Wednesday, June 18, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenરાજેશ બન્યો 'અમર પ્રેમ' નો 'આનંદ'

રાજેશ બન્યો ‘અમર પ્રેમ’ નો ‘આનંદ’

રાજેશ ખન્નાએ નિર્દેશક શક્તિ સામંતા પાસે સામે ચાલીને ફિલ્મ ‘અમર પ્રેમ’ (૧૯૭૨) માગી હતી. સામંતાને ઉત્તમકુમારની બંગાળી ફિલ્મ ‘નિશિ પદમા’ ગમી હતી અને તેના હિન્દી રીમેકના અધિકાર ખરીદી લીધા હતા. સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી સૌથી પહેલાં તેમણે ‘પુષ્પા’ ની ભૂમિકા માટે શર્મિલા ટાગોરની પસંદગી કરી હતી. શર્મિલાને ભૂમિકા એટલી પસંદ આવી કે પુત્ર સૈફના જન્મ પછી સૌપ્રથમ ‘અમર પ્રેમ’ માટે હા પાડી હતી. કેમકે આ એક એવી ભૂમિકા હતી જે તેને ગંભીર અભિનેત્રીની ઓળખ અપાવી શકતી હતી. હીરો ‘અનંતા’ ની ભૂમિકા માટે સામંતાની પહેલી પસંદ રાજકુમાર હતા. સામંતાએ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે અગાઉ કામ કર્યું હતું પરંતુ તેમનું માનવું હતું કે ફિલ્મમાં હીરોઇનની ભૂમિકા મજબૂત હોવાથી તે તૈયાર થશે નહીં.

રાજેશ ખન્નાને જ્યારે આ ફિલ્મના આયોજનની ખબર પડી ત્યારે તેણે સામંતાને વિશ્વાસ અપાવ્યો કે તે ભૂમિકાને ન્યાય આપી શકશે. રાજેશ ખન્નાએ એ માટે તૈયારી પણ કરી હતી. ભૂમિકાના સંશોધન માટે ઉત્તમકુમારના મોઇરા સ્ટ્રીટ ખાતેના ઘરે ગયો હતો. કેમકે ‘અનંતા’ ની ભૂમિકા માટે ઉત્તમકુમારની બહુ પ્રશંસા થઇ હતી. ફિલ્મનો કલકત્તાના પેરેડાઇઝ થિયેટરમાં પ્રિમિયર થયો ત્યારે ખન્નાએ કહ્યું હતું કે મેં ઉત્તમકુમારની ‘નિશિ પદમા’ સોળ વખત જોઇ હતી અને એવું નક્કી કર્યું હતું કે ઉત્તમકુમારના બંગાળી વર્ઝનના અભિનયની સરખામણીએ ૫૦ ટકા આપી શકાશે તો ઘણું હશે.

રાજેશ ખન્નાએ ફિલ્મમાં તેનું નામ મૂળ બંગાળી ફિલ્મમાં ઉત્તમકુમારનું હતું એ ‘અનંતા’ સામંતા પાસે બદલાવીને ‘આનંદ’ કરાવ્યું હતું. રાજેશ માનતો હતો કે ફિલ્મ ‘આનંદ’ ને કારણે આ નામથી તે દર્શકો સાથે વધારે સારી રીતે અનુસંધાન કરી શકશે. રાજેશની આ ગણતરી સાચી પડી. તેની દેવદાસ જેવી આ ભૂમિકાને પસંદ કરવામાં આવી. ‘અમર પ્રેમ’ ની સફળતામાં રાજેશ –શર્મિલાના અભિનય સાથે આર.ડી. બર્મનના સંગીતની મદદ વધારે મળી. આ ફિલ્મથી પંચમદા અને કિશોરકુમારે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી હતી.

એ સમયમાં આર.ડી. બર્મનની ઓળખ પશ્ચિમી પ્રકારના સંગીત આપતા સંગીતકાર તરીકેની હતી અને કિશોરકુમાર હલ્કા-ફુલ્કા ગીતો વધારે ગાતા હતા. ત્યારે સંગીતકાર આર.ડી. બર્મને ફિલ્મના દરેક ગીતોને શુધ્ધ રાગ પર આધારિત બનાવીને લોકોનો એ ભ્રમ તોડી નાખ્યો. એવું જ કિશોર કુમારે કર્યું. ‘ચિંગારી કોઇ ભડકે’ ગીત રાગ ભૈરવીમાં હતું. ‘યે ક્યા હુઆ’ પર રાગ કલાવતીની છાપ હતી. ‘કુછ તો લોગ કહેંગે’ અને ‘બડા નટખટ હૈ’ રાગ ખમાજમાં હતા. અસલમાં ‘બડા નટખટ હૈ’ ગીતની ધૂન પહેલાં અલગ હતી. તે સાંભળીને પિતા એસ.ડી. બર્મને બદલાવી હતી. બર્મનદાદાનું કહેવું હતું કે ગીતમાં શર્મિલા ટાગોર નટખટ બાળક નંદુને અવાજ લગાવીને શોધી રહી છે. એ પ્રસંગને અનુરૂપ ધૂન નથી. પંચમદાએ ‘બડા નટખટ હૈ’ ગીત માટે ફરી મહેનત કરી અને તૈયાર કર્યું. ફિલ્મના દરેક ગીતોએ ધૂમ મચાવી દીધી હતી.

– રાકેશ ઠક્કર

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular