Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsGujaratડી જી વણઝારાએ નવી પાર્ટીની કરી જાહેરાત, 182 બેઠક પર લડશે ચૂંટણી

ડી જી વણઝારાએ નવી પાર્ટીની કરી જાહેરાત, 182 બેઠક પર લડશે ચૂંટણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તમામ પાર્ટીઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે પૂર્વ IPS ડી. જી. વણઝારાએ પણ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. ડી.જી.વણઝારાએ નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે. વણઝારાએ પોતાની પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ની જાહેરાત કરી હતી. વણઝારાની પાર્ટી 182 બેઠક પર ચૂંટણી લડશે.

આ દરમિયાન વણઝારાએ કહ્યું હતું કે પ્રજા વિજય પક્ષ એક હિંદુત્વવાદી પક્ષ છે. ગુજરાતમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ ન બની શકે. પરંતુ પ્રજા વિજય પક્ષ ભાજપનો રાજકીય વિકલ્પ બનશે. ડી.જી.વણઝારા કોઇ ટિકિટની પાછળ નથી. વણઝારા જ્યાંથી ઉભા રહે છે ત્યાંથી લાઇનની શરૂઆત થાય છે. વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં કોઇ પણ એક પક્ષનું શાસન લાંબુ ચાલે તો સત્તા ભ્રષ્ટ કરે છે. પહેલા કોગ્રેસ અને  હવે ભાજપના શાસનમાં આ સ્થિતિ ઉભી થઇ છે. સત્તા પલટો ન થાય તો એક પક્ષની ઇજારાશાહી ઉભી થાય છે.

ડી.જી. વણઝારા કહ્યું કે, ભારત દેશ આઝાદ થયા પછી અને 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પહેલા કોંગ્રેસ અને હવે ભાજપનો એક પક્ષીય પ્રભાવ દેશના અને રાજ્યના રાજકીય, આર્થિક અને સામાજિક જીવન પર રહ્યો છે. આ એક પક્ષ પ્રભાવ કોઈપણ પક્ષનો હોય તો તેનાથી એક પક્ષીય ઈજારાશાહી ચાલુ થાય છે. જે વહીવટી બિન કાર્યક્ષમતા તેમજ જોહુકમી, ભ્રષ્ટાચાર અને દુરાચારની જનની  છે.  જેનાથી રાજકારણ ફક્ત સત્તા અને સંપત્તિનો ખેલ બની જાય છે. આ જ સ્થિતિ છેલ્લા 27 વર્ષથી એક જ પક્ષના શાસનના કારણે ગુજરાતમાં ઊભી થઈ છે. આવા પરિપ્રેક્ષમાં યુ.કે અને યુ.એસ.એની માફક રાજ્યમાં તુલ્યબળવાળી દ્વિ-પક્ષ પ્રથા (Two party system) સ્થાયી સ્વરૂપ લે તે સમયની માંગ છે.

હિન્દુત્વવાદી ભાજપ સામે કોંગ્રેસ અને આપ નહીં ટકી શકે

દેશમાં અને રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે હવે હિન્દુત્વવાદી ભાજપ સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય સ્થાનિક પક્ષો ટકી શકે તેમ નથી. હિન્દુત્વવાદી ભાજપ સામે તેનાથી પણ સવાયો હિંદુત્વવાદી પક્ષ ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બની શકે છે. જે કામ પ્રજા વિજય પક્ષ દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. હવે એ સમય દૂર નથી કે દર પાંચ વર્ષે ગુજરાતમાં સરકારો બદલાશે અને તે બદલાવ ભાજપ અને પ્રજા વિજય પક્ષ વચ્ચે થશે.

પ્રજા વિજય પક્ષ હિંદુત્વવાદી પક્ષ તરીકે મેદાનમાં

પ્રજા વિજય પક્ષ હિંદુત્વવાદી પક્ષ તરીકે પોતાની એક આગવી ઓળખાણ લઈને મેદાનમાં આવ્યો છે. હિન્દુત્વવાદી ભાજપ ફક્ત રાજસત્તાની આજુબાજુની ભ્રમણ કક્ષામાં જ ફરે છે. તેનાથી આગળ કોઈ દર્શન તેની પાસે છે નહીં. જ્યારે પ્રજા વિજય પક્ષ એક નવા રાજકીય અને આધ્યાત્મિક દર્શન સાથે મેદાનમાં ઉતર્યો છે.

ધર્મ સત્તાને મેદાનમાં ઉતારવી જ પડશે

ડી.જી.વણઝારા વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં અને અંતે દેશમાં રાજ્ય સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. બંનેનું અસ્તિત્વ કાયદાના શાસનથી અંતર્ગત હોય અને બંને એકબીજાના પૂરક બની જાહેર જીવનમાં નૈતિક મૂલ્યને પ્રસ્થાપિત કરી લોકોનું કલ્યાણ કરે તે બાબતે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં સંતોનું એક પ્રભાવી આંદોલન ચાલ્યું જેના પરિણામ સ્વરૂપે પ્રજા વિજય પક્ષ પ્રગટ થયો છે. ફક્ત રાજ્ય સત્તા કેન્દ્રિત ભાજપ દેશ કે રાજ્યનું કલ્યાણ નહીં કરી શકે. ધર્મ સત્તાને મેદાનમાં ઉતારવી જ પડશે જે કામ નવી વૈજ્ઞાનિકતા,  આધુનિકતા અને આધ્યાત્મિકતાને વરેલો પ્રજા વિજય પક્ષ જ કરી શકશે.

રાજ્યમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી હાહાકાર

સમાજનો ઘણો મોટો વર્ગ ગરીબી અને બેરોજગારીના ભરડામાં ફસાયેલો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં સામાન્ય વર્ગની હાલત અત્યંત ખરાબ છે.  ત્યારે પ્રજા વિજય પક્ષ એવું માને છે કે ગુજરાતમાં લોકોને વધારે સારા વહીવટની જરૂર છે. ખેતીવાડી વેપાર અને ઉદ્યોગોમાં પણ વાતો વધારે અને કામ ઓછું થાય છે. ભ્રષ્ટાચાર તેની પરાકાષ્ઠા પર પહોંચ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે. ગુંડાઓ અને ગુનેગારોને કોઈની બીક નથી. જ્યારે કાયદાનું પાલન કરીને જીવનારા લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આમાં બદલાવ કરવો આવશ્યક છે.

ગુજરાતની તમામ બેઠક પરથી લડશે ચૂંટણી

પ્રજા વિજય પક્ષ 182 વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. જેમાં જ્યાં શક્ય બને ત્યાં મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણીઓ પછી સત્તા હાંસલ કરી કાર્યદક્ષ, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરી છેવાડાના નાનામાં નાના માણસોનું કલ્યાણ થાય તેવી મજબૂત સરકાર આપવામાં આવશે.

પોલીસ વિભાગમાં ડી.જી.વણઝારા એક જાણીતું નામ

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ડી.જી.વણઝારા એક જાણીતું નામ છે. એન્કાઉન્ટરના કેસોમાં જેલવાસ પણ ભોગવ્યો છે. ડી.જી.વણઝારા જેલમાંથી છુટી ગયાં છે અને નિવૃત્ત પણ થઇ ગયા છે. હાલ વિધાનસભા 2022ની ચૂંટણી સમયે ફરી એકવાર ચર્ચામાં છે. દેવ દિવાળીની સવારે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હિંદુત્વ ને પ્રાધાન્ય આપતા પ્રજા વિજય પક્ષને રચી આ ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular