Friday, June 6, 2025
Google search engine
HomeFeaturesYogic Sampadaઅપવિત્ર ધન જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે

અપવિત્ર ધન જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે

સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે કોઈ મનુષ્યની હિંસા કોઈ પણ પ્રકારે ક્યારેય ન કરવી, એવું સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 13માં કહેવામાં આવ્યું છે.

આપણે ધનની વાતો કરી રહ્યા છીએ અને આ શ્લોકમાં ધનનો ઉલ્લેખ છે. ધન પ્રાપ્ત કરવા માટે હિંસાનો સહારો લેવો નહીં એ ઘણી જ મહત્ત્વની વાત આ શ્લોકમાં કરાઈ છે. અહિંસા પણ મન, વચન અને કર્મની હોવી જોઈએ. વળી, અહિંસા માત્ર મનુષ્યો માટે નહીં, તમામ જીવો માટે હોવી જોઈએ.

આપણે સૌથી પહેલાં કર્મની અહિંસા વિશે વાત કરીએ. એક બોધકથા મુજબ, જંગલમાંથી પસાર થતા એક માણસને ડાકુઓ લૂંટી લેવા માટે આંતરે છે અને કટારીથી મારી નાખે છે. એ જ વખતે એક હૉસ્પિટલમાં કોઈ અસાધારણ બીમારી ધરાવતા દરદી પર ઓપરેશન ચાલી રહ્યું હોય છે. દરદી જીવતો રહેવાની શક્યતા સાવ ઓછી હોય છે. બધાએ આશા છોડી દીધી હોય છે, પરંતુ ડૉક્ટરોના નિયમ પ્રમાણે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન છોડવામાં આવતા નથી. ડૉક્ટર દરદીના પેટ પર કાપો મૂકે છે અને દરદીનું મોત થાય છે.

આમાંથી કઈ ઘટનામાં હિંસા થઈ કહેવાય? શ્લોકમાં કહેવાયું છે કે ધન કમાવા માટે હિંસાનો સહારો લેવો નહીં. ડાકુઓના કિસ્સામાં ધન પ્રાપ્ત કરવાનો ઈરાદો હતો અને ડૉક્ટરના કિસ્સામાં જીવ બચાવવાનો પ્રયાસ હતો.

જો જીવજંતુઓને લીધે રોગચાળો ફેલાતો હોય તો તેને દૂર કરવાની જરૂર પડે છે. રોગચાળો મનુષ્યને, ઊભા પાકને કે અન્ય જીવને લાગુ પડી શકે છે. આવા સમયે જીવ હણવાને કદાચ હિંસા ન કહેવાય. જો જીવજંતુઓ કે અન્ય જીવને મારીને તેમાંથી ખાદ્યપદાર્થ બનાવીને કે વસ્ત્રો તૈયાર કરીને પૈસા રળવાનો ઉદ્દેશ્ય હોય તો એ હિંસા કહેવાય.

આમ, હિંસા-અહિંસા વચ્ચે ઘણી પાતળી ભેદરેખા હોય છે. શું આપણે મત્સ્યોદ્યોગને કે માછીમારને હિંસાવાદી કહી શકીએ? આ પ્રશ્ન ગહન ચર્ચા માગી લેનારો છે. ક્યારેય કોઈની ટીકા કરવી નહીં, કારણકે એ પણ હિંસા છે. એ હિંસા મનથી થયેલી હિંસા છે.

ઘણી વખત હિંસા અનિવાર્ય હોય છે. જ્યારે પણ ઘર, ઑફિસ, ફેક્ટરી, રસ્તા, રેલવે, બંધનું બાંધકામ થતું હોય કે બીજું કોઈ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે મોટાપાયે જીવહિંસા થતી હોય છે. તો શું એ બાંધકામ કરવું નહીં? શું એ હિંસા ટાળી શકાય છે? શું આપણે ભટકતી જાતિની જેમ જંગલમાં રહેવું?

શું આપણે રસ્તા, પુલ, બંધ, રેલવે, વગેરે વગર જીવી શકીએ છીએ? આ બધી વસ્તુઓ આખરે તો મનુષ્યોના લાભાર્થે કે કોઈની આવક માટે જ બંધાતી હોય છે.

પ્રાણી સંગ્રહાલય, પશુઓના રક્ષણ માટેના કેન્દ્ર કે દવાખાનું કે હૉસ્પિટલનું બાંધકામ થતું હોય ત્યારે શું થાય છે?

પ્રાણીઓ માટેની જગ્યાઓ બંધાય એ પણ બાંધકામ છે. બાંધકામને લગતા આ સવાલ માટે મારી પાસે સ્પષ્ટ જવાબ નથી. આમ છતાં, ઉક્ત શ્લોકને લક્ષમાં રાખીને વિચાર કરવો જરૂરી છે. એ વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી? શું ફક્ત પૈસા કમાવા માટે હિંસાનો આશરો લેવાયો છે? શું મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા માટે હિંસા કરાઈ છે કે પછી મોજશોખની વસ્તુઓ લેવા માટે કરાઈ છે? શું તેનાથી જીવોનું કલ્યાણ થવાનું છે? શું એ હિંસા કરવાથી મન શાંત થાય છે કે મનની શાંતિ ડહોળાય છે?

મન અને વચનથી પણ હિંસા કરવાનું પણ સ્વીકાર્ય નથી. કોઈને ઘર ખાલી કરવા માટે ધમકાવવું, પરાણે પૈસા પડાવવા, ઉદ્ધત વર્તન કરવું, એ બધા પણ હિંસાના પ્રકાર છે. કોઈની પરિસ્થિતિનો કે નબળાઈનો ગેરલાભ લેવાનું પણ ખોટું છે. કોઈ ડૉક્ટર સર્જરી પહેલાં કે સર્જરી દરમિયાન દરદીના પરિવાર પાસેથી વધારે પૈસા માગે એ પણ હિંસાનું જ સ્વરૂપ છે.

કોઈની સંપત્તિ વિશે ખરાબ ભાવના રાખવી એ પણ હિંસા છે. બધા જ શ્રીમંતો ગરીબોનું શોષણ કરીને ધનવાન બન્યા છે, સરકાર હંમેશાં પૈસાદારોને લાભ થાય એવા જ નિયમો ઘડે છે, એણે આટલા બધા પૈસા ખોટા રસ્તે જ કમાયા હશે, વગેરે જેવા વિચારો હિંસા દર્શાવે છે. એમાં માણસની ઈર્ષ્યા પણ ઝળકે છે. ઈર્ષ્યાને લીધે લોભ, ચિંતા, ઘમંડ, લઘુતાગ્રંથિ જેવી લાગણીઓ પેદા થાય છે.

હિંસા કોઈ પણ સ્વરૂપે હોય, એ અપવિત્ર છે. અપવિત્ર ધનને લક્ષ્મી ન કહેવાય. લક્ષ્મી ન કહી શકાય એવું ધન લાંબું ટકતું નથી. ઉલટાનું, તે જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular