ભારતીય નૌકાદળની તાકાત વધી ગઈ છે, કારણ કે સબમરીન INS ‘કરંજ’ને 10 માર્ચ, બુધવારે નૌકાદળના જંગી કાફલામાં સામેલ થઈ ગઈ છે. આ માટેનો સમારંભ મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. તક્તીનું અનાવરણ નૌકાદળના ભૂતપૂર્વ વડા એડમિરલ વી.એસ. શેખાવતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દુશ્મનોના હોશ ઉડાવી દે એવી આ સબમરીનની ખાસિયત એ છે કે તે દુશ્મનના વિસ્તારમાં હશે તો પણ એના રડારની પકડમાં આવી નહીં શકે. જરાસરખો પણ અવાજ કર્યા વિના તે દુશ્મનોને બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે.આ સબમરીન સ્કોર્પીન શ્રેણીની ત્રીજી છે અને તે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત‘ ઝુંબેશ અંતર્ગત સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.