.

ધોરડોનો UNWTO: United Nations World Tourism Organizationના Best Tourism Villageની યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની નવ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. વિશ્વમાં ગુજરાતનો નકશો અને “ભુંગા” તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે. જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.

આ ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં ‘યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે; જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે. રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટ યોગદાન આપી રહ્યા છે. ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રીસિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular