Saturday, June 14, 2025
Google search engine
HomeGalleryEventsવિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’: તસવીરી ઝલક...

વિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’: તસવીરી ઝલક…

ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટને ચિત્રલેખાનો આઠમો ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર) એવોર્ડ ગઈ કાલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં એનાયત કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

ચિત્રલેખાના ચેરમેને સુવર્ણ ચંદ્રક સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

આ સન્માન સમારોહમાં આવેલા મહાનુભાવોએ ચા-કોફીની લિજ્જત માણી હતી.

ચિત્રલેખાના ચેરમેને સુવર્ણ ચંદ્રક સમારોહમાં રિલાયન્સ ડિરેક્ટર પરિમલ નથવાણીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.

રાજ્ય સરકારના મંત્રીઓ, નામાંકિત લેખકો-પત્રકારો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે સ્વ. વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટને આ સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો, ત્યારે એ મંગળ ઘડીને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના એચ. ટી. પારેખ હોલમાં યોજાયેલા આ સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. 

કાર્યક્રમના પ્રારંભમાં સૌનું સ્વાગત કરતાં ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે કહ્યું હતું કે, ‘આજથી 45 વર્ષ પહેલાં ચિત્રલેખાની સિલ્વર જ્યુબિલીના ભાગરૂપે મેગેઝિનમાં મહત્ત્વનું યોગદાન આપનારાઓને વજુ કોટક સુવર્ણ ચંદ્રક આપવાની પ્રણાલી શરૂ કરવામાં આવી હતી.

અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ ચિત્રલેખા અને વિનોદભાઈ માટેની લાગણીને કારણે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ‘વિનોદભાઈ એટલે હાસ્યનો પર્યાય. આજનો અવસર ચિત્રલેખા પરિવાર અને સમગ્ર ગુજરાતીઓ માટે આ આનંદનો-ગૌરવનો અવસર છે.

‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર) એવોર્ડ સમારોહમાં મંચ પર ઉપસ્થિત રહેલા અતિથિ વિશેષ.

આ સમારોહમાં ઉપસ્થિત રહેલા નામાંકિત મહાનુભાવો.

આ પ્રસંગે ઉપસ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, ‘ચિત્રલેખા દેશ-વિદેશમાં છે. ચિત્રલેખા એ મેગેઝીન છે, જે આપણને જાગ્રત રાખે છે.

આ સમારોહમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ કાર્યક્રમની મજા માણી હતી.

સન્માનના પ્રતિભાવમાં સ્વ. વિનોદભાઇના પુત્ર સ્નેહલભાઈએ જણાવ્યું હતું કે, ‘તારક મહેતાના નિધન પછી ચિત્રલેખાએ દુનિયાને ઊંધા ચશ્માં કોલમનાં ચાર પાનાંને કોરાં રાખીને તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી હતી, જે કદાચ કોઈ મેગેઝિન કે છાપું ના કરે. તારકભાઇને અપાયેલી આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે.

આ કાર્યક્રમ માટે ખાસ રાજકોટથી પધારેલા સુપ્રસિદ્ધ કલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે ‘વિનોદ ભટ્ટ મને ગમે છે. વિનોદ ભટ્ટનું સમાજમાં બહુ મોટું પ્રદાન છે. તેમની કોલમમાં દંભ વગરનું હાસ્ય હતું. તેઓ સ્વતંત્ર શૈલીના લેખક હતા.

જાણીતા હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરે પણ સ્વ. વિનોદભાઈનાં સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘વિનોદ ભટ્ટે એક અલગ કેડી કંડારીને પોતાનો માર્ગ પ્રસ્થાપિત કર્યો હતો. તેમણે વિનોદભાઈની અત્યંત જાણીતી કથા સત્યવાન- સાવિત્રીની વાત કહીને શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા.

આ કાર્યક્રમની મજા માણી રહેલા ગણમાન્ય વ્યક્તિઓ.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, જિતુ વાઘાણી, કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય રાકેશ શાહ, જાણીતા લેખકો-સાહિત્યકારો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો બકેરી ગ્રુપના પવન બકેરી, વાઘબકરીના પરાગ દેસાઈ, વરમોરાના ભાવેશભાઈ વરમોરા, ગુલાબ ઓઇલવાળા મુકેશભાઈ નથવાણી, રૂઝાન ખંભાતા સહિત અનેક નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને અંતે વાઇસ ચેરમેન મનન કોટકે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ઉપરાંત કાર્યક્રમમાં હાજર રહેનારા સૌ મહાનુભાવો, આયોજનમાં સહયોગ આપનારા સ્પોન્સર્સ અને આયોજન સાથે સંકળાયેલા સૌનો આભાર માન્યો હતો.

(અમિષ જોષી-અમદાવાદ) 

(તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular