Tuesday, June 17, 2025
Google search engine
HomeFeaturesNational Affairsહરિત ક્રાંતિના પિતા એમ. એસ. સ્વામિનાથન

હરિત ક્રાંતિના પિતા એમ. એસ. સ્વામિનાથન

(નરેન્દ્ર મોદી-ભારતના વડાપ્રધાન) 

થોડા દિવસ પહેલાં આપણે પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન ગુમાવ્યા અને રાષ્ટ્રએ એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા, જેમણે કૃષિ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી, એક એવી નિષ્ઠાવાન વ્યક્તિ, જેનું ભારત માટે યોગદાન હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. પ્રાધ્યાપક એમ. એસ. સ્વામિનાથન ભારતને ચાહતા હતા. તેઓ ઇચ્છતા હતા કે આપણો દેશ અને ખાસ કરીને આપણા ખેડૂતો પણ સમૃદ્ધિનું જીવન જીવે. શૈક્ષણિક દ્રષ્ટિએ તેજસ્વી, તેઓ કોઈ પણ કારકિર્દી પસંદ કરી શક્યા હોત, પરંતુ 1943ના બંગાળના દુષ્કાળથી તેઓ એટલા વ્યથિત થયા હતા કે તેઓ સ્પષ્ટ હતા કે જો તેઓ કોઈ કામ કરશે, તો તે કૃષિનો સંશોધન કરવાનું હશે.

તેઓ નાની ઉંમરે ડો. નોર્મન બોરલોગના સંપર્કમાં આવ્યા અને તેમના કાર્યને ખૂબ વિગતવાર અનુસર્યા. 1950ના દાયકામાં, તેમને યુએસમાં ફેકલ્ટી પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી, કારણ કે તેઓ ભારતમાં અને દેશ માટે કામ કરવા માગતા હતા.

હું ઇચ્છું છું કે તમે બધા એ પડકારજનક સંજોગો વિશે વિચારો, જેમાં તેઓ એક અડગ મહાપુરુષ તરીકે ઊભા રહ્યા અને આપણા રાષ્ટ્રને આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસના માર્ગ તરફ દોરી ગયા. આઝાદી પછીના પ્રથમ બે દાયકામાં આપણે પુષ્કળ પડકારોનો સામનો કરી રહ્યા હતા અને તેમાંનો એક હતો અનાજની તંગી. 1960ના દાયકાની શરૂઆતમાં ભારત દુષ્કાળના કમનસીબ પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું અને ત્યારે જ પ્રોફેસર સ્વામિનાથનની અડગ પ્રતિબદ્ધતા અને દીર્ઘદ્રષ્ટિએ કૃષિ સમૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરી. કૃષિ અને ઘઉંના સંવર્ધન જેવાં વિશિષ્ટ ક્ષેત્રોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને કારણે ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. આમ ભારતને ખાદ્ય-અછતવાળા દેશમાંથી આત્મનિર્ભર રાષ્ટ્રમાં ફેરવી નાખ્યું. આ અસાધારણ સિદ્ધિએ તેમને “ભારતીય હરિત ક્રાંતિના પિતા” તરીકેનું બિરુદ અપાવ્યું.

આ હરિત ક્રાંતિએ ભારતની “આપણે કરી શકીએ”ની ભાવનાની ઝાંખી કરાવી હતી કે જો આપણી પાસે એક અબજ પડકારો હોય, તો આપણી પાસે તે પડકારોને પહોંચી વળવા માટે સંશોધનની જ્યોત ધરાવતાં એક અબજ દિમાગ પણ છે. હરિયાળી ક્રાંતિ શરૂ થયાના પાંચ દાયકા પછી, ભારતીય કૃષિ વધુ આધુનિક અને પ્રગતિશીલ બની છે. પરંતુ, પ્રોફેસર સ્વામિનાથને જે પાયો નાખ્યો છે, તે  પાયો કદી ભૂલી શકાય તેમ નથી.

વર્ષોથી, તેમણે બટાકાના પાકને અસર કરતા પરોપજીવીઓનો સામનો કરવા માટે પાયાનું સંશોધન હાથ ધર્યું હતું. તેમના સંશોધનથી બટાકાના પાકને ઠંડા હવામાનનો સામનો કરવામાં પણ સક્ષમ બનાવ્યું. આજે, વિશ્વ બરછટ અનાજ બાજરી અથવા ‘શ્રી અન્નની સુપર ફૂડ’ તરીકે વાત કરે છે, પરંતુ પ્રો. સ્વામિનાથને 1990ના દાયકાથી જ તેના મહત્ત્વને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રોફેસર સ્વામિનાથન સાથે મારી અંગત વાતચીત વ્યાપક હતી. 2001માં મેં ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી તેની શરૂઆત થઈ હતી. તે દિવસોમાં ગુજરાત તેની કૃષિ કુશળતા માટે જાણીતું નહોતું. ક્રમિક દુષ્કાળ અને સુપર ચક્રવાત અને ભૂકંપને કારણે રાજ્યના વિકાસના માર્ગ પર અસર થઈ હતી. અમે શરૂ કરેલી અનેક પહેલોમાં સોઇલ હેલ્થ કાર્ડ પણ સામેલ હતી, જેણે અમને જમીનને વધુ સારી રીતે સમજવા અને જો સમસ્યાઓ ઊભી થાય તો તેને દૂર કરવા સક્ષમ બનાવ્યા હતા. આ યોજનાના સંદર્ભમાં જ હું પ્રોફેસર સ્વામિનાથનને મળ્યો. તેમણે આ યોજનાની પ્રશંસા કરી હતી અને આ માટે તેમનાં મૂલ્યવાન સૂચનો પણ કર્યાં હતાં. જેઓ આ યોજના વિશે સંશય ધરાવતા હતા તેમને સમજાવવા માટે પ્રોફેસર સ્વામિનાથનનું સમર્થન પૂરતું હતું, જેનાથી આખરે ગુજરાતની કૃષિવિષયક સફળતાનો તખતો તૈયાર કરવાનો હતો.

અમારી વાતચીત મારા મુખ્ય મંત્રીપદના કાર્યકાળ દરમિયાન અને જ્યારે મેં પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારે પણ ચાલુ રહી હતી. હું તેમને 2016માં ઇન્ટરનેશનલ એગ્રો-બાયોડાયવર્સિટી કોંગ્રેસમાં મળ્યો હતો અને ત્યાર પછીના વર્ષે 2017માં મેં તેમના દ્વારા લખાયેલી બે ભાગની પુસ્તક શ્રેણી શરૂ કરી હતી.

કુરાલ ખેડૂતોને એક એવી કડી તરીકે વર્ણવે છે જે વિશ્વને એકસાથે રાખે છે, કારણ કે તે ખેડૂતો છે, જે દરેકને ટકાવી રાખે છે. પ્રોફેસર સ્વામિનાથન આ સિદ્ધાંતને સારી રીતે સમજતા હતા. ઘણા લોકો તેમને “કૃષિ વૈજ્ઞાનિક” કહે છે, પરંતુ હું હંમેશાં માનતો આવ્યો છું કે તેઓ તેનાથી પણ વધુ હતા. તેઓ સાચા અર્થમાં “કિસાન વૈજ્ઞાનિક” – ખેડૂત વૈજ્ઞાનિક હતા. તેમના હૃદયમાં એક ખેડૂત હતો. તેમનાં કાર્યોની સફળતા તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પૂરતી મર્યાદિત નથી; તેમની સફળતા પ્રયોગશાળાઓની બહાર, ખેતરો અને ખેતરોમાં તેમણે ઊભી કરેલી અસરમાં રહેલી છે. તેમના કાર્યથી વૈજ્ઞાનિક જ્ઞાન અને તેના વ્યવહારિક ઉપયોગ વચ્ચેનું અંતર ઓછું થયું. તેમણે સતત ટકાઉ કૃષિની હિમાયત કરી હતી, માનવ પ્રગતિ અને ઇકોલોજિકલ ટકાઉપણા વચ્ચેના નાજુક સંતુલન પર ભાર મૂક્યો હતો. અહીં, મારે પ્રોફેસર સ્વામિનાથન દ્વારા નાના ખેડૂતોના જીવનને સુધારવા અને તેઓ પણ નવીનતાના ફળનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેની પણ નોંધ લેવી જોઈએ. તેઓ ખાસ કરીને મહિલા ખેડૂતોના જીવનને સુધારવા માટે ઉત્સાહી હતા.

પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન વિશે એક બીજું પાસું પણ છે, જે નોંધપાત્ર છે. તેઓ નવીનતા અને માર્ગદર્શનના શ્રેષ્ઠ ઉદાહણરૂપ છે. 1987માં જ્યારે તેમણે આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર જીત્યો હતો, ત્યારે તેમણે ઇનામની રકમનો ઉપયોગ બિન-નફાકારક સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવા માટે કર્યો હતો. તેમણે અત્યાર સુધી વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત કામગીરી હાથ ધરી છે. તેમણે અસંખ્ય લોકોને જ્ઞાની બનાવ્યા છે, તેમનામાં શીખવા અને નવીનતા માટે જુસ્સો પેદા કર્યો છે. ઝડપથી બદલાતા વિશ્વમાં તેમનું જીવન આપણને જ્ઞાન, માર્ગદર્શન અને નવીનતાની ટકાઉ શક્તિની યાદ અપાવે છે. તેઓ એક સંસ્થાના ઘડવૈયા પણ હતા, તેમના નામનાં ઘણાં કેન્દ્રોમાં વાઇબ્રન્ટ સંશોધન થયાં હતાં. તેમનો એક કાર્યકાળ મનિલાની ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકેનો હતો. વારાણસીમાં વર્ષ 2018માં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સાઉથ એશિયા રિજનલ સેન્ટર ખોલવામાં આવ્યું હતું.

હું ફરીથી કુરાલને ટાંકીને ડો.સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. ત્યાં લખ્યું છે કે જો યોજના ઘડનારાઓમાં દ્રઢતા હોય, તો તેઓ જે રીતે ઇચ્છે છે તે મેળવશે. તેઓ એક એવી નિષ્ઠાવાન વ્યક્તિ હતા જેમણે તેમના જીવનની શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે તેઓ કૃષિને મજબૂત કરવા અને ખેડૂતોની સેવા કરવા માગે છે અને, તેમણે તે અસાધારણ રીતે નવીનતાથી અને જુસ્સાથી પૂર્ણ કર્યું. ડૉ. સ્વામિનાથનનું પ્રદાન કૃષિ નવીનતા અને ટકાઉપણાના માર્ગે આગળ વધી રહ્યું છે, ત્યારે આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપતું રહ્યું છે. આપણે ખેડૂતોના ધ્યેયને ટેકો આપવો અને વૈજ્ઞાનિક નવીનીકરણના ફળ આપણા કૃષિ ક્ષેત્રના મૂળ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આવનારી પેઢીઓ માટે વૃદ્ધિ, ટકાઉપણું અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ તેમના પ્રિય સિદ્ધાંતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા બની રહેશે.

 

(ભારતમાં કૃષિ ક્રાંતિના જનક ગણાતા એમ. એસ. સ્વામિનાથનનું હમણાં નિધન થયું એ પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને અંજલિ આપતો આ ખાસ લેખ લખ્યો છે.) 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular