Saturday, June 28, 2025
Google search engine
HomeNewsEntertainmentહોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ખુદ ગોવિંદાએ જણાવી તેમની હાલત

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ખુદ ગોવિંદાએ જણાવી તેમની હાલત

મુંબઈ: પીઢ બોલિવૂડ અભિનેતા ગોવિંદાને આ અઠવાડિયાની શરૂઆતમાં આકસ્મિક શૂટિંગની ઘટનાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આજે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાંથી અભિનેતાને રજા આપવામાં આવી છે. બોલિવૂડના ‘હીરો નંબર 1’ પહેલી ઓક્ટોબરે સવારે પોતાની રિવોલ્વર સુટકેસમાં મૂકવા જતા હતા તે સમયે અકસ્માતે રિવોલ્વર હાથમમાંથી પડી ગઈ અને તેના પગમાં ગોળી વાગી હતી. બાદમાં તરત જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે આ ઘટના બની હતી.

ક્રિટિકેર હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ આજે ગોવિંદાને રજા આપવામાં આવી છે. ગોવિંદાને બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાની પ્રથમ ઝલક પણ સામે આવી છે. તે લાલ કલરની કારમાં પત્ની સુનીતા સાથે ઘર તરફ જતા જોવા મળ્યા હતાં. તેને જોવા માટે હોસ્પિટલની બહાર તેના ચાહકોની ભીડ જોવા મળી હતી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદાએ તેના ચાહકો અને પાપારાઝીની સામે હાથ જોડીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

મીડિયા સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું કે,’તમારા પ્રેમ માટે આપ સૌનો આભાર… હવે હું સ્વસ્થ થઈ ગયો છું. તમે બધાએ મારા માટે કરેલી પ્રાર્થનાઓ માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. આ પહેલા ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું હતું કે,’ઘરના ડોક્ટરે 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે, તેથી અમે કોઈને વધારે મળી શકીશું નહીં કારણ કે ઈન્ફેક્શનનો ડર છે.’

ઉલ્લેખનીય છે કે ગોવિંદા કોલકાતા જવા માટે બેગ પેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કબાટમાં રહેલી બંદૂક નીચે પડી ગઈ અને તેના પગમાં ગોળી વાગી. અભિનેતાના પગમાંથી ઘણું લોહી વહી ગયું હતું. જોકે બાદમાં તુરંત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular