Saturday, June 7, 2025
Google search engine
HomeChitralekha Event‘નિયમિત કેશ ઈનફ્લો માટે SWP ખૂબ ઉપયોગી’

‘નિયમિત કેશ ઈનફ્લો માટે SWP ખૂબ ઉપયોગી’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર ૧૨ ડિસેમ્બરે નિષ્ણાત વક્તાઓએ વિશેષ વેબિનાર સિરીઝમાં ‘મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP)ની ક્ષમતા’ વિષય પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચર્ચાના મુદ્દા હતાઃ ચાલો સમજીએ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનની કામગીરી વિશે, તમારા એકાઉન્ટમાં નાણાંનો પ્રવાહ નિયમિત રહેશે અને કરવેરામાં કાર્યક્ષમ.

આ વખતના વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના બિઝનેસ ડેવલપમેન્ટના હેડ મનીષ ઠક્કર અને પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદી. અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.

શૈલેન્દ્ર દીક્ષિતે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન, તેની જરૂરિયાત અને તેની સ્કીમ્સ વિશે સચિત્ર પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપતા કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં આ એક ફિચર હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય એને તમે નિયમિત રીતે ઉપાડતા રહીને તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા લઈ શકો છો. આને આપણે ભારતીય રિઝર્વ બેન્કની ગાઈડલાઈન્સ અનુસાર નિયમિત આવક ગણી શકતાં નથી, પણ આને રેગ્યૂલર ઈનફ્લો કે કેશ ઈનફ્લો કહી શકીએ. આપણે ‘ચિત્રલેખા’ જે છેલ્લો વેબિનાર કર્યો હતો એમાં ઓપિનિયન પોલમાં ઘણા લોકોએ SWP માં રસ બતાવ્યો હતો અને તે વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજના જમાનામાં નિવૃત્તિ બાદનું આર્થિક આયોજન કે રિટાયરમેન્ટ પ્લાનનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. તેથી નિવૃત્ત બાદ તમે તમારું જે કંઈ ઈન્વેસ્ટમેન્ટ કરો એ પછી એમાંથી તમને નિયમિત રીતે કેશ ઈનફ્લો મળવો જોઈએ. અહીં તમને SWP ઘણી મદદ કરી શકે છે. માત્ર નિવૃત્તિ બાદ જ નહીં, પરંતુ અન્ય ઈન્વેસ્ટમેન્ટમાં પણ આ પ્લાન ઘણો ઉપયોગી થઈ શકે છે.

અમિત ત્રિવેદીએ કહ્યું કે, SWP માં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં કાળજી એ રાખવી જરૂરી છે કે જેમ વ્યાજના દર નીચે જાય છે ત્યારે તમામ ફાઈનાન્સિયલ રિટર્ન્સના રેટ પણ ઘટી જાય છે. તેથી SWPમાં તમે જે રકમ ઉપાડો એ જો તમારા સ્કીમ રિટર્ન્સની રકમ કરતાં ઓછી હોય તો તમારી મૂડીનો ઘસારો થાય એમ કહેવાય. કારણ કે મૂડીનો ઘસારો થતો રહે તો તમારું ફંડ ઘણું ઝડપથી ઘટી જાય.

મનીષ ઠક્કરે કહ્યું હતું કે લોકોએ ઈન્વેસ્ટમેન્ટના સિદ્ધાંતોને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ તો જ તેઓ તેમના લક્ષ્યાંક સિદ્ધ કરી શકશે. જેમ કે, લાંબા સમય માટે ઈન્વેસ્ટ કરવું, ધ્યેય પ્રમાણે ઈન્વેસ્ટ કરવું અને જુદી જુદી એસેટ્સમાં ઈન્વેસ્ટ કરવું.

વેબિનારની શરૂઆતમાં, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો.

(સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનની વધુ વિગત માટે તેમજ સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular